રાજા રઘુવંશી હત્યાકાંડ પર ‘હનીમૂન ઇન શિલોંગ’ નામની ફિલ્મ બનશે: પહેલું પોસ્ટર રિલીઝ…

મુંબઈ: છેલ્લા બે મહિનામાં રાજા રઘુવંશીનો કેસ સમગ્ર દેશમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો હતો. રાજા રઘુવંશી હત્યાકાંડના કેસમાં દરરોજ અવનવા ખુલાસા થઈ રહ્યા હતા. જેથી આ કેસનો સસપેન્સ-થ્રિલર ફિલ્મ જેવો ઘટનાક્રમ રચાયો હતો. ત્યારે હવે આ હત્યાકાંડ પર ફિલ્મ બનવા જઈ રહી છે. જેનું નામ ‘હનીમૂન ઇન શિલોંગ’ રાખવામાં આવ્યું છે.
‘હનીમૂન ઇન શિલોંગ’ ફિલ્મના ડિરેક્ટર કોણ?
સોનમ રઘુવંશી નામની યુવતી લગ્ન બાદ પોતાના પતિને હનીમૂન માટે શિલોંગ લઈ ગઈ હતી. જ્યાં સોનમે પોતાના પ્રેમી રાજ કુશ્વાહ અને તેના ત્રણ મિત્રો આકાશ, વિશાલ અને આનંદ સાથે મળીને પતિ રાજા રઘુવંશીની હત્યા કરી હતી. આમ સોનમ રઘુવંશીએ પોતાની બેવફાઈનું ઉદાહરણ આપ્યું હતું. ત્યારે હવે સોનમ રઘુવંશીની બેવફાઈ પર હવે મુંબઈના ફિલ્મ દિગ્દર્શક એસપી નિમ્બાવત ‘હનીમૂન ઇન શિલોંગ’ નામની ફિલ્મ બનાવવા જઈ રહ્યા છે.
દિગ્દર્શક એસપી નિમ્બાવતે આ અંગે રાજા રઘુવંશીના પરિવારજનો સાથે વાતચીત પણ કરી છે. રાજા રઘુવંશીનો પરિવાર ફિલ્મ બનાવવા માટે તૈયાર થઈ ગયો છે. દિગ્દર્શક એસપી નિમ્બાવતે રાજા રઘુવંશીના ઘરે પહોંચીને રાજા રઘુવંશીના પરિવાર સાથે મળીને પ્રેસ કોન્ફરન્સ કરીને ફિલ્મ અંગે જાહેરાત કરી હતી.
ફિલ્મનું નામ ‘હનીમૂન ઇન શિલોંગ’ રાખવામાં આવ્યું છે. ફિલ્મમાં રાજા રઘુવંશીનું જીવન તથા તેની હત્યાનો ઘટનાક્રમ તથા તેના હત્યાકાંડની પોલીસ તપાસ સહિતની ઘટનાઓ દર્શાવવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, દિગ્દર્શક એસપી નિમ્બાવતે ‘હનીમૂન ઇન શિલોંગ’ ફિલ્મનું પહેલું પોસ્ટર પણ જાહેર કર્યું છે. આ પોસ્ટરમાં દિગ્દર્શક, નિર્માતા અને કાસ્ટિંગ ડિરેક્ટરના નામ લખવામાં આવ્યા છે. આમ, હવે આગામી સમયમાં રાજા રઘુવંશીની હત્યા અને સોનમ રઘુવંશીની બેવફાઈની કહાની દુનિયાને મોટા ફિલ્મી પડદે જોવા મળશે.