‘હેરા ફેરી 3’ ના ચાહકો માટે નિરાશાજનક સમાચાર: ડિરેક્ટર પ્રિયદર્શને કર્યો મોટો ધડાકો

મુંબઈ: ‘હેરા ફેરી’ ફિલ્મના ત્રીજા ભાગને લઈને અવારનવાર અવનવી વાતો સામે આવતી રહે છે. થોડા સમય પહેલા પરેશ રાવલે આ ફિલ્મ છોડ્યાની વાત સામે આવી હતી. જોકે, તેઓ ફિલ્મમાં પાછા ફરી ચૂક્યા છે. પરંતુ હવે આ ફિલ્મને બે વખત ડિરેક્ટ કરનાર પ્રિયદર્શને ‘હેરા ફેરી’ ફિલ્મના ત્રીજા ભાગને લઈને મોટી વાત જણાવી છે. જે આ ફિલ્મના ચાહકોને ચોંકાવનારી છે.
હું ફિલ્મ બનાવીશ નહીં
કોમેડી ફિલ્મો માટે જાણીતા ડિરેક્ટર પ્રિયદર્શને તાજેતરમાં મીડિયાને એક ઈન્ટરવ્યુ આપ્યું હતું. જેમાં તેમણે ‘હેરા ફેરી’ ફિલ્મનો ત્રીજો ભાગ બનાવવાની સંભાવનાને લઈને પોતાનું મૌન તોડ્યું હતું. જોકે તેમનું આ મૌન ફિલ્મના ચાહકોને નિરાશ કરે તેવું છે.
પ્રિયદર્શને જણાવ્યું હતું કે, “અસલ પડકાર પાત્રોને ફરીથી રચવામાં નહીં, પરંતુ એવી સારી વાર્તા શોધવામાં છે. જે સાચી લાગે અને એટલી રમુજી પણ હોય.”
પ્રિયદર્શને આગળ જણાવ્યું હતું કે, “જ્યાં સુધી મને સંપૂર્ણ ફિલ્મની સારી વાર્તા નહીં મળે, ત્યાં સુધી હું ત્રીજો ભાગ બનાવવાનો પ્રયાસ કરીશ નહીં. જો સ્ક્રીપ્ટ મારી વિચારધારા પ્રમાણે સારી નહીં હોય, તો હું આ ફિલ્મ બનાવીશ નહીં. પોતાની કારકિર્દીમાં હું એક એવા મુકામે પહોંચી ગયો છું કે, જ્યાંથી હું કોઈ મોટી ભૂલ કરીને નીચે પડવા ઈચ્છતો નથી.”
‘બાબુભૈયા’ની મિમિક્રીને લઈને વિવાદ
ઉલ્લેખનીય છે કે, ‘હેરા ફેરી’ ફિલ્મના પાત્રોને લોકોએ ખૂબ પસંદ કર્યા છે. ઘણા મિમિક્રી આર્ટિસ્ટ અવારનવાર ફિલ્મના પાત્ર ‘બાબુભૈયા’ની મિમિક્રી કરતા હોય છે. જોકે, તાજેતરમાં ‘બાબુભૈયા’ની મિમિક્રીને લઈને વિવાદ સર્જાયો છે. નેટફ્લિક્સ પર આવતા કપિલ શર્મા શૉમાં કોમેડિયન કીકૂ શારદાએ હેરાફેરીથી આઈકોનિક બની ગયેલા બાબુરાવ ગણપતરાવ આપ્ટેની મિમિક્રી કરી હતી. તેમની આ વાતથી નારાજ પ્રોડ્યુસર સાજીદ નડિયાદવાલાએ 25 કરોડનો દાવો ઠોક્યો છે અને માફી પણ માગવા કહ્યું છે.
આ પણ વાંચો…હેરાફેરી ફરી વિવાદમાંઃ પ્રોડ્યુસર ફિરોઝ નડિયાદવાલાએ ઠોક્યો 25 કરોડનો કેસ