
મુંબઈ: જેમ અમિતાભ બચ્ચનને બોલીવુડમાં એંગ્રી યંગ મેન તરીકે ઓળખવામાં આવતા હતા. એવી રીતે ગૌતમ ગંભીરને ક્રિકેટજગતના એન્ગ્રી યંગ મેનની ઉપમા આપી શકાય તેમ છે. કારણ કે મેચની પરિસ્થિતિ ગમે તે હોય, તેના ચહેરા પર ગંભીરતા છલકાય છે. મોટા ભાગના ક્રિકેટ ચાહકોના મનમાં આ પ્રશ્ન રહે છે કે ગૌતમ ગંભીર આટલો સીરીયસ કેમ રહે છે? જોકે હવે આ પ્રશ્નનો જવાબ હવે મળી ગયો છે.
પોતાના સ્વભાવ વિશે બોલ્યો ગૌતમ ગંભીર
પોતે આટલો સિરિયસ કેમ રહે છે? આ પ્રશ્નનો ખુદ ગૌતમ ગંભીરે જ જવાબ આપ્યો છે. તાજેતરમાં ટીમ ઇન્ડિયાના હેડ કોચ ગૌતમ ગંભીર અન્ય ક્રિકેટર્સ સાથે ‘ધ ગ્રેટ ઇન્ડિયન કપિલ શર્મા શો’માં પહોંચ્યા હતા. જેમાં ગૌતમ ગંભીરે પોતાના સિરિયસ સ્વભાવ અંગે ખુલાસો કર્યો હતો.
આ પણ વાંચો: ‘T20 વર્લ્ડકપ જીત બાદ સૌથી વધુ પાર્ટી કોણે કરી?’ રોહિત શર્માએ કપિલ શર્માના શોમાં આપ્યો જવાબ
હું ગંભીર છું, તેથી લોકોના ચહેરા પર ખુશી લાવું છું
શો દરમિયાન હોસ્ટ કપિલ શર્માએ ગૌતમ ગંભીરની ગંભીરતા અને મેદાન પર ઝઘડો કેમ થાય છે? એ અંગે ચર્ચા કરી હતી. કપિલ શર્માએ ગૌતમ ગંભીરને પ્રશ્ન પૂછ્યો હતો કે, તે આટલો ગંભીર કેમ છે? પ્રશ્નના જવાબમાં ટીમ ઇન્ડિયાના મુખ્ય કોચ ગૌતમ ગંભીરે જણાવ્યું હતું કે, “હું ગંભીર છું, તેથી જ હું ઘણા લોકોના ચહેરા પર ખુશી લાવું છું.”
લડાઈ મારી માટે નહીં પણ દેશ માટે હોય છે
ગૌતમ ગંભીરે આગળ જણાવ્યું હતું કે, “ઘણા લોકો કહે છે કે મેદાન પર ઝઘડો થયો હતો. પરંતુ તે ઝઘડો કોના માટે થયો? તે લડાઈ મારી માટે નહીં પણ દેશ માટે હોય છે.” ગંભીરના જવાબ પ્રમાણે તેની ખુશીનો અર્થ ટીમ ઇન્ડિયાની જીત છે. જોકે ભારતે તાજેતરમાં જ તેના કોચિંગ હેઠળ ચેમ્પિયન્સ ટ્રોફી જીતી હતી.
આ પણ વાંચો: કોહલી અને રોહિત શર્મા માટે કપિલ દેવે પણ આપ્યું મહત્ત્વનું નિવેદન, બંને એટલા…
કપિલના શોમાં ક્રિકેટર્સે કરી મોજ-મસ્તી
ઉલ્લેખનીય છે કે, ધ ગ્રેટ ઈન્ડિયન કપિલ શર્મા શો’માં ગૌતમ ગંભીર સાથે અભિષેક શર્મા, ઋષભ પંત અને યુઝવેન્દ્ર ચહલ પણ હતા. શોના સભ્ય નવજોત સિંહ સિદ્ધુએ ગૌતમ ગંભીર સહિતના ચારે ક્રિકેટર્સનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. શુટિંગ દરમિયાન ક્રિકેટર્સે ઘણી મસ્તી પણ કરી હતી.