અમદાવાદ પ્લેન ક્રેશ અંગે બોલીવુડના કલાકારોએ વ્યક્ત કર્યું દુઃખ, અક્ષય કુમારથી લઈને સની દેઓલે શું કહ્યું, જાણો

અમદાવાદ: અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં અમદાવાદથી લંડન જઈ રહેલું વિમાન ક્રેશ થયું છે. આ પ્લેનમાં 242 મુસાફર સવાર હતા. પ્લેન જે જગ્યાએ ક્રેશ થયું એ સિવિલ હોસ્પિટલના ઈન્ટર્ન અને રેસિડેન્ડ ડૉક્ટર્સની હોસ્ટેલ હતી, જેથી મોટી જાનહાનિ થઈ છે. સમગ્ર દેશને હચમચાવી નાખનારી દુર્ઘટનાને લઈને બોલીવુડના ફિલ્મી અભિનેતા અને અભિનેત્રીઓએ સંવેદના વ્યક્ત કરી હતી. સોશિયલ મીડિયા પર તમામ કલાકારોએ મૃતકો અને તેમના પરિવારજનો સાથે પોતાની સંવેદના વ્યક્ત કરી છે.
મૃતકોના આત્માને શાંતિ મળે
અક્ષય કુમારે એક્સ પર જણાવ્યું કે, “એર ઇન્ડિયાના પ્લેન ક્રેશથી આઘાત અને અવાચક છું. આ સમયે ફક્ત પ્રાર્થના કરીએ.” સોનુ સુદે પણ લખ્યું કે, “લંડન માટે ટેક ઓફ થયા બાદ અમદાવાદમાં ક્રેશ થયેલી એર ઈન્ડિયાની ફ્લાઈટ માટે પ્રાર્થના.”
રિતેશ દેશમુખે દુર્ઘટનાને લઈને ચિંતા વ્યક્ત કરી છે. તેમણે એક્સ પર લખ્યું છે કે, “વિમાન ક્રેશ થયાની દુ:ખદ ઘટના હૃદયદ્રાવક છે, હું ખરેખર આઘાતમાં છું. મારી સંવેદનાઓ તમામ મુસાફરો અને તેમના પરિવારજનો અને ઘટનાસ્થળ પર અસરગ્રસ્ત તમામ લોકો સાથે છે. આ કપરા સમયમાં મારા વિચારો અને પ્રાર્થનામાં તેમને યાદ કરૂં છું.”
અભિનેતા રણદીપ હુડાએ પણ એક્સ પર પોસ્ટ કરી છે. તેમણે લખ્યું કે, “અમદાવાદમાં થયેલી દુ:ખદ વિમાન દુર્ઘટના વિશે સાંભળીને હૃદયદ્રવી ઉઠ્યું છે. મારી સંવેદનાઓ અસરગ્રસ્તો સાથે છે. દુર્ઘટનામાં બચી ગયેલા લોકો અને બચાવ ટીમોને શક્તિ મળે તેવી આશા રાખું છું. મૃતકોના આત્માને શાંતિ મળે અને તેમના પરિવારોને આ અપાર નુકસાન સહન કરવાની શક્તિ મળે તેવી પ્રાર્થના.”
સની દેઓલે લખ્યું કપરા સમયમાં ભગવાન હિંમત આપે
સન્ની દેઓલે એક્સ પર લખ્યું કે અમદાવાદમાં થયેલી વિમાન દુર્ઘટનાના સમાચારથી દુ:ખી થયો છું. દુર્ઘટનામાં બચી જનાર લોકો માટે હું હૃદયપૂર્વક પ્રાર્થના કરૂં છું. તેઓની શોધખોળ થાય અને તેમની જરૂરી સંભાળ રાખવામાં આવે. જે લોકોએ જીવ ગુમાવ્યો છે તેમના આત્માને શાંતિ મળે અને તેમના પરિવારજનોને કપરા સમયમાં હિમંત મળે.
જાન્વી કપૂર અને પરણિતી ચોપડા સહિતની અભિનેત્રીઓએ પણ સોશિયલ મીડિયા પર પર પોસ્ટ કરીને મૃતકો માટે પ્રાર્થના કરી છે. જાન્હવી કપૂરે ઈન્સ્ટાગ્રામ પર લખ્યું હતું કે, અમદાવાદથી ઉડાન ભર્યા પછી તરત જ એર ઇન્ડિયાની ફ્લાઇટ ક્રેશના સમાચારથી હું વ્યથિત થઈ છું. આવી દુર્ઘટનાને શબ્દોમાં વર્ણવવી અશક્ય છે. આજે રાત્રે જવાબોની રાહ જોઈ રહેલા મુસાફરો, ક્રૂ અને દરેક પરિવારજનો માટે હું હૃદયપૂર્વક પ્રાર્થના કરું છું.”
પરણિતી ચોપડાએ એક્સ પર લખ્યું કે, “દુર્ઘટનાગ્રસ્ત એર ઈન્ડિયાની ફ્લાઈટના મુસાફરોના પરિવારજનોનું દુ:ખ અકલ્પનીય છે. ઈશ્વરને પ્રાર્થના કે આ સમયે તેઓને હિંમત આપે.”
એર ઈન્ડિયાની ક્રેશ થયેલી ફ્લાઈટમાં ગુજરાતના પૂર્વ મુખ્ય પ્રધાન વિજય રૂપાણી પણ પ્રવાસ કરતા હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે. પરંતુ તેઓને લઈને હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી મળી શકી નથી.