‘ધ કેરળ સ્ટોરી’ને રાષ્ટ્રીય પુરસ્કાર પર ઊઠેલા સવાલોનો અદા શર્માએ આપ્યો જડબાતોડ જવાબ…

અદા શર્માની ફિલ્મ ‘ધ કેરળ સ્ટોરી’ ને આ વખતે બે રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારો એનાયત કરવામાં આવ્યા હતા. આ ફિલ્મને બે શ્રેણીઓમાં રાષ્ટ્રીય પુરસ્કારો મળ્યા હતા – શ્રેષ્ઠ દિગ્દર્શન અને શ્રેષ્ઠ સિનેમેટોગ્રાફી.
જોકે, ઘણી પ્રતિષ્ઠિત હસ્તીઓએ ફિલ્મને વિવાદાસ્પદ ગણાવીને રાષ્ટ્રીય પુરસ્કાર આપવા પર પ્રશ્નો ઉઠાવ્યા હતા. હવે, ‘ધ કેરળ સ્ટોરી’ અભિનેત્રી અદા શર્માએ નામ લીધા વિના અવોર્ડ માટે તેમની ટીકા કરનારાઓને યોગ્ય જવાબ આપ્યો છે.
અદા શર્માએ કહ્યું- ‘દરેક વ્યક્તિને પોતાનો અભિપ્રાય વ્યક્ત કરવાની સ્વતંત્રતા છે. મને લાગે છે કે આ ફિલ્મ ન બનાવવી શરમજનક હોત. હું 25 છોકરીને મળી છું જેઓ આ ભયાનક તબક્કામાંથી પસાર થઈ છે.
આ ફિલ્મ તેમના અનુભવનું હળવું સ્વરૂપ છે. હું તેમના ફિલ્મ જોવા પર ખૂબ જ નર્વસ હતી , પણ સદનસીબે તેમને તે ખૂબ ગમ્યું. તે છોકરીઓને મળ્યા પછી, મને લાગ્યું કે તેમની વાર્તા કહેવાની જવાબદારી મારી છે.’
અદા શર્માએ આગળ કહ્યું- ‘જો સત્ય બોલવું શરમજનક છે, તો મને બેશરમી સામે કોઈ વાંધો નથી. મને એમ કહેવામાં કોઈ શરમ નથી કે હું આતંકવાદની વિરુદ્ધ છું. જે લોકો તેને શરમજનક કહી રહ્યા છે, મને લાગે છે કે તેનાથી મેં તેમની દુખતી નસ દબાવી છે અને મને નથી લાગતું કે જુઠ્ઠાણાથી નુકસાન થાય.’
અભિનેત્રીએ આગળ કહ્યું- ‘તેમાં કોઈ રાજકીય નેતા કે પક્ષનો ઉલ્લેખ નથી. મારા માટે, આ તે છોકરીઓની વાર્તા છે જેમની હેરફેર થાય છે, બ્રેઈનવોશ કરવામાં આવે છે અને આતંકવાદી બનવા માટે મજબૂર કરવામાં આવે છે.
હું આ છોકરીઓ સાથે ઉભી છું.’ અંતે અભિનેત્રી કહે છે- ‘જો આ રાજકીય છે, તો એમ રાખો.. હું તેને બીજા કોઈ દ્રષ્ટિકોણથી જોઈ શકતી નથી. મારે સત્ય સાથે ઊભા રહેવું છે.’
2023માં રિલીઝ થયેલી ફિલ્મ ‘ધ કેરળ સ્ટોરી’નું નિર્દેશન સુદીપ્તો સેન દ્વારા કરવામાં આવ્યું હતું. માત્ર 15 કરોડના બજેટમાં બનેલી આ ફિલ્મે વિશ્વભરમાં બોક્સ ઓફિસ પર 303 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. આ બ્લોકબસ્ટર ફિલ્મમાં અદા શર્મા, યોગિતા બિહાની અને શાલિની ઉન્નીકૃષ્ણન જેવી અભિનેત્રીઓ જોવા મળી હતી.
આ પણ વાંચો…‘ધ કેરલા સ્ટોરી’: રિલીઝ સમયે પણ વિવાદ, હવે નેશનલ એવોર્ડ મળતા જ ખુદ CM થયા નારાજ!