વિશેષ : વિજ્ઞાનને પણ ધર્મના વિશેષ જ્ઞાનનો પરચો મળી રહ્યો છે!

-રાજેશ યાજ્ઞિક
ભારતીય ગ્રંથોમાં શરીરની અંદર પ્રાણ સંસ્થાના અસ્તિત્વનું જ નહીં, પરંતુ તેના ગુણો, ગુણધર્મો, પ્રવૃત્તિઓ, અસરો વગેરેનું પણ વિગતવાર વર્ણન કરવામાં આવ્યું છે. આ માન્યતાને લાંબા સમય સુધી સ્થૂળ વિજ્ઞાન દ્વારા નકારી કાઢવામાં આવી હતી, પરંતુ જેમ જેમ શરીરવિજ્ઞાનનું જ્ઞાન વધતું ગયું તેમ તેમ જીવન પ્રણાલીના અસ્તિત્વને એક ચોક્કસ હકીકત તરીકે સ્વીકારવામાં આવવા લાગ્યું. અથવા તો એમ કહીએ કે હવે વિજ્ઞાનને પણ ધર્મના વિશેષ જ્ઞાનનો પરચો મળી રહ્યો છે! આ સૂક્ષ્મ અસ્તિત્વના ઘણા પુરાવા હવે ભૌતિકશાસ્ત્રના સ્થૂળ સાધનો મારફતે પણ સમજમાં આવવા લાગ્યા છે. ગાયત્રી પરિવાર દ્વારા થતી ગાયત્રી સાધનામાં તેના વિશે બહુ ઊંડાણપૂર્વક, પણ એકદમ સાદી ભાષામાં સમજ અપાય છે. આપણે તેના વિશે ટૂંકમાં જાણીએ જેથી ધર્મમાં રહેલી વૈજ્ઞાનિકતાને આપણે પણ સમજી શકીએ.
ખગોળશાસ્ત્રમાં તો એ સ્વીકાર્ય બન્યું જ છે કે ગ્રહો – નક્ષત્રોની જે દુનિયા આપણા ઋષિ-મુનિઓએ હજારો વર્ષો પહેલા કોઈ ઉપકરણ વગર પણ બતાવી હતી તે આબેહૂબ સત્ય છે. પરંતુ વિજ્ઞાન પુરાવા માગે છે, ધર્મ શ્રદ્ધા માગે છે. આપણે ઋષિ-મુનિઓ પરની શ્રદ્ધાને તિલાંજલિ આપીને ઉપકરણો ઉપર ભરોસો કરનારી પ્રજા બન્યા છીએ. ખેર, મૂળ વાત એ છે કે પ્રાણ જેવું કોઈ સૂક્ષ્મ તત્ત્વ છે તે વિજ્ઞાનની સમજમાં કેવી રીતે આવી રહ્યું છે?
રશિયન ઇલેક્ટ્રોનિક વૈજ્ઞાનિક એમીન કિર્લિયાને એક એવી ફોટોગ્રાફીની શોધ કરી છે જે માનવ શરીરની આસપાસ થતી વિદ્યુત ગતિવિધિઓને પણ કેદ કરે છે. આ પરથી એવું લાગે છે કે સ્થૂળ શરીરની સાથે, એક સૂક્ષ્મ શરીર પણ અસ્તિત્વમાં છે અને તે એવા પદાર્થોથી બનેલું છે જે ઇલેક્ટ્રોનથી બનેલા ઘન પદાર્થ કરતા અલગ સ્તરના છે અને વધુ ગતિશીલ પણ છે.
ઇંગ્લેન્ડના ડૉ. કિલનર એક વાર હૉસ્પિટલમાં દર્દીઓની તપાસ કરી રહ્યા હતા. એક મરણોન્મુખ દર્દીની તપાસ કરતી વખતે, તેમણે જોયું કે તેમના માઇક્રોસ્કોપના કાચ પર વિચિત્ર રંગના પ્રકાશ કણો એકઠા થયા હતા, જે પહેલાં ક્યારેય જોવા મળ્યા નહોતા. બીજા દિવસે, તે જ દર્દીના કપડાં કાઢ્યા પછી તેની તપાસ કરતી વખતે, ડૉ. કિલનર ફરીથી ચોંકી ગયા જ્યારે તેમણે જોયું કે ગઈકાલે તેમણે જે પ્રકાશ જોયો હતો તે હવે માઇક્રોસ્કોપ કાચની સામે તરંગોના રૂપમાં ઉડતો હતો. આ પ્રકાશ દર્દીના શરીરની આસપાસ છ થી સાત ઇંચની ત્રિજ્યામાં ફેલાયેલો હતો. તેમાં ઘણા દુર્લભ રાસાયણિક તત્ત્વોના પ્રકાશ કણો પણ હતા. તેમણે જોયું કે જ્યારે પ્રકાશ ઝાંખો થતો હતો, ત્યારે તેમના શરીર અને નાડીના ધબકારા ધીમા પડી જતા હતા. થોડી વાર પછી અચાનક પ્રકાશનો કિરણ ગાયબ થઈ ગયો. આ વખતે જ્યારે તેમણે તેની નાડીને સ્પર્શ કર્યો, ત્યારે જોયું કે તે મૃત્યુ પામ્યો છે. આ ઘટનાને ઘણા અખબારો અને સામયિકોમાં પ્રકાશિત કરવાની સાથે, ડૉ. કિલનરે પોતાનો વિશ્વાસ વ્યક્ત કર્યો કે જે પદાર્થમાં જીવનના મૂળભૂત ગુણધર્મો હાજર છે તે પદાર્થની પહેલા એક અતિ સૂક્ષ્મ સત્તા છે. જેનો નાશ થવો સંભવ નથી.
આ સંદર્ભમાં, ફોનોગ્રાફ અને લાઇટ બલ્બના શોધક થોમસ એડિસને આ વિષય પર ખૂબ જ સરળ ભાષામાં પ્રકાશ પાડ્યો છે, ‘જીવંત પ્રાણીનું અસ્તિત્વ ઉચ્ચ-સ્તરીય વિદ્યુત કણોના સમૂહના રૂપમાં ત્યારે પણ અસ્તિત્વમાં રહે છે, જ્યારે તે શરીરથી અલગ થઈ જાય.’ શરીરવિજ્ઞાનમાં, કોસ્મિક વીજળી પર ઘણું સંશોધન થઈ રહ્યું છે. શરીરના કેટલાક કેન્દ્રોને વીજળી ઉત્પાદકો તરીકે કોઈ શંકા વિના સ્વીકારવામાં આવ્યા છે. તેમાંના મુખ્ય મગજ, હૃદય અને આંખો છે. મગજમાં વિદ્યુત ઉત્પાદન કેન્દ્રને રેટિક્યુલર એક્ટીવેટિંગ સિસ્ટમ તરીકે ઓળખાય છે. મગજના મધ્ય ભાગમાં ઊંડાણમાં વિદ્યુત આવેગ ઉત્પન્ન થતા રહે છે અને સમગ્ર મગજમાં ફેલાતા રહે છે. મગજના વિદ્યુત પ્રવાહોને તબીબી વિજ્ઞાનમાં ઉપયોગમાં લેવાતા ઇલેક્ટ્રોએન્સેફાલોગ્રાફ (ઈઈજી) દ્વારા માપવામાં આવે છે.
હૃદયને ચલાવવા માટે લગભગ 10 વોટ વીજળીની જરૂર પડે છે. આ વીજળી હૃદયમાં જ ઉત્પન્ન થાય છે. હૃદયમાં જે વિસ્તાર પર વિદ્યુત આવેગ ઉત્પન્ન થાય છે તેને ‘પેસ મેકર’ કહેવામાં આવે છે. આ વિદ્યુત આવેગ ઉત્પન્ન થતાંની સાથે જ, તે લગભગ 0.8 સેક્ધડમાં પરિપક્વ માનવીના હૃદયમાં ફેલાય છે. આ સમય દરમિયાન, હૃદય એક ધબકારો પૂર્ણ કરે છે. આ વિદ્યુત ધબકારા હૃદયના ધબકારાના કારણ અને નિયંત્રક છે. આ વિદ્યુત ધબકારાની અસર ઈસીજી (ઇલેક્ટ્રો કાર્ડિયોગ્રાફ) નામના ઉપકરણ પર રેકોર્ડ કરવામાં આવે છે.
વૈજ્ઞાનિકોના મતે, આંખોમાં પણ ફોટોઇલેક્ટ્રિક કોષો જેવી જ એક સિસ્ટમ હોય છે. ફોટોઇલેક્ટ્રિક કોષોની વિશેષતા એ છે કે તેઓ પ્રકાશને વિદ્યુત તરંગોમાં રૂપાંતરિત કરે છે. વૈજ્ઞાનિકો આ સિસ્ટમ દ્વારા આંખોમાં વીજળી ઉત્પન્ન કરવાની ક્ષમતા સ્વીકારે છે. આંખના રોગોના નિદાન અને વર્ગીકરણ માટે, આંખોમાં ઉત્પન્ન થતા વિદ્યુત ધબકારા ઇઆરજી (ઈલેક્ટ્રો રેટિનોગ્રાફ) મશીન પર રેકોર્ડ કરવામાં આવે છે.
આ વૈજ્ઞાનિક પુરાવાઓ ઉપરાંત, સામાન્ય વ્યવહારુ જીવનમાં પણ, મગજથી ત્વચા સુધી વિદ્યુત આવેગની ક્ષમતાના પુરાવા મળતા રહે છે. આપણે પણ ઘણી વખત તેનો અનુભવ કરીએ છીએ. કોઈના પ્રત્યે આકર્ષણ થવું અથવા અભાવ થવો, સ્પર્શ, ભેટવાથી, પંપાળવાથી પ્રાણીઓને જે સ્પંદનો અનુભવાય છે. વિજ્ઞાન તો હવે તેનો સ્વીકાર કરે છે.
આપણા શાસ્ત્રોમાં હંમેશાં એવું કહેવામાં આવ્યું છે કે શરીરની દરેક ક્રિયા પ્રાણ દ્વારા નિયંત્રિત થાય છે. યોગ ગ્રંથોમાં, શરીરની વિવિધ ક્રિયાઓને નિયંત્રિત કરતા પ્રાણ તત્ત્વને અલગ અલગ નામોથી સંબોધવામાં આવ્યા છે. તેમને પંચ-પ્રાણ કહેવામાં આવ્યા છે.