અલૌકિક દર્શનઃ પ્રાણાયામના અભ્યાસથી મગજની ને જ્ઞાનતંત્રની કાર્યક્ષમતા વધે છે

- ભાણદેવ
(ગતાંકથી ચાલુ)
બીજી અનેક બાબતોની જેમ આ બાબતમાં પણ આ બધી ક્રિયાઓમાં પ્રાણાયામ શિરમોર સાધન છે, એમ અતિશયોક્તિ વિના કહી શકાય તેમ છે.
પ્રાણના નિમ્નગામી પ્રવાહો વ્યક્તિને ભોગ તરફ ખેંચી જાય છે. એ જ પ્રાણના પ્રવાહો જ્યારે ઊર્ધ્વગામી બને ત્યારે સાધક ભોગમાંથી છૂટીને યોગ તરફ અગ્રેસર જાય છે. પ્રાણના આ પ્રવાહોને ઊલટાવવા માટે પ્રાણાયામ ચાવીરૂપ સાધના બની શકે તેમ છે. આ ચાવીનો ઉપયોગ કુશળ અને અનુભવી શિક્ષકના માર્ગદર્શન પ્રમાણે જ કરવાનો હોય છે.
(ઇ) શારીરિક ક્ષેત્રે :
(I) એક એવી ભ્રામક માન્યતા પ્રવર્તે છે કે પ્રાણાયામ દરમિયાન શરીરને વધુ ઑક્સિજન મળે છે. ભસ્ત્રિકા પ્રાણાયામના પ્રથમ ભાગ સિવાય કોઈ પ્રાણાયામમાં આમ બનતું નથી. પ્રયોગો દ્વારા સાબિત થયું છે કે પ્રાણાયામ દરમિયાન અભ્યાસી સામાન્ય શ્ર્વાસોચ્છ્વાસ કરતાં પણ ઓછો ઑક્સિજન લે છે, કારણ કે દર મિનિટે સામાન્ય શ્ર્વાસોચ્છ્વાસનાં આવર્તનો કરતાં પ્રાણાયામનાં આવર્તનો ઘણાં ઓછા થાય છે.
પ્રાણાયામ દ્વારા શ્ર્વસનતંત્રને અને સમગ્ર શરીરને જે ફાયદો થાય છે, તે બીજી રીતે થાય છે. પ્રાણાયામ અભ્યાસીના શ્ર્વસનતંત્રને એવી રીતે તૈયાર કરે છે કે પ્રાણાયામના અભ્યાસકાળ પછી આખા દિવસ દરમિયાન અભ્યાસી સામાન્ય કરતાં વધુ ઑક્સિજન લઈ શકે છે. શ્ર્વસનતંત્રની કાર્યક્ષમતા કાયમી ધોરણે વધી જાય છે. આ વધુ મહત્ત્વપૂર્ણ ઘટના છે.
પ્રાણાયમ દ્વારા શ્વસનતંત્રની આ કેળવણી કેવી રીતે થાય છે?
- રેચક અને પૂરક દરમિયાન ફેફસાંને સામાન્ય શ્વાસોચ્છ્વાસ કરતાં વધુ સારો મસાજ મળે છે. તેથી તેમની કાર્યક્ષમતા વધે છે. વળી, શ્વાસોચ્છ્વાસની ક્રિયામાં મહત્ત્વનો ભાગ ભજવનાર ઉદર પટલ અને છાતીના સ્નાયુઓ પણ લાંબા અને ઊંડા રેચક-પૂરકના અભ્યાસથી વધુ કાર્યક્ષમ બને છે. આમ બનવાથી શ્વસનતંત્રની કાર્યક્ષમતામાં કાયમી ધોરણે વધારો થાય છે.
- પ્રાણાયામના અભ્યાસથી અભ્યાસીને ઊંડા શ્વાસોચ્છ્વાસની કાયમી ટેવ પડે છે. આ ટેવ અભ્યાસકાળ સિવાય પણ આખા દિવસ દરમિયાન ચાલુ રહે છે.
- ઊંડા પૂરક અને રેચક તથા કુંભકના અભ્યાસથી ફેફસાંમાં રહેલા બંધ વાયુકોશો ખૂલે છે અને એક વાર ખુલ્લા થયેલા આ વાયુકોશો અભ્યાસના સાતત્યથી કાયમી ધોરણે ખુલ્લા જ રહે છે. પરિણામે ફેફસાંની વાયુધારણ કરવાની શક્તિ વધે છે.
- પ્રાણાયામ દરમિયાન ઊંડા રેચકથી ફેફસાં સામાન્ય શ્વાસોચ્છ્વાસ કરતાં વધુ ખાલી થાય છે. આમ બનવાથી કાર્બન ડાયૉક્સાઇડથી દૂષિત થયેલો વાયુ વધુ પ્રમાણમાં બહાર કાઢી શકાય છે અને ઊંડા પૂરકને પરિણામે વધુ પ્રમાણમાં ઑક્સિજન અંદર લઈ શકાય છે. પ્રાણાયામના અભ્યાસ પછી પણ શ્વસનતંત્રની આ ટેવ ચાલુ રહે છે. આ રીતે પ્રાણાયામ દ્વારા સમગ્ર શરીરતંત્રનું શોધન થાય છે.
(II) પ્રાણાયામના અભ્યાસ દરમિયાન હૃદયને સામાન્ય શ્વાસોચ્છ્વાસ કરતાં વધુ સારી રીતે મસાજ મળે છે. પરિણામે હૃદયની કાર્યક્ષમતા અને સ્વાથ્યમાં સુધારો થાય છે. ભસ્ત્રિકા જેવા પ્રાણાયામ ના અભ્યાસથી શરીરના છેક દૂર-દૂરના કોશો સુધી પર્યાપ્ત-પર્યાપ્ત પ્રમાણમાં લોહી પહોંચે છે. વળી ધમનીઓ અને રક્તવાહિનીઓને પર્યાપ્ત શોધન, મસાજ અને વ્યાયામ મળી રહેતાં તેમની કાર્યક્ષમતા વધે છે.
(III) પ્રાણાયામના અભ્યાસ દરમિયાન શ્ર્વાસોચ્છ્વાસની ગતિ મંદ પડે છે, પરંતુ તેથી ઊલટું મગજના રુધિરાભિસરણની ગતિ વધે છે, કારણ કે એમ નોંધાયું છે કે કાર્બન ડાયૉક્સાઈડના સંચયથી મગજના રુધિરાભિસરણમાં વધારો થાય છે. આમ છતાં પ્રાણાયામના અભ્યાસથી મગજની અને પરિણામે જ્ઞાનતંત્રની કાર્યક્ષમતા વધે છે.
(IV) શ્ર્વસનતંત્ર, રુધિરાભિસરણતંત્ર અને જ્ઞાનતંત્રની કાર્યક્ષમતા વધતાં, તે ત્રણેની અસરથી અંત:સ્રાવીતંત્રની કાર્યક્ષમતા અને સ્વાસ્થ્યમાં પણ અચૂક સુધારો થાય છે.
(V) પ્રાણાયામના અભ્યાસથી હોજરી, આંતરડાં, કાળજું, પેનક્રિયાસ વગેરેને સારો મસાજ મળે છે અને પેટના સ્નાયુઓને વ્યાયામ મળે છે. પરિણામે ઉત્સર્ગતંત્ર અને પાચનતંત્રની કાર્યક્ષમતા વધે છે.
આમ, પ્રાણાયામના અભ્યાસથી શ્ર્વસનતંત્ર, રુધિરાભિસરણતંત્ર, જ્ઞાનતંત્ર, અંત:સ્રાવીતંત્ર, પાચનતંત્ર, ઉત્સર્ગતંત્ર અને કાંઈક અંશે સ્નાયુતંત્રની કાર્યક્ષમતા અને સ્વાસ્થ્યમાં વધુ ઊંડો અને વધુ સ્થાયી સુધારો થાય છે. આનો અર્થ એમ થયો કે પ્રાણાયામના અભ્યાસથી સમગ્ર શરીરના સ્વાસ્થ્ય અને કાર્યક્ષમતામાં અપ્રતિમ સુધારો થાય છે.
સ્વામી કુવલયાનંદજીએ ઉચિત રીતે જ કહ્યું છે – No Physical exercise can have even one hundred of efficacy of pranayam.
‘શરીર સ્વાસ્થ્યની બાબતમાં પણ શારીરિક શિક્ષણની કોઈ પણ પદ્ધતિ પ્રાણાયામના સોમા ભાગની પણ ક્ષમતા ધરાવતી નથી.’
આ બધું છતાં આપણે અહીં ફરીથી એ હકીકતનું સ્મરણ કરીએ કે પ્રાણાયામનો ઉદ્દેશ શારીરિક સ્વાસ્થ્ય નહીં, પરંતુ આધ્યાત્મિક વિકાસ છે. શારીરિક સ્વાસ્થ્ય આડપેદાશ છે.
- પ્રાણાયામ વિષયક વૈજ્ઞાનિક સંશોધન
પ્રાણાયામ દ્વારા થતાં આંતરિક ફેરફારોને આધુનિક વૈજ્ઞાનિક સાધનો દ્વારા ચકાસવાનું કાર્ય ઘણું મુશ્કેલ છે. વળી, આ વિષય અંગે બહુ વૈજ્ઞાનિક સંશોધન થયું પણ નથી. એટલું જ નહીં, એ પણ સમજી લેવું જોઈએ કે આધ્યાત્મિક ક્ષેત્રની ઘટનાઓ વિશે વૈજ્ઞાનિક સંશોધનનું કાર્ય ખૂબ જ મર્યાદિત કક્ષાનું જ રહેવાનું. આમ છતાં પ્રાણાયામ વિશે જે કાંઈ વૈજ્ઞાનિક સંશોધન થયું છે, તે અહીં પ્રસ્તુત છે
(1) રેચક-પૂરકમાં શ્ર્વાસોચ્છ્વાસની ગતિ ધીમી પડે છે અને કુંભકમાં શ્ર્વાસ બંધ રહે છે. પરિણામે દેખીતું જ છે કે પ્રાણાયામના અભ્યાસ દરમિયાન શરીરમાં કાર્બન ડાયોક્સાઈડ જમા થવાનું પ્રમાણ વધે છે. હવે એ એક હકીકત છે કે કાર્બન ડાયોક્સાઈડ મગજના રક્તાભિસરણ માટે ઉત્તમ ઉત્તેજક છે. મગજના રક્તાભિસરણમાં સુધારો થવાથી મગજના સ્વાસ્થ્યમાં ખૂબ સુધારો થાય છે. શરીરની ઐચ્છિક અને અનૈચ્છિક ક્રિયાઓને નિયંત્રિત કરતા મગજના કેન્દ્રની કાર્યક્ષમતામાં પણ સુધારો થાય છે. પરિણામે સમગ્ર શરીરના સ્વાસ્થ્ય પર તેની અનુકૂળ અસર થાય છે.
(2) કાર્બન ડાયોક્સાઈડનો સંચય મગજ માટે ઉત્તમ પ્રશાંતકનું કાર્ય કરે છે. તેનાથી માનસિક શાંતિ માટેની અનુકૂળ પરિસ્થિતિ તૈયાર થાય છે.
(3) પ્રાણાયામ દરમિયાન શરીરને મળતાં ઑક્સિજનના પ્રમાણમાં ઘટાડો થાય છે, પરંતુ આ ઘટાડો એટલો ધીમો-ધીમો થાય છે કે શરીર આ નવી પરિસ્થિતિ સાથે અનુકૂલન સાધી લે છે. એટલે જો પ્રાણાયામનો અભ્યાસ લાંબા સમય સુધી કરવામાં આવે તો શરીરમાં ઓછા ઑક્સિજનથી કામ ચલાવવાની અને પ્રાપ્ત ઑક્સિજનનો કાર્યક્ષમ ઉપયોગ કરવાની એક વિશેષ શક્તિ પેદા થાય છે. આ બહુ મહત્ત્વનો, મૂલ્યવાન અને મૂલગામી સુધારો છે.
અહીં એ નોંધવું પણ ઉપયોગી થશે કે અંતરંગયોગના અભ્યાસ દરમિયાન શ્ર્વાસોચ્છ્વાસનું પ્રમાણ ખૂબ ઘટી જાય છે અને ક્વચિત્ બંધ પણ પડી જાય છે, જો પ્રાણાયામના અભ્યાસથી શરીર ઉપરોક્ત રીતે તૈયાર ન થયું હોય તો તેના પર વિપરીત અસર થવાનો પૂરો સંભવ છે. એથી ઊલટું પ્રાણાયામના અભ્યાસથી શરીર ઓછા ઑક્સિજનથી ચલાવી લેવા માટે તૈયાર થયું હોય તો તે આ મુશ્કેલીથી બચી જાય છે. (ક્રમશ:)
આપણ વાંચો: મનનઃ કાળી ચૌદશ