ધર્મતેજ
આચમન : માનવતાનો સ્તંભ: સમભાવ

-અનવર વલિયાણી
ઘણા દિવસોથી શિષ્ય ગુરુની પાછળ પડયો હતો.
- દુ:ખથી છૂટી જવાનો રસ્તો એક વારે બતાવો.
છેવટે કંટાળીને ગુરુએ તેને કહ્યું…
બહુ સહેલો રસ્તો છે. જે માણસ કહે કે હું સહુથી વધારે સુખી છું, તેનું પહેરણ માગીને
પહેરાવ :
- શિષ્ય તો નીકળી પડયો એવા શખ્સની તલાશમાં જે સૌથ વધુ સુખી હોય !
— પણ હાય રે કિસ્મત !
- દરેક માણસને મોંએ તેને એમ જ સાંભળવા મળતું કે, મારા કરતાં તો ફલાણો વધારે સુખી છે.
- ઘણા દિવસો -વરસો સુધી આમ ભટકયા પછી તે કોઇના કહેવાથી એક ભિક્ષુક-ફકીર પાસે પહોંચ્યો.
- મોં પર અંગૂઠો નાખી તે ખજૂરીના ઝાડ નીચે બેઠો હતો.
- શિષ્યે એને પૂછતાં ફકીરે કહ્યું.
- ‘હા, હું સહુથી સુખી છું.’
- શિષ્યે તો તેને દંડવત્ પ્રણામ કરી વિનંતી કરી કે, ‘મને તમારું પહેરણ આપો.!’
- ફકીર હસ્યો… પણ જો, ભાઇ. મારા શરીર પર પહેરણ કયાં છે?
- તેણે મુખ આડે મૂકેલો અંગૂઠો ખસેડયો તો એ જ ગુરુ હતા, જે ખુલ્લા શરીરે બેઠા હતા.
- શિષ્યના અંદરનાં નેત્ર ખુલી ગયા. તેણે લજાઇને પૂછયું.
- પણ ગુરુજી, આ વાત તમે મને પહેલાં કેમ કહીં નહી?
ગુરુએ કહ્યું : ‘તને ગળે ન ઊતરત! વચ્ચેની મહેનતને અંતે હવે તું સત્ય પચાવી શકે તેવો થયો છે…!
- ભિતરના ભેદ જાણે તે ભાગ્યવાન !
- પારકા ભાણાના લાડવા હંમેશાં મોટા લાગે. આ અને આવી કહેવતો પાછળ ઘણો મોટો બોધ સમાયેલો હોય છે તે સનાતન સત્યને સમજવો રહ્યો.
- ચિંતન વાણી:
- દરેક જણ સુખની ઇચ્છા રાખે છે, પણ ધર્મ સિવાય મનુષ્યોચિત સુખ કદી પણ મળી શકયું નથી એ વાત તમે કદી ભૂલશો નહીં.
- એકબીજાને માટે એકબીજાએ સહન કર્યા વગર માનવી-જીવન ચાલવું અશક્ય છે.
- સદ્ભાવનાથી, ઉદ્ાત બુદ્ધિથી અને સંતોષથી સહન કરવામાં ખરો ધર્મ છે. જીવનમાં આપણે વિકારવશતાથી લોભ કે અહંકારથી જેટલું આચરણ કરીએ કે સહન કરીએ તે બધું અધર્મ છે.
- આપણે જે કંઇ કર્તવ્ય તરીકે કરીએ, અને બીજા માટે સહન કરીએ તેમાં આપણને અહંકાર થવો જોઇએ નહીં, કારણકે એ અહંકાર જેને માટે આપણે સહન કર્યું હશે તેને દુ:ખ દેશે. તેને પસ્તાવો કરાવશે અને એકબીજાના સંબંધમાં કડવાશ પેદા કરશે, દરાર ઊભી કરશે.
- અહંકાર કદી પણ બીજા દોષોથી અલિપ્ત રહી શકતો નથી. આપણે બીજા ઉપર ઉપકાર કર્યાની ભાવના અહંકાર સાથે હોવાની. ઉપકારની ભાવના પાછળ લોભ હોવાનો જ અને લોભના મૂળમાં બદલાની ઓછામાં ઓછું સ્તુતિની ઇચ્છા તો સહેજે જ હોવાની.
વ્હાલા વાચક બિરાદરો! અહંકાર સાથે રહેનારા આવા અનેક દોષોને લીધે ધર્મનું તેજ નાશ પામે છે. માટે આપણે ઉન્નત થવું હોય, ધર્મનિષ્ઠ રહેવું હોય તો કેવળ સદ્ગુણોના અને માનવતાના ઉપાસક બનવું જોઇએ.
બોધ :
પોતાની જરૂરિયાતો અને ઇચ્છાઓની માફક મનુષ્ય બીજાઓની જરૂરિયાતો અને ઇચ્છાઓનો વિચાર કરવા લાગે અને એ માટે પોતાની ઇચ્છાઓને રોકીને સંતોષપૂર્વક બીજાઓ માટે સહન કરવા માંડે એટલે તે માનવતાને માર્ગે લાગ્યો એમ કહી શકાય.
- માનવતા એટલે જ બીજાઓ વિશે સમભાવ.
આ પણ વાંચો…આચમન: પૈસો ઊંઘ, આરોગ્ય, ભૂખ કે સાચું સુખ આપી શકતો નથી…