અલૌકિક દર્શન: હિન્દુ ધર્મમાં બધી પ્રકૃતિના માનવો માટેનો અધ્યાત્મ પથ ઉપલબ્ધ છે

ભાણદેવ
(ગતાંકથી ચાલુ)
- વૈવિધ્ય :
હિન્દુ ધર્મમાં અનેક સંપ્રદાયો છે, અનેક તત્ત્વજ્ઞાન છે, અનેક પરંપરાઓ છે, અનેક વિધિઓ છે, અનેક ઉપાસના છે, અનેક સાધનપદ્ધતિઓ છે.
જેઓ આંખો મીંચીને વિરોધ જ કરવા ઈચ્છે છે તેઓ હિન્દુ ધર્મની આ લાક્ષણિકતાને અનુલક્ષીને પણ ટીકા કરે છે. તેઓ કહે છે:
‘અરે! હિન્દુ ધર્મ તો ખીચડી છે. તેમાં કોઈ સ્પષ્ટ દર્શન અને સ્પષ્ટ માર્ગ નથી. આમાં તો સામાન્ય માણસ ગૂંચવાઈ જાય તેવું છે. આટલું બધું વૈવિધ્ય માનવીને ગૂંચવી મારે છે.’
હિન્દુ ધર્મમાં અપરંપાર વૈવિધ્ય છે તે સાચું છે, આ વૈવિધ્ય તો આપણું ગૌરવ છે. વૈવિધ્ય પ્રશંસાને પાત્ર છે, નિંદાને પાત્ર નથી. હિન્દુ ધર્મના દરેક પાસાંમાં જે વૈવિધ્ય જોવા મળે છે તેનાં પાંચ કારણો છે:
- હિન્દુ ધર્મ અતિ પ્રાચીન ધર્મ છે.
- હિન્દુ ધર્મમાં ગહન અને વ્યાપક ખેડાણ થયું છે.
- હિન્દુ ધર્મમાં નવા વિકાસ કે પરિવર્તન પર પ્રતિબંધ નથી.
- હિન્દુ ધર્મમાં વ્યક્તિગત ભિન્નતાનો સ્વીકાર છે અને તદનુરૂપ સાધનપદ્ધતિ ગોઠવવાની સ્વતંત્રતા છે.
- હિન્દુ ધર્મમાં મત વૈવિધ્ય અને મતભિન્નતા પ્રત્યે ઉદાર વલણ દાખવવામાં આવે છે.
આ બધાં પરિબળોને કારણે દર્શન, સાધના આદિ તત્ત્વોનાં અનેક સ્વરૂપો હિન્દુ ધર્મમાં વિકસ્યાં છે. હિન્દુ ધર્મ તાડીના ઝાડ જેવો એકદેશીય નથી, પરંતુ અનેક ડાળીઓ તથા વડવાઈઓથી યુક્ત વિશાળ વટવૃક્ષ જેવો છે.
આ વૈવિધ્ય આપણું ગૌરવ છે, આપણી મહામૂલી મૂડી છે, આપણી અધ્યાત્મવિદ્યાના ગહન અને વ્યાપક વિકાસનું સૂચક છે.
મનુષ્યો અનેક પ્રકૃતિના હોય છે. હિન્દુ ધર્મમાં બધી પ્રકૃતિના માનવો માટેનો અધ્યાત્મપથ ઉપલબ્ધ છે. જ્ઞાની માટે વેદાંત છે, ભક્ત માટે ભક્તિયોગ છે, યોગસાધના કરવી હોય તો હઠયોગ-રાજયોગ છે, કર્મમાર્ગ પસંદ હોય તો કર્મયોગ છે. ક્રિયાકાંડનાં પણ અનેકવિધ સ્વરૂપો છે. યજ્ઞયાગ, પૂજા-પાઠ, મંત્રજપ, નામજપ – તમે જે ઈચ્છો તે બધું અહીં તૈયાર છે. તમારી ઈચ્છા પ્રમાણે, રુચિ પ્રમાણે તમારો માર્ગ પસંદ કરો, ગમે તે દર્શન સ્વીકારો, ગમે તે સાધનનું અનુષ્ઠાન કરો, તમને કોઈ રોકશે નહીં. અને આ બધું તમે તમારા હિન્દુત્વને જાળવીને કરી શકો છો. આટલી સ્વતંત્રતા, પસંદગીનું આટલું વૈવિધ્ય, માર્ગની આટલી મોકળાશ બીજે ક્યાંય જોવા મળે છે? બધા જ પ્રકારની પ્રકૃતિ, રુચિ, યોગ્યતાવાળા માનવોને પોતાને અનુરૂપ અધ્યાત્મપથ પસંદ કરવાની સ્વતંત્રતા અને સગવડ જેટલી હિન્દુ ધર્મમાં છે, તેટલી વિશ્ર્વના કોઈ ધર્મમાં નથી.
આ આપણું ગૌરવ છે, ખામી નહીં.
ઉપસંહાર :
હિન્દુઓ ઉદાર અને સહનશીલ છે, તેથી નિંદા-ટીકા પણ તેઓ સહન કરી લે છે કોઈ વ્યક્તિ હિન્દુ ધર્મની વિરુદ્ધ કાંઈ બોલે, લખે કે વિચારે તો હિન્દુઓ તેને સજા કરતા નથી, ગાળો દેતા નથી, તેને મારતા નથી-અરે! તેની વાતો શાંતિપૂર્વક સાંભળે છે હિન્દુઓ પોતાના ધર્મની નિંદા શાંતિથી સાંભળી શકે છે. બધા દેશોમાં આવું નથી. કોઈ-કોઈ દેશોમાં તો ધર્મનિંદા કરનારને યમરાજને ઘરે જ પહોંચાડી દેવાય છે.
ધર્મનું મૂલ્યાંકન જરૂર કરીએ, ધર્મમાં ગલત તત્ત્વો પ્રવેશી જાય તો સમયે -સમયે ધર્મનું શોધન પણ કરતાં રહેવું જોઈએ, પરંતુ ધર્મના યથાર્થ તત્ત્વને સમજ્યા વિના આંખો મીંચીને આડેધડ ધર્મનિંદા કરવી તે કોઈ રીતે ઉચિત નથી.
આપણે હિન્દુ ધર્મની લાક્ષણિકતાને સમજીએ. આપણા હિન્દુત્વની ગરિમાને જાળવીએ. આપણે ધર્મનિંદકોને ફાંસીએ ચડાવવાની જરૂર નથી, તેમ કરવું આપણા લોહીમાં નથી, પરંતુ અશિષ્ટ નિંદા કરનારાઓને રોકવાનો, તેમને પડકારવાનો સમય અવશ્ય આવી ગયો છે. હિન્દુઓની આ ધરતી નધણિયાતું ખેતર નથી કે તેને કોઈ પણ આવીને લણી શકે!
- પ્રસ્તાવ:
પ્રત્યેક ધર્મ કેટલાક મૂળભૂત સિદ્ધાંતો પર પ્રતિષ્ઠિત હોય છે. આ મૂળભૂત સિદ્ધાંતો ધર્મનો પાયો છે. તેમને આધારે ધર્મ ટકી રહે છે. હિન્દુ ધર્મમાં પણ આવા કેટલાક મૂળભૂત સિદ્ધાંતો છે. આ સિદ્ધાંતોમાંનો એક સિદ્ધાંત છે – અવતારનો સિદ્ધાંત. અવતારનો સિદ્ધાંત ભારતીય દર્શન, ભારતીય સંસ્કૃતિ અને હિન્દુ ધર્મમાં લગભગ સર્વસ્વીકૃત સિદ્ધાંત છે. હિન્દુ ધર્મના સ્વરૂપને સમજવા માટે, હિન્દુત્વની ગરિમા સમજવા માટે અવતારના સિદ્ધાંતને સમજવો અનિવાર્ય છે.
આ પણ વાંચો….અલૌકિક દર્શન: હિન્દુઓની નસોમાં લોહીના સ્થાને અધ્યાત્મની ધારા વહે છે
અવતાર એટલે શું, અવતારની ઘટનાનું સ્વરૂપ, શાસ્ત્રોમાં અવતાર, અવતાર શા માટે, અવતારના પ્રકારો, અવતાર અને જીવ, અવતાર વિરુદ્ધની શંકાઓ અને તેમનું નિરાકરણ આદિ અવતાર વિષયક અનેક તત્ત્વોની ગહન અને શાસ્ત્રીય વિચારણાની આવશ્યકતા છે. અહીં આપણે અવતાર તત્ત્વનાં આ સર્વ પાસાંઓને સમજવા પ્રયત્ન કરીએ છીએ.
- અવતાર એટલે શું?
અસ્તિત્વના અનેક સ્તરો છે: ભૌતિક સ્તર, પ્રાણમય સ્તર, મનોમય સ્તર, અધિમનસ સ્તર, અતિમનસ સ્તર આદિ. આ રીતે ચડતા ક્રમમાં અસ્તિત્વના સૌથી ઉચ્ચતમ સ્તર પર પુરુષોત્તમ-ચેતના બિરાજે છે. જ્યારે આ સર્વોચ્ચ ચેતના પંચભૂતનું શરીર ધારણ કરી નિમ્ન ગોળાર્ધમાં, અર્થાત્ શરીર, પ્રાણ, મનની ભૂમિકામાં અવતરિત થાય, નીચે ઊતરી આવે ત્યારે ચૈતન્ય જગતની એક અસાધારણ ઘટના ઘટે છે. આ ઘટના તે અવતારની ઘટના છે. અવતાર અધ્યાત્મ જગતની એક ઘણી રહસ્યપૂર્ણ, પરંતુ સત્ય ઘટના છે.
અવતારની ઘટનામાં પરમાત્મા માનવ બને છે, અમર્યાદિત મર્યાદિતમાં ઊતરી આવે છે, સાગર બિંદુમાં ઊતરી આવે છે. અવતાર પ્રથમ દૃષ્ટિએ અશક્ય લાગે તેવી ઘટના છે, પરંતુ ‘કર્તુમકર્તુમન્યથાકર્તુમ્ સમર્થ’ને કશું અશક્ય નથી.
સમગ્ર અસ્તિત્વ પરમાત્મામાંથી આવે છે, પરમાત્માનું સ્વરૂપ છે, પરમાત્માની અભિવ્યક્તિ છે, પરંતુ આ અભિવ્યક્તિ પ્રકૃતિ દ્વારા થયેલી છે. તેણે પ્રકૃતિના અજ્ઞાનનું આવરણ ઓઢેલું છે. આમ હોવાથી જ તત્ત્વત: આ સમગ્ર અસ્તિત્વ પરમાત્માનું જ સ્વરૂપ હોવા છતાં પોતાના મૂળ સ્વરૂપ વિશે તે સભાન કે સજ્ઞાન નથી. તત્ત્વત: કોઈ પોતાના મૂળ સ્વરૂપથી સર્વથા ચ્યુત થઈ શકે નહીં, છતાં આ જડ-ચેતન-સૃષ્ટિ પોતાના મૂળ પરમાત્મસ્વરૂપથી ઘણી ભિન્ન બનેલી છે, પોતાના મૂળ સ્વરૂપથી અનેક રીતે ચ્યુત થઈને સૃષ્ટિરૂપે અભિવ્યક્ત થયેલ છે.
પરમાત્મા અવતાર ધારણ કરે ત્યારે તે અભિવ્યક્તિ પ્રાકૃતિક અભિવ્યક્તિ કરતાં, અર્થાત્ જડ-ચેતન-સૃષ્ટિની તદ્દન ભિન્ન સ્વરૂપની અભિવ્યક્તિ હોય છે. પરમાત્મા પોતાની દિવ્ય ચેતનામાં રહીને, દિવ્ય ચેતનામાંથી ચ્યુત થયા વિના, અભાન રીતે નહીં, પરંતુ સભાન કે સજ્ઞાન રીતે માનવ-શરીર-પ્રાણ-મન ધારણ કરીને, માનસસ્વરૂપે આ પૃથ્વી પર માનવ-દેશકાળમાં અવતરિત થાય છે તે ઘટનાને ‘અવતાર’ કહેવામાં આવે છે.
આ પણ વાંચો….અલૌકિક દર્શન : શિવતત્ત્વ ને મહિમા અનંત છે…
અવતારની ઘટના પરમાત્માની ઘણી વિશિષ્ટ અને ઘણી રહસ્યપૂર્ણ ઘટના છે. અવતારની ઘટનામાં પરમાત્મા પોતાની દિવ્ય ચેતનામાંથી ચ્યુત થયા વિના, દિવ્ય ચેતનામાં રહીને જ પૃથ્વી પર આવે છે. અવતારમાં પરમાત્મા પોતાનાં દિવ્ય જ્ઞાન, દિવ્ય પ્રેમ, દિવ્ય દૃષ્ટિ-સહિત આવે છે. અવતારની ઘટનામાં પરમાત્મા માનવસ્વરૂપ ધારણ કરીને આવે છે, છતાં તે પોતાની સર્વશક્તિમત્તા -સ્વતંત્રતા, સર્વજ્ઞાતા આદિ-સહિત આવે છે.
આ સમગ્ર અસ્તિત્વ પરમાત્મામાંથી આવે છે, પરંતુ આ અસ્તિત્વ અર્થાત્ જડ-ચેતન-સૃષ્ટિ પોતાની સચ્ચિદાનંદ-ચેતનામાં રહીને અભિવ્યક્ત થતી નથી, પરંતુ પરમાત્મા જ્યારે અવતાર ધારણ કરે છે ત્યારે તે પોતાની સચ્ચિદાનંદ-ચેતના, અર્થાત્ ભાગવત ચેતનામાં રહીને જ માનવસ્વરૂપે પૃથ્વી પર આવે છે, તેથી અવતાર એટલે માનવસ્વરૂપમાં પરમાત્મા.
અવતાર = પરમાત્મા + માનવ
પુરુષોત્તમ પરમાત્મા જ્યારે અવતાર ધારણ કરીને આવે છે ત્યારે તેમનું બહિરંગ શરીર માનવનું છે, પરંતુ તેમની અંતરંગ ચેતના પુરુષોત્તમ-ચેતના જ હોય છે. (ક્રમશ:)