ફોકસ : ગંગા દશેરા એટલે સંસ્કૃતિ ને પરંપરાને માણવાનો પર્વ…

-આર.સી. શર્મા
ગંગા નદી સૌથી પવિત્ર અને પુણ્ય પ્રદાન કરનારી છે. ગંગા માતા પૂજનીય અને જીવનપ્રદાન કરનારી છે. જેઠ મહિનાની દસમી તિથિએ ગંગા દશેરા ઉજવવામાં આવશે. ભારતીય સંસ્કૃતિમાં ગંગા દશેરાનું માત્ર ધાર્મિક જ નહીં, પરંતુ આપણી સભ્યતા, ઈતિહાસ અને જીવનદૃષ્ટિનું સાક્ષાત પ્રતીક છે. એનું વર્ણન તો સ્કંદ પુરાણ અને વિષ્ણુ પુરાણમાં મળે છે. એવી માન્યતા છે કે એ દિવસે રાજા ભગીરથે કઠોર તપસ્યા કરીને ભગવાન શિવને પ્રસન્ન કર્યા હતાં અને તેમની જટામાંથી ગંગાને પૃથ્વી ઉપર લઈ આવ્યા હતા. રાજાએ મહારાજા સગરના 60 હજાર પુત્રોનું ગંગા અવતરણ દ્વારા પુણ્ય તર્પણ કર્યું હતું. ગંગાનું અવતરણ જળના રૂપમાં જ નહીં, પરંતુ પાપનાશિની શક્તિ તરીકે થયુ હતું.
એવી માન્યતા છે કે ગંગાનદીમાં દસ પ્રકારના પાપનો નાશ થાય છે. આ દસ પાપ એટલે કામ, ક્રોધ, મદ, મોહ. લોભ, મત્સર, ઈર્ષ્યા, દ્વેષ, અહંકાર અને આળસ સામેલ છે. એથી ગંગા દશેરા એટલે નદીમાં ડૂબકી લગાવવા પૂરતું જ નથી. એ તો આત્માની શુદ્ધિનો પર્વ છે.
એ દિવસે દાન-પુણ્ય, જપ અને ઉપવાસ કરવામાં આવે છે. હરિદ્વાર, ઋષિકેશ, પ્રયાગરાજ, વારાણસી અને ગઢમુક્તેશ્ર્વરમાં કરોડો શ્રદ્ધાળુઓ એકઠા થાય છે અને પાવન નદીમાં આસ્થાની ડૂબકી લગાવે છે. ગંગાના આચમનથી જન્મોનાં પાપોનું શમન કરે છે.
ગંગા દશેરામાં ધાર્મિક અનુષ્ઠાનની સાથે જ અનેક પ્રકારના સાંસ્કૃતિક મેળા ગંગા કિનારે યોજવામાં આવે છે. આ મેળામાં આપણી પરંપરા અને સંસ્કૃતિના દર્શન થાય છે.
આપણા પંચતત્ત્વો જળ, અગ્નિ, વાયુ, આકાશ અને ધરતીમાં પાણીને સૌથી વધુ મહત્ત્વ આપવામાં આવે છે. એથી જ કહેવાય છે કે ‘જળ છે તો જીવન છે.’
ગંગા માત્ર નદી નથી, પરંતુ આપણી ચેતનાની ધારા છે. ભારતમાં જે પણ સંસ્કૃતિઓ અસ્તિત્વમાં આવી છે એ બધી ગંગાનદીના કિનારે વિકાસ પામી છે. ઋગ્વેદથી માંડીને ગોસ્વામી તુલસીદાસના રામચરિત માનસની રચના પણ ગંગાનદીના કિનારે થઈ હતી. તમામ આધ્યાત્મિક ગ્રંથોમાં ગંગાનું વર્ણન શ્રદ્ધા, ભક્તિ અને આત્મિક પવિત્રતાનાં રૂપમાં થયું છે.
એથી જ કહેવાયું છે કે ગંગા દશેરા એ કોઈ ધાર્મિક અનુષ્ઠાન નહીં, પરંતુ જીવન સંસ્કૃતિનો વિસ્તાર છે.
આ પણ વાંચો…ફોકસ: કુમારપાળને જીવન પર્યંત માંસાહાર ને મદિરાપાન છોડવાની આજ્ઞા મળી…