ધર્મતેજ

ફોકસ : માતા પાર્વતી ને ગૌરીના એક સાથે કરો દર્શન

મનોજ પ્રકાશ

આદિ કૈલાસ ઉત્તરાખંડનું એક માત્ર એવું તીર્થસ્થળ છે કે જ્યાં પહોંચતા જ મનને અસીમ શાંતિ તો મળે છે, પરંતુ સાથે જ માતા પાર્વતી અને ગૌરીના દર્શનનો પણ લાભ મળે છે. બન્ને માતા એક જ શક્તિનું રૂપ છે. નામ બન્નેના અલગ છે પણ અસ્તિત્વ એક જ છે. તેઓ શંકર ભગવાનનાં પત્ની છે. ધર્મ-કર્મની દૃષ્ટિએ તેમનાં નામોનો ઉપયોગ એક જ દેવી માટે કરવામાં આવે છે. મા ગૌરી પાર્વતી માતાનું જ રૂપ છે. જે સૌમ્યતા અને શુભ્રતાનું પ્રતીક છે. તો માતા પાર્વતી સાહસ અને શક્તિને દર્શાવે છે.

માતા પાર્વતીનું વાહન સિંહ છે. તો ગૌરી માનું વાહન બેલ છે. આદિ કૈલાસમાં જ્યારે ઓમ પર્વતના દર્શન કરીએ તો ત્યાં સ્થિત ગૌરી કુંડ જઈને ધન્યતા પ્રાપ્ત થાય છે. અહીંથી કેદારનાથ માત્ર 14 કિલોમીટરના અંતરે છે.

આ એક એવું સ્થળ છે જ્યાં શિવની સાથે પવિત્ર ઓમ પર્વતનાં પણ દર્શન થાય છે. પૌરાણિક માન્યતા મુજબ ઉત્તરાખંડમાં એક એવું સ્થાન છે જ્યાં આજે પણ ગંગા નદી મહાદેવની પરિક્રમા કરે છે. દરેક હિન્દુની ઈચ્છા હોય છે કે તે તેના જીવનકાળ દરમિયાન એક વખત તો માનસરોવરની યાત્રા કરે અને શિવના સાંનિધ્યમાં પોતાને ઓતપ્રોત કરી દે છે.

અહીં પાર્વતી સરોવર એક પવિત્ર સરોવર છે. જે મા પાર્વતીને સમર્પિત છે. અહીં પહોંચીને આધ્યાત્મિક શાંતિ અને આનંદ મળે છે. કુદરતના ખોળે વસેલા આ સરોવરની સુંદરતા મનમોહક છે. વિશાળ હિમાલય પર્વતની શૃંખલાઓથી ઘેરાયેલા આ સરોવર પર્વતરાજ હિમાલય અને મૈના માતાની યાદ અપાવે છે. તેમના સાંકેતિક અલૌકિક દર્શન કરીને ધન્યતા મળે છે.

પાર્વતી સરોવરથી થોડા અંતરે ગૌરી કુંડ છે. એ પણ માતા પાર્વતીને સમર્પિત છે. માત્ર નામનો જ ફરક છે. એવી માન્યતા છે કે માતા પાર્વતીએ એમાં સ્નાન કર્યું હતું. અહીંથી હિમાલય પર્વતની શૃંખલાઓ ખૂબ નજીકથી દેખાય છે. એવું કહેવાય છે કે પાર્વતી સરોવર-ગૌરી કુંડના જળનું આચમન આપણને સંસારનાં તમામ દુ:ખોથી મુક્તિ અપાવે છે. ગૌરી કુંડ વિશ્ર્વનું સૌથી ઊંચા સ્થાને સ્થિત સરોવર છે.

આ પણ વાંચો….ફોકસ : ગંગા દશેરા એટલે સંસ્કૃતિ ને પરંપરાને માણવાનો પર્વ…

15 હજાર ફીટની ઊંચાઈએ આદિ કૈલાસ સ્થિત છે. અહીંનો માર્ગ કોઈ રોમાંચથી ઓછો નથી. કૈલાસ પર્વત જેવો જ આદિ કૈલાશ છે. આદિ કૈલાસનું વર્ણન તો રામાયણ, મહાભારત અને પુરાણોમાં પણ મળી આવે છે. જે ભક્તો કૈલાશ માનસરોવરના દર્શન નથી કરી શકતા તેઓ આદિ કૈલાસના દર્શન કરીને ભગવાન શિવના આશીર્વાદ મેળવી શકે છે. કૈલાસ માનસરોવરને ભગવાન શિવનું ઘર કહેવામાં આવે છે. સાથે જ મોક્ષ અને આધ્યાત્મિકતાનું પ્રતીક પણ માનવામાં આવે છે. આટલું જ નહીં કૈલાસ પર્વત બ્રહ્માંડનું કેન્દ્ર પણ ગણાય છે.

આદિ કૈલાસના આ સરોવરનું મહત્ત્વ એટલા માટે પણ અનેકગણું છે કેમ કે અહીં માતા પાર્વતીએ પુત્ર ગણેશને પ્રાપ્ત કર્યા હતા.

આદિ કૈલાસને અન્ય શિવતીર્થોમાં સૌથી મોખરે રાખવામાં આવ્યું છે. થોડી ટ્રેકિંગ બાદ શિવની સાથે માતા પાર્વતી, માતા ગૌરી, પર્વતરાજ હિમાલય અને કૈલાસ પર્વતના એક સાથે દર્શન કરી શકો છો. અહીં આવીને એવો અનુભવ થાય છે જાણે કે સાક્ષાત શિવ આપણા પર આશિષની વર્ષા કરી રહ્યા હોય. અહીં ભગવાન શંકરે ધ્યાન-યોગ કર્યા હતા. ભોળાનાથનું આ લોકપ્રિય સ્થળ છે. એવી માન્યતા છે કે જ્યારે ભગવાન શિવ માતા પાર્વતી સાથે વિવાહ કરવા જઈ રહ્યા હતા ત્યારે અહીં આવીને રોકાયા હતા. સાથે જ નજીકમાં ત્રિયુગીનારાયણ મંદિર પણ છે, જ્યાં ભગવાન શિવ અને પાર્વતીના વિવાહ સંપન્ન થયા હતા.

આદિ કૈલાસ માનસરોવર જતી વખતે આવે છે. અહીં યાત્રા કરવા આવેલા લોકોનું કહેવું હતું કે તેમને ઓમના નાદ સંભળાઈ રહ્યા હતા.

આદિ કૈલાસ જવા માટે પિથૌરાગઢ પ્રશાસન પાસેથી ઇનરલાઈન પરમિટ લેવી પડે છે. પર્વતની જેમ જેમ ઊંચાઈએ જઈએ તેમ તેમ ઑક્સિજનની ઊણપ વર્તાવા લાગે છે. અહીં તેજ પવન વાતા હોય છે. એથી જેમને શ્ર્વાસની તકલીફ હોય અને હાર્ટના પેશન્ટ હોય તેમને આ યાત્રા ન કરવી જોઈએ. એથી યાત્રા શરૂ કરતા અગાઉ સ્વાસ્થ્યની પૂરી તપાસ કરાવવી જરૂરી છે. આ યાત્રા દરમિયાન જાગેશ્ર્વર, કસાર દેવી અને પાતાળ ભુવનેશ્ર્વરના દર્શન પણ કરવા જરૂરી છે.

આવી રીતે ભોળાનાથ, માતા પાર્વતી અને મા ગૌરીની અસીમ કૃપા મેળવવા માટે આદિ
કૈલાસની યાત્રા એકવાર કરવા જેવી છે.

આ પણ વાંચો….ફોકસ: કુમારપાળને જીવન પર્યંત માંસાહાર ને મદિરાપાન છોડવાની આજ્ઞા મળી…

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button