મનન:મૃત્યુની પ્રતીક્ષા

-હેમંત વાળા
જિંદગીનો સૌથી કઠિન તબક્કો એ કહેવાય કે જ્યારે જીવવાની ઈચ્છા ન હોય અને મૃત્યુ ન આવે. જિંદગીની સૌથી કઠિન સ્થિતિ એ કહેવાય જ્યારે જીવવા માટે કોઈ કારણ ન હોય છતાં જીવનનો અંત આવતો ન હોય. જિંદગીની સૌથી મુશ્કેલ પરિસ્થિતિ એ છે કે જ્યારે મૃત્યુની ઝંખના હોય અને મૃત્યુ દૂર રહે. જ્યારે જિંદગીના બધાં જ સંબંધો નિરર્થક જણાયાં પછી પણ તે સંબંધ-યુક્ત વાતાવરણમાં અસ્તિત્વ ટકી રહે, કોઈપણ ભાવનાત્મક સંબંધ માટે કોઈ અવકાશ ન હોય, કોઈપણ પ્રકારની ક્રિયા કે પ્રવૃત્તિ માટે રસ શેષ ન હોય, શરીરના કોઈ ધર્મ માટે સભાનતા વધી ન હોય, દરેક સ્થાનેથી લગભગ મન પરત થયું હોય, બધું જ વ્યર્થ જણાતું હોય, દરેક પ્રકારની દોડ થંભી ગઈ હોય, સંબંધોની પોકળતા અને નશ્વરતા ધ્યાનમાં આવી ગઈ હોય, સ્વયંનું અસ્તિત્વ પણ ક્યારેક કંટાળાજનક લાગતું હોય, દરેક પ્રકારની ક્ષમતા ક્ષીણ થઈ ચૂકી હોય અને જીવવા માટે કોઈ કારણ ન વધ્યું હોય તો પણ મૃત્યુ ન આવે એ જીવનની સૌથી મુશ્કેલ ઘડી છે. કર્મફળનો ભોગવટો હજુ બાકી હશે.
શ્વાસ લેવાની ઈચ્છા ન હોય પણ શ્વાસ લેવાતો હોય, ટેકો જોઈતો ન હોય છતાં પણ લેવો પડતો હોય, સંબંધોના તાણાવાણા તોડવાં હોય છતાં તે સંબંધો જાણે ટકી રહેવાં માગતા હોય, દરેક પરિસ્થિતિથી છૂટા પડવાની ઈચ્છા હોય અને પરિસ્થિતિ જ જાણે જકડી રાખતી હોય, મૃત્યુનું આગમન વેંત છેટં જણાતું હોય છતાં પણ જાણે તે પહોંચની બહાર હોય, કશું જ કરવાની ઈચ્છા ન હોય છતાં પણ કરવું પડતું હોય, પોતાની નજરથી પણ ઓઝલ થઈ જવાની જલ્દી હોય છતાં પણ બધું નજરે ચડતું હોય અને બધાંની નજરે ચડી જવાતું હોય, લગભગ નિષ્ક્રિયતામાં સમય પસાર થતો હોય છતાં પણ લાગે કે સમય જાણે થંભી ગયો હોય, આંખ ખોલવાની પણ ઈચ્છા ન હોય પણ આંખ ખુલ્લી રહેતી હોય અને ક્યારેક અતિ પ્યારી લાગતી દિલની ધડકન પણ દુશ્મન સમાન જણાતી હોય, છતાં પણ મૃત્યુ દૂર રહે. જીવનની આ એક સૌથી તકલીફજનક પરિસ્થિતિ છે.
એમ કહેવાય છે કે આશા સદાય જીવંત રહે છે. વાત સાચી છે, એક સમય સુધી જીવવાની આશા હોય અને ત્યારબાદ મૃત્યુ માટે આશા બંધાય. એક સમય સુધી બંધનની આશા હોય પછી મુક્તિ માટે અપેક્ષા જાગે.
આ પણ વાંચો…..મનન: માન્યતા ને સત્ય
જીવનના એક તબક્કા સુધી વિવિધ બાબતો પર સ્વામીત્વ સ્થાપવા માટેનાં પ્રયત્નો થાય તો ક્યારેક સ્વામીત્વના લગાવથી મુક્ત થવા માટેની ઈચ્છા જાગે. ક્યારેક સમગ્ર દુનિયા પર પ્રભુત્વ સ્થાપવા માટે પ્રયત્નશીલ રહેનાર વ્યક્તિને જીવનના અંત ભાગમાં આ પ્રભુત્વ અર્થવિહીન લાગે. પછી બધાંથી છૂટી જવું હોય, બધી પરિસ્થિતિમાંથી બહાર નીકળી જવું હોય, બધી જ માન્યતા અને ધારણાનો ત્યાગ કરવો હોય, જે અસ્તિત્વ સરસ રીતે ટકાવી રાખવા અત્યાર સુધી પ્રયત્ન કર્યો હોય તે અસ્તિત્વ હવે બિનજરૂરી જણાતું હોય. છતાં પણ મૃત્યુ દૂર રહે.
અમુક સમય પછી જીવવાની ઈચ્છા પણ નાશ પામે છે. જોકે બધાંને આમ નથી થતું હોતું. કેટલાંક લોકો છેલ્લાં શ્વાસ સમયે પણ હજુ શ્વાસ વધુ ચાલુ રહે તેવી આશા રાખતાં હોય છે. આ પણ એક કઠિન સ્થિતિ છે. મૃત્યુ ઇચ્છતા હોઈએ ત્યારે મૃત્યુ ન આવે અને મૃત્યુને દૂર ધકેલવા પ્રયત્ન કરીએ ત્યારે મૃત્યુ પોતાનું વર્ચસ્વ સ્થાપી દે, આ બંને પરિસ્થિતિમાં કદાચ એક સમાન તકલીફ પડે. સૂક્ષ્મ ભેદ હોઈ શકે, પરંતુ અસ્વીકૃતિ તો બંને પરિસ્થિતિમાં પીડાજનક જ રહેવાની. કર્મફળ ભોગવવાના હજુ બાકી હોય તો જ આમ થાય.
મૃત્યુની આ દૂરીનો તબક્કો સકારાત્મકતાથી લેવાની જરૂર છે. અહીં ઘણી અદભુત સંભાવનાઓ ઊભી થતી હોય છે. ઈશ્વર સ્મરણ માટે વધુ સમય મળી શકે, દુનિયાની અને દુનિયા સાથેનાં સમીકરણોની નિરર્થકતા વધુ ધ્યાનમાં આવી શકે, જાત પ્રત્યેનો લગાવ હજુ ઓછો થઈ શકે, વ્યર્થ બાબતોની વ્યર્થતા વધુ સમજમાં આવી શકે, પોતાનાં સમગ્ર જીવનનું વિશ્લેષણ તટસ્થતાથી વધુ વ્યવસ્થિત થઈ શકે, શ્રેય અને પ્રેયનો તફાવત વધુ સ્પષ્ટ રીતે સમજી શકાય તેવી સંભાવના ઊભી થઈ શકે, ગુદેવની થોડી વધુ કૃપાની અપેક્ષા જાગી શકે, શ્વાસનું વધુ ઝીણવટ ભરેલું અવલોકન શક્ય બને, શરીરની નશ્વરતા પ્રત્યે વધુ ધ્યાન જઈ શકે, મનનો પ્રપંચ વધુ સમજમાં આવી શકે અને આ બધાં સાથે સંપૂર્ણ મુક્તિ માટેની ઈચ્છા વધુ દ્રઢ બની શકે. મૃત્યુ મોડું આવે તે પણ એક વરદાન છે.
આ પણ વાંચો…..મનન : તારી શક્તિ શ્રીરામની
ઈશ્વર પ્રત્યેનો લગાવ ઓછો ન થવો જોઈએ, ઈશ્વરની કૃપા પ્રત્યે અવિશ્વાસ જાગ્રત ન થવો જોઈએ, સૃષ્ટિના નિયમો બાબતે શંકા ઊભી ન થવી જોઈએ, પરમ પરમાત્માની ન્યાય પદ્ધતિ માટે ફરિયાદ ઊભી ન થવી જોઈએ, `અહમ બ્રહ્માસ્મિ’ની અવધારણા પણ ક્ષીણ ન થવી જોઈએ, નિરાશ થયા વગર અંતે શુભ થશે જ તે પ્રકારનો ઈશ્વર-વિશ્વાસ જાળવી રાખવો જોઈએ – એકંદરે એમ કહી શકાય કે ઈચ્છા હોય તો પણ મૃત્યુ ન મળે તો તેને પણ ઈશ્વરનો આશીર્વાદ સમજવો જોઈએ.
પરિસ્થિતિ માનવીને આધીન નથી હોતી. પરિસ્થિતિમાં કેવાં પ્રકારની સંભાવના સ્થાપિત કરવી તે માનવી નક્કી કરી શકે. સમય માનવીના નિયંત્રણમાં નથી પણ તે સમયનો ઉપયોગ કેવો કરવો તે વાત માનવી નિર્ધારિત કરી શકે. મૃત્યુ માનવીની ઈચ્છાનો વિષય નથી પણ મૃત્યુ સુધીનો સમય કઈ રીતે વ્યતીત કરવો તે માનવીની માનસિકતા પર ચોક્કસ આધાર રાખે છે. દરેક પરિસ્થિતિ યોગ્ય છે અને દરેક પરિસ્થિતિમાં અપાર આધ્યાત્મિક સંભાવનાઓ રહેલી હોય છે.