ધર્મતેજ

ચિંતન : શાશ્વત-સાંજોગિક…

-હેમુ ભીખુ

એમ જણાય છે કે કુદરતમાં મોટી મોટી બાબતો પૂર્વનિર્ધારિત હોય છે, પરંતુ વિગતિકરણ જેવી નાની નાની બાબતો માટે આમ નથી હોતું. તેથી જ મુખ્ય બાબતો વિશે અનુમાન થઈ શકે પરંતુ પરિઘ પર આવેલી બાબતો તે પ્રકારનાં અનુમાનના માળખામાં બંધબેસતી ન પણ હોય. એમ સમજાય છે કે સૃષ્ટિના નિયમમાં મુખ્ય મુખ્ય બાબતોને કુદરત નિર્ધારિત કરે છે જ્યારે ગૌણ બાબતો સ્થાનિક સ્તરે આકાર લે છે. સૃષ્ટિની મુખ્ય મુખ્ય બાબતો સૃષ્ટિના ચોક્કસ શાશ્વત નિયમોને આધીન હોય છે જ્યારે તે સિવાયની બાબતો જુદાં જ પ્રકારના નિયમોને આધીન છે. આ જુદાં જ પ્રકારના નિયમોનું પ્રભુત્વ એટલું નથી હોતું જેટલું મુખ્ય નિયમોનું હોય છે. નિયમો તો આ બંને સ્તરે છે, પરંતુ એક નિયમ સૃષ્ટિના સ્તરે કાર્યરત હોય છે જ્યારે બીજો નિયમ સ્થાનિક સ્તરે જોવાં મળે – જેને સાંજોગિક પણ કહી શકાય.

કેરીનો ગોટલો વાવવાથી આંબો ઊગે. જ્યારે કેરીનો ગોટલો વાવવામાં આવે ત્યારે તેની પાછળ શાશ્વત નિયમ પ્રત્યેનો વિશ્વાસ કારણભૂત હોય. આંબો ઊગશે જ, આંબો જ ઊગશે અને ચોક્કસ સમય પછી કેરી પ્રાપ્ત થશે જ – આ પ્રકારનો વિશ્વાસ શાશ્વત નિયમને આધારિત હોય. પણ આંબામાં જે વિવિધતા હોય એ સાંજોગિક નિયમોને આધીન હોય. સાથે ઊગાડવામાં આવેલા કોઈપણ બે આંબા પણ એક સમાન ન હોય. તેમનો વિકાસ કુદરતના શાશ્વત સિદ્ધાંત પ્રમાણે ‘સમાન’ હોય પણ અને પરિસ્થિતિ પ્રમાણે સાંજોગિક સિદ્ધાંત અનુસાર ‘ભિન્ન’ પણ હોય. કોઈપણ આંબો સંપૂર્ણતામાં શાશ્વત સિદ્ધાંત પ્રમાણે ન વિકસે, ક્યાંક સાંજોગિક પરિબળો પોતાનું પ્રભુત્વ દર્શાવે. અહીં એવો તર્ક થઈ શકે કે પ્રયોગશાળા જેવાં માહોલમાં વૈજ્ઞાનિક ઢબે આંબો ઉગાડવામાં આવે તો તે સંપૂર્ણ શાશ્વત સિદ્ધાંત અનુસાર કોઈપણ શકે. અહીં જવાબ એમ આપી શકાય કે તે આંબા માટે આવો માહોલ મળવો એ પણ એક સાંજોગિક અકસ્માત છે. જો બધું જ પ્રયોજિત રીતે થતું હોય, જો બધાં જ આંબા પ્રયોજિત રીતે જ વિકાસ પામતાં હોય, તો એક જ પ્રકારની શ્રેણીના ગોટલામાંથી ઉગતાં આંબા એક સમાન હોય.

સમગ્ર સૃષ્ટિમાં જ્યારે પરિસ્થિતિ મહદ્અંશે શાશ્વત સિદ્ધાંત અનુસાર હોય ત્યારે તેની પાછળ કુદરતના નિયમો કામ કરે. કાલે સવારે પૂર્વમાં સૂર્યોદય થશે, આ ઘટના શાશ્વત સમાન છે. તે સૂર્યોદયની અસર જુદાં જુદાં સ્થાને કેવી રહેશે તે સાંજોગિક ઘટના બની રહે. એકંદરે સૂર્યોદયથી કયું પરિણામ ઊભરશે તે આ બંને સિદ્ધાંતના સમન્વયથી સ્થાપિત થાય. સૂર્ય તો એક સમાન તાપમાન લઈને આવે, જો વાતાવરણમાં ધૂળ હોય તો તે તાપમાનની અસર ઓછી રહે, નહીંતર સુરજની પ્રખરતા વધુ વર્તાય. વર્ષા ઋતુમાં વરસાદ પડે એ લગભગ નક્કી પણ ક્યારે, કેટલો, કેવી રીતે પડે તે સ્થાનિક પરિબળોને આધારિત હોય. સૃષ્ટિની જે ઘટનામાં શાશ્વતતાની માત્રા વધુ હોય તે ઘટના નિયતિને આધારિત છે તેમ કહેવાય.

કુદરતનાં શાશ્વત સિદ્ધાંત પોતાની રીતે કાર્યરત થાય, સ્થાનિક પરિસ્થિતિ તેની અસરમાં બદલાવ લાવી શકે. કુદરતના શાશ્વત સિદ્ધાંત એક પ્રકારની સાતત્યતા સ્થાપી શકે, સ્થાનિક પરિસ્થિતિ પોતાની રીતે તેમાં કેટલોક ફેરફાર લાવી શકે. કુદરતનાં શાશ્વત સિદ્ધાંત મોટાં મોટાં નિર્ણયો લે જ્યારે સ્થાનિક પરિસ્થિતિ તે નિર્ણયમાં નાનાં નાનાં બદલાવ લાવે. કુદરતના શાશ્વત સિદ્ધાંત એટલે પ્રયોજિતતા અને સ્થાનિક પરિસ્થિતિને કારણે ઉદ્ભવતી ભિન્નતા એટલે આકસ્મિતતા. સૃષ્ટિની પ્રત્યેક ઘટના આ બંનેના સમન્વય સમાન છે. કઈ બાબતનું પ્રભુત્વ કેટલું હશે તે સૃષ્ટિની વાસ્તવિક તેમજ ઈચ્છનીય પરિસ્થિતિનાં મહત્ત્વ પર આધાર રાખે.

સૃષ્ટિમાં કેટલીક નિશ્ચિતતા છે અને કેટલીક અનિશ્ચિતતા. નિશ્ચિત બાબતો કુદરતના સિદ્ધાંતને આધારિત હોય છે જ્યારે અનિશ્ચિત બાબતો જે તે સમયે જે તે પરિસ્થિતિને કારણે, અસ્તિત્વમાં આવતાં કે હયાત, સાંજોગિક ઘટકોના હસ્તક્ષેપને કારણે સ્થાપિત થાય છે. અહીં કશું જ એક-પક્ષીય નથી. ક્યારેક એમ જણાય છે કે અહીં બધાંને પોતાનો ભાગ ભજવવાની સ્વતંત્રતા છે. પરંતુ જે મોટી મોટી વાતો છે, મુખ્ય મુખ્ય બાબત છે તેમાં કુદરતના સિદ્ધાંત જ પ્રભુત્વ ધરાવે છે. આમાં ચોક્કસ કેટલાંક અપવાદ છે.

આમ પણ સૃષ્ટિમાં એક પણ બાબત સંપૂર્ણ નિશ્ચિત નથી કે નથી અનિશ્ચિત. ભૌતિક વિશ્વમાં, સૃષ્ટિમાં કોઈપણ સ્થાને સંપૂર્ણ અંધારું નથી અને સાથે સાથે કોઈપણ સ્થાન એવું નથી જ્યાં માત્રને માત્ર પ્રકાશનું પ્રભુત્વ હોય. સમગ્ર સૃષ્ટિ અંધકાર અને પ્રકાશના સમન્વય સમાન છે. જ્યારે પ્રકાશનું અસ્તિત્વ અમુક માત્રાથી વધુ હોય ત્યારે આપણે તેને પ્રકાશિત કહીએ અને તેનાથી વિપરીત પરિસ્થિતિને અંધકાર કહેવાય. સૃષ્ટિમાં સંપૂર્ણતામાં કશું જ આમ નથી કે કશું જ તેમ નથી. આ આમ અને તેમ વચ્ચેનું કારણ સહિતનું પ્રાયોજિત સંતુલન એટલે જ વિશ્વ.

ચૈતન્યમાં પ્રકૃતિનું પ્રભુત્વ હોય છે. ચૈતન્યમાં પણ આ પ્રકૃતિના પ્રભુત્વને કારણે ચોક્કસ માત્રાનું જડત્વ હોય છે. તેવી જ રીતે જડતામાં પણ ચોક્કસ માત્રાનું ચૈતન્ય હંમેશાં હાજર હોય. બ્રહ્મની પણ પ્રકૃતિ છે અને સૃષ્ટિના સૌથી જડ ગણાતાં પદાર્થમાં પણ બ્રહ્મનું અસ્તિત્વ છે – બ્રહ્મનું પ્રતિબિંબ છે. સમગ્ર સૃષ્ટિ બે વિરોધી બાબત વચ્ચેના ગાળાનું અસ્તિત્વ છે. સૂક્ષ્મતાથી જોતાં જણાય છે કે અનિશ્ચિતતામાં પણ નિશ્ચિતતા હોય છે અને નિશ્ચિતતા સાથે પણ અનિશ્ચિતતા સંકળાયેલી રહે છે. એમ લાગે છે કે વિરોધીઓનું સહ-અસ્તિત્વ એ સૃષ્ટિનું સ્વરૂપ છે. પ્રવર્તમાન સિદ્ધાંત એ છે કે એક પણ સિદ્ધાંત સંપૂર્ણતામાં અહીં કાર્યરત નથી. આ સ્થળ વિશ્વનો નિયમ છે, સૂક્ષ્મ વિશ્વ તથા કારણ વિશ્વની ભૂમિકા જ જુદી હોય છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »
Back to top button