કસારા ઘાટ પર ખોરવાતા ટ્રાફિક અંગે હાઈ કોર્ટની સાફ વાત
![The High Court's clear statement regarding traffic disruptions at Kasara Ghat](https://bombaysamachar.com/wp-content/uploads/2024/03/k-kavitha-2024-03-29T201330.364.jpg)
વાહનચાલકો વાહન વિરુદ્ધ દિશામાં હંકારે તો એમાં કોર્ટ શું કરે?: અમે કંઇ ટ્રાફિકની સમસ્યા દૂર કરવા નથી બેઠા
મુંબઈ: કસારા ઘાટ પર થતા ટ્રાફિક જામની સમસ્યા તરફ ધ્યાન દોરનારી જનહિત અરજીનો હાઈ કોર્ટે શુક્રવારે નિકાલ લાવ્યો હતો. ઘાટના રસ્તે ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન થઇ રહ્યું હોવાનો દાવો અરજીકર્તાએ કર્યો હતો. તેના પર હાઈ કોર્ટે જણાવ્યું હતું કે વાહનચાલક વિરુદ્ધ દિશામાંથી વાહન હંકારતા હોય તો એમાં કોર્ટ શું કરી શકે? ટ્રાફિકની સમસ્યાનું નિરાકરણ લાવવા માટે અમે નથી બેઠા, એવી સ્પષ્ટ વાત હાઈ કોર્ટે અરજીકર્તાને કરીને કહ્યું હતું કે આના માટે તમારે ઓથોરિટી પાસે ન્યાય માગવો રહ્યો.
આપણ વાંચો: મુંબઈ-પુણે એક્સ્પ્રેસ-વે ફરી ટ્રાફિક જામ, તસવીરો થઈ વાઇરલ
મુંબઈથી કસારા ઘાટના માર્ગે નાશિક જતા એક્સપ્રેસ હાઈવે પર અમુક વાહનચાલકો વિરુદ્ધ દિશામાં કાર ચલાવતા હોય છે. આને કારણે અકસ્માતનું પ્રમાણ પણ વધી ગયું છે. આ માર્ગ પર નિયમિત ધ્યાન રાખવા માટે ટ્રાફિક પોલીસ તહેનાત કરવી જોઇએ અને નિયમ તોડનારા વાહનચાલક પર કાર્યવાહી કરવી જોઇએ, એવી માગણી કરીને ડો. મંજુલા વિશ્વાસે બે જનહિત અરજી કરી હતી. અરજી પર શુક્રવારે મુખ્ય ન્યાયાધીશ દેવેન્દ્રકુમાર ઉપાધ્યાય અને ન્યાયાધીશ આરીફ ડોક્ટરની ખંડપીઠ સમક્ષ સુનાવણી હાથ ધરવામાં આવી હતી અરજીકર્તાની માગણીને અનુસરીને નિર્દેશ આપવાનો ખંડપીઠે નકારી દીધું હતું. વાહનચાલક ટ્રાફિકના નિયમનું ઉલ્લંઘન કરે તો તેમાં કોર્ટે શું ધ્યાન રાખવાનું? આ માટે પ્રશાસન છે.
અમે કંઇ અહીં ટ્રાફિકના પ્રશ્નોનું નિરાકરણ કરવા નથી બેઠા. અરજીકર્તાએ સંબંધિત ઓથોરિટીને નિવેદન આપવું અને ઓથોરિટીએ તેમના નિવેદન બાબતે દરમિયાનગીરી કરવી, એવું સ્પષ્ટ કરીને હાઈ કોર્ટે બંને જનહિત અરજીને ફગાવી દીધી હતી.