Surat: સાત શ્રમિકોના મોત બાદ એથર કંપની પર કાર્યવાહી, GPCBએ ફટકારી ક્લોઝર નોટિસ
સુરત: સચિન GIDCમાં આવેલી એથર ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડની કેમિકલ ફેક્ટરીમાં બુધવારે વહેલી સવારે ફાટી નીકળેલી આગમાં સાત કામદારોના મોત નીપજયા હતા, સુત્રોના જણાવ્યા મુજબ દાઝી ગયેલા 6 કામદારોની હાલત ગંભીર છે. ઘટના બાદ ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ(GPCB)એ એથર ઈન્ડસ્ટ્રીઝને ક્લોઝર નોટિસ ફટકારી છે. ઉપરાંત કંપનીને 50 લાખ રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. આગની ઘટનામાં નબળી કામગીરી બદલ ઉધના મામલતદાર પાસેથી ચાર્જ છીનવાયો છે.
દુર્ઘટનાની તપાસ માટે જીલ્લા કલેક્ટરે કમિટીની રચના કરી છે. GPCB, ફાયર વિભાગ, ફેક્ટરી ઈન્સ્પેક્ટર, સચિન વિસ્તારના PI દુર્ઘટનાની તપાસ કરશે. કલેક્ટરે આગની ઘટનાનો તપાસ રિપોર્ટ સાત દિવસમાં સોંપવાના આદેશ આપ્યા હતા. ઉધના મામલતદાર આશિષ નાયક પાસેથી ઈન્ચાર્જ ડિઝાસ્ટરનો ચાર્જ છીનવી લેવામાં આવ્યો છે. સુત્રોના જણાવ્યા મુજબ આટલી મોટી ઘટનાની જાણ કલેક્ટરને કરવામાં આવી નહોતી. ઈલેક્શન શાખાના મામલતદારને ડિઝાસ્ટરનો ઈન્ચાર્જની જવાબદારી સોંપવામાં આવી છે.
એથર ઇન્ડસ્ટ્રીઝને GPCBની મંજૂરી વગર ફરી ઉત્પાદન શરૂ નહી કરવાના પણ આદેશ આપવામાં આવ્યો છે. એથર ઈન્ડસ્ટ્રીઝને પાંચ જેટલા રિપોર્ટ સબમિટ કરવાનો પણ આદેશ આપવામાં આવ્યો છે.
એથર ઈન્ડસ્ટ્રીઝે આ દુર્ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું હતું. કંપનીના પદાધિકારીઓએ જણાવ્યું હતું કે, અમારા સાત મૃત શ્રમિકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરીએ છીએ. મૃતકના પરિવારજનોને વ્યક્તિ દીઠ 50 લાખ રૂપિયાનું વળતર આપવામાં આવશે. સાથે જ પરિવારના સભ્યોને નોકરી પણ આપવામાં આવશે. મૃતકોના બાળકો માટે અભ્યાસની વ્યવસ્થા પણ કરવામાં આવશે. ઈજા થવાથી કાયમી દિવ્યાંગ થયેલા અને કામ કરવામાં સક્ષમ ન રહેલા શ્રમિકોને 25 લાખ રૂપિયા તેમજ સારવારનો તમામ ખર્ચ કંપની તરફથી આપવામાં આવશે.
.