કટિહારમાં અવધ-અસમ એક્સપ્રેસ દુર્ઘટના: ટ્રોલીમેનનું મોત, ત્રણ કર્મચારી ગંભીર ઘાયલ…

કટિહાર: 20 જૂન, 2025ના રોજ બિહારના કટિહાર-બરૌની રેલવે સેક્શનમાં અવધ-અસમ એક્સપ્રેસ ટ્રેન અને રેલવે ટ્રોલી વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો, જેમાં એક ટ્રોલીમેનનું મોત થયું અને ત્રણ રેલ કર્મચારી ગંભીર રીતે ઘાયલ થયા છે. આ અકસ્માતને લઈ રેલવે વિભાગમાં ખળભળાટ મચી ગયો છે. કટિહારના એડિશનલ ડિવિઝનલ રેલવે મેનેજર (ADRM) મનોજ કુમાર સિંહે આ અકસ્માતની પુષ્ટિ કરી અને તાત્કાલિક બચાવ કાર્યવાહી શરૂ કરવાની જાણકારી આપી.
કટિહાર-બરૌની રેલવે સેક્શનમાં અવધ-અસમ એક્સપ્રેસ ટ્રેન રેલવે ટ્રોલી સાથે ટકરાઈ, જેના કારણે એક ટ્રોલીમેનનું ઘટનાસ્થળે જ મોત થયું. ત્રણ અન્ય રેલ કર્મચારીને ગંભીર ઈજાઓ પહોંચી. ADRM મનોજ કુમાર સિંહે જણાવ્યું કે આ અકસ્માત કટિહાર રેલ ડિવિઝન વિસ્તારમાં બન્યો. તેમણે તાત્કાલિક મેડિકલ ટીમ મોકલી અને ઘાયલોને નજીકના આરોગ્ય કેન્દ્રમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા, જ્યાં તેમની સારવાર ચાલુ છે.
દુર્ઘટના બાદ ટ્રેનમાં સવાર મુસાફરો ટ્રેક પર ઉતરી આવ્યા હતા. ઘટનાને પગલે ટ્રેનને અટકાવી દેવાની ફરજ પડી હતી. થોડા સમય માટે રૂટ પરની ટ્રેનનો સંચાલન પણ ખોરવાઈ ગયુ હતું. પરંતુ રેલવે અધિકારીઓએ ઝડપથી પરિસ્થિતિ સંભાળી અને ટ્રેનોનું સંચાલન ફરી શરૂ કર્યું. આ ઘટના રેલવેની સુરક્ષા વ્યવસ્થા પર સવાલો ઉભા કરે છે, કારણ કે ટ્રોલીઓ ટ્રેક પર કામ કરતી વખતે આવી ઘટનાઓ ટાળવા માટે કડક પ્રોટોકોલ હોવા જોઈએ.
તપાસનો ધમધમાટ શરૂ
રેલવે વિભાગે આ ઘટનાની તપાસ શરૂ કરી છે, જેમાં ટ્રોલી અને ટ્રેન વચ્ચે અથડામણના કારણો શોધવામાં આવશે. પ્રાથમિક રીતે ટ્રેક પર ટ્રોલીની હાજરી અને સિગ્નલિંગ સિસ્ટમની ભૂલો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. રેલવે અધિકારીઓએ ઘાયલોની સારવાર અને પીડિત પરિવારને સહાયની ખાતરી આપી છે. આ ઘટનાએ સ્થાનિકોમાં પણ ચિંતા ફેલાવી છે.