ગુમ થયેલા ગુજરાતી ફિલ્મસર્જક મહેશ જીરાવાલાનું પણ એરક્રેશમાં મોત

અમદાવાદઃ શહેરના મેઘાણીનગર વિસ્તારમાં ગુરુવાર, તા. 12 જૂન, 2025ના રોજ એર ઈન્ડિયાનું અમદાવાદથી લંડન જતું વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. આ ઘટના બની ત્યારે ગુમ ગુજરાતી ફિલ્મ મેકર મહેશ જીરાવાલા તે વિસ્તારમાંથી પસાર થઈ રહ્યા હતા. તેમના ડીએનએ પરિવારજનો સાથે મેચ થયા બાદ, એક્ટિવાના એન્જિન-ચેસીસ નંબર અને સીસીટીવી બતાવવામાં આવ્યા બાદ પરિવારજનોએ કચવાતા મને પરિવારે મૃતદેહ સ્વીકાર્યો હતો.
મળતી વિગત પ્રમાણે, પ્લેન ક્રેશની ઘટના સમયે નરોડા વિસ્તારમાં મુરલીધર હાઇટ્સ, ડી માર્ટ ખાતે રહેતા ગુજરાતી ફિલ્મ ડાયરેકટર મહેશભાઈ ગીરધરભાઇ કાલાવાડિયા ઉર્ફે જીરાવાલા (ઉવ. 34) એક્ટિવા લઈને ઘરેથી નીકળ્યા બાદ સિવિલ હોસ્પિટલની આજુબાજુથી ગુમ થયા હતા. તેમના ભાઈ કાર્તિકભાઈ ગીરધરભાઇ કાલાવાડિયા દ્વારા તેઓ ગુમ થવા બાબતની જાણવા જોગ અમદાવાદ શહેરના નરોડા પોલીસ સ્ટેશન ખાતે કરવામાં આવેલ હતી. આ બાબતે ટેકનિકલ સોર્સ આધારે ગુમ થનાર મહેશ કાલાવાડિયા ઉર્ફે મહેશ જીરાવાલા એર ક્રેશના બનાવની જગ્યાની નજીકમાં મોબાઈલ ફોન સ્વીચ ઓફ થયેલો હોવાની વિગતો મળી હતી. જેના આધારે ગુમ થનાર એર ક્રેશના બનાવમાં ભોગ બનેલા હોવાની પ્રથમ દૃષ્ટિએ શંકા જતા તેમના પરિવારજનોને જણાવતા તેમના પરિવારજનો આ વાત માનવા તૈયાર થયા નહોતા.
આ પણ વાંચો - ક્રેશ સાઈટ પરથી મળેલા ફોન પ્લેન ક્રેશનું રહસ્ય ખોલશે? મોબાઈલની તપાસ હાથ ધરાઈ
પોલીસે મહેશભાઈ કાલાવાડિયાના પરિવારજનોને સમજાવી ડીએનએ લેવા જરૂરી હોવાની સમજણ આપી, શંકા દૂર કરવા પણ ડીએનએ ટેસ્ટ જરૂરી હોવાનું જણાવતા મહેશભાઈના ભાઈ કાર્તિક કાલાવાડિયાના ડીએનએ નમૂના લેવડાવવામાં આવ્યા હતા. પરિવારજનોએ મહેશભાઈના ગુમ થવા અને પ્લેન ક્રેશના બનાવને કોઈ સંબંધ નહીં હોવાની પૂરી ખાતરી હતી. ફોરેન્સિક ડિપાર્ટમેન્ટ દ્વારા ડીએનએ ટેસ્ટનો રિપોર્ટ આવતા આશ્ચર્યજનક રીતે પોલીસ દ્વારા બનાવ સ્થળેથી કબજે કરવામાં આવેલ ડેડબોડી સાથે ડીએનએ નમૂના મેચ થતા પ્લેન ક્રેશમાં જ મહેશભાઈ કાલાવાડિયાનું મૃત્યુ થયું હોવાની વિગતો બહાર આવી હતી.