રાહુલના લેખનો જવાબ ફડણવીસે પણ આપ્યો લેખ લખીનેઃ બિહારની ચૂંટણી પહેલા મહારાષ્ટ્રની ચૂંટણી ફરી ચર્ચામાં
દેવેન્દ્ર ફડણવીસે મરાઠી લેખ દ્વારા રાહુલ ગાંધીના આરોપોનું ખંડન કર્યું, કોંગ્રેસને ગણાવી હારેલી પાર્ટી

મુંબઈઃ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી થોડા દિવસ પહેલા મહારાષ્ટ્રની ચૂંટણીમાં ગેરરીતિનો આરોપ લગાવ્યો હતો. હવે રાહુલ ગાંધીને મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન કડક શબ્દોમાં જવાબ આપ્યો છે. રાહુલ ગાંધીએ મહારાષ્ટ્ર જેવો આરોપ લગાવ્યો હતો, તેવો આરોપ ફરી બિહારની ચૂંટણી માટે લગાવ્યો છે. રાહુલ ગાંધીએ કહ્યું કે, બિહારમાં પણ મહારાષ્ટ્રની જેમ ચૂંટણીમાં ગેરરીતિ થઈ શકે તેમ છે. રાહુલ ગાંધીના આ નિવેદનથી અત્યારે બિહાર અને મહારાષ્ટ્રમાં માહોલ ગરમાયો છે. મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે રાહુલ ગાંધીના આરોપો પર વળતો પ્રહાર કર્યો છે.
ફડણવીસે મરાઠી લેખ દ્વારા રાહુલ ગાંધીએ લગાવેલા આરોપોનું ખંડન કર્યું
મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે રાહુલના આરોપોને જાહેર જનાદેશનું અપમાન ગણાવ્યું છે. એટલું જ નહીં પરંતુ એક લેખ દ્વારા રાહુલ ગાંધીને વળતો જવાબ આપ્યો છે. ગઈ કાલે પૂણેમાં ફડણવીસે કહ્યું હતું કે, રાહુલ ગાંધીને લેખનો જવાબ લેખ દ્વારા જ આપવામાં આવશે. આજે મુખ્ય પ્રધાન ફડણવીસે મરાઠી સમચારપત્રમાં લેખ દ્વારા રાહુલ ગાંધીએ લગાવેલા આરોપોનું ખંડન કર્યું અને રાહુલ ગાંધીની આકરા શબ્દોમાં આલોચના પણ કરી છે.
ફડણવીસે લેખ દ્વારા રાહુલ ગાંધીના આરોપોને પાયાવિહોણા ગણાવ્યા
રાહુલ ગાંધીએ મહારાષ્ટ્ર ચૂંટણીમાં EVM ની વિશ્વસનીયતા પર સવાલ ઉઠાવ્યો હતો. જો કે, રાહુલ ગાંધીના આરોપોને સુપ્રીમ કોર્ટ દ્વારા ફગાવી દેવામાં આવ્યો હતો. જેથી સુપ્રીમ કોર્ટના નિર્ણયને ટાંકીને ફડણવીસે આ કોંગ્રેસ નેતાના આરોપોને પાયાવિહોણા ગણાવ્યા છે. દેવેન્દ્ર ફડણવીસ લેખમાં લખ્યું કે, ‘જેમને જનતા દ્વારા નકારવામાં આવ્યા છે તેઓ જનતાના નિર્ણયને પડકારી રહ્યા છે. આ લોકશાહીનું અપમાન છે’.
મહારાષ્ટ્રમાં છેલ્લી ઘડીએ થયેલા મતદાન માટે ફડણવીસે આપ્યો ખુલાસો
મહારાષ્ટ્રમાં ચૂંટણી દરમિયાન છેલ્લા એક કલાકમાં 74 લાખ મત પડ્યાં હતો જેને રાહુલ ગાંધીએ શંકાસ્પદ ગણાવ્યાં હતાં. આના જવાબમાં ફડણવીસે કહ્યું કે, મતદાનમાં છેલ્લી ઘડીની ઉતાવળને કારણે થયું અને આ એક સામાન્ય પ્રક્રિયા છે. ચૂંટણીપંચ નિષ્પક્ષ રીતે કામ કરે છે અને ચૂંટણી પ્રક્રિયામાં કોઈ પણ પ્રકારની ગેરરીતિ થઈ નથી. રાહુલ ગાંધી માટે કહ્યું કે, તેઓ હાર સ્વીકારી નથી શકતા એટલા માટે આરોપ લગાવી રહ્યાં છે. વધુમાં કહ્યું લોકશાહીમાં હાર અને જીતનો નિર્ણય લોકો કરે છે, જે દરેક પાર્ટીને માન્ય હોવો જોઈએ.
તેઓ હારેલી પાર્ટીના નેતા છે જે હાર પચાવી શકતા નથીઃ દેવેન્દ્ર ફડણવીસ
મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્રએ મરાઠી લેખ દ્વારા રાહુલ ગાંધી પર સીધો પ્રહાર કર્યાં છે. લેખમાં લખ્યું કે, તેઓ એક એવી હારેલી પાર્ટીના નેતા છે જે હાર પચાવી શકતા નથી. એટલું જ નહીં પરંતુ રાહુલ ગાંધીના લેખને ભ્રામક ગણાવતા લખ્યું કે, વિપક્ષ સોશિયલ મીડિયા અને લેખો દ્વારા જૂઠાણું ફેલાવવાનો પ્રયાસ કરે છે. રાહુલ ગાંધી દ્વારા જે પણ આરોપ લગાવવામાં આવ્યાં હતા, તે દરેકનો દેવેન્દ્ર ફડણવીસે મરાઠી લેખ દ્વારા જવાબ આપ્યો છે. મહત્વની વાત એ પણ છે કે, દેવેન્દ્ર ફડણવીસ રાહુલ ગાંધીને મરાઠી ભાષામાં જ જવાબ આપ્યો છે, જેથી મહારાષ્ટ્રના લોકો સુધી વાત પહોંચી શકે.
આ પણ વાંચો…“લંગડા ઘોડાને…” રાહુલ ગાંધીના નિવેદનથી નારાજ દિવ્યાંગોએ કહ્યું કે – “જો કાર્યવાહી ન થઈ તો…”