
ઉત્તરકાશીઃ ઉત્તરકાશીમાં ચાર ધામ પ્રોજેક્ટ હેઠળ બની રહેલી સિલ્ક્યારા ટનલમાં ભેખડ ધસી પડતાં છેલ્લાં 13 દિવસથી 41 મજૂર અંદર ફસાઈ પડ્યા છે અને તેમને સુખરૂપ ઉગારી લેવા માટે બનતાં તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. હવે આ જ અનુસંધાનમાં એક મહત્ત્વની માહિતી એવી સામે આવી છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રેસ્ક્યુ ઓપરેશનનું નિરીક્ષણ કર્યું છે.
મળી રહેલી માહિતી પ્રમાણે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે મુખ્ય પ્રધાન પુષ્કરસિંહ ધામી સાથે વાત કરી હતી. તેમણે રેસ્ક્યુ ઓપરેશન સંબંધિત અપડેટ પણ ધામી પાસેથી મેળવ્યા હતા. એટલું જ નહીં પીએમ મોદીએ ટનલની અંદર ફસાઈ ગયેલાં મજૂરોના ખબર-અંતર, તેમને આપવામાં આવતા ભોજન અને રોજબરોજની કામની વસ્તુઓની પણ પૂછપરછ કરી હતી. રાહત અને બચાવ કાર્યમાં સામેલ કર્મચારીઓની સ્થિતિ અને સુરક્ષા અંગે પણ પીએમ મોદીએ ઈન્સપેક્શન કર્યું હતું.
ટનલમાં ફસાયેલા એક મજૂર સુશિલ શર્માના મોટાભાઈ હરિદ્વાર શર્માએ પણ પ્રસાર માધ્યમો સાથે વાત કરતાં જણાવ્યું હતું કે આજે સવારે આઠ વાગ્યે જ મેં મારા નાનાભાઈ સાથે વાત કરી હતી અને તેણે મને કહ્યું હતું કે ભાઈ અહીંયા કોઈ ચિંતાનું કારણ નથી. ટનલમાં મોબાઈલ ફોન, ચાર્જર, ખાવા-પીવા અને ન્હાવાની વ્યવસ્થા પણ છે. બસ ખાલી એક ઈન્ટરનેટ નથી આવતું.
પ્રાઈમ મિનિસ્ટર ઓફિસ (પીએમઓ)ના ભૂતપૂર્વ સલાહકાર ભાસ્કર સુલ્બેએ જણાવ્યું હતું કે આ એક અઘરું કામ છે એટલે અમને આમાં સમય લાગી રહ્યો છે. દરરોજ એક નવી ઊર્જા સાથે અમે આગળ વધી રહ્યા છે. આશા છે કે 12 કલાકમાં કામ પૂરું થઈ જશે. જીપીઆરે જણાવ્યું હતું કે આગામી પાંચ મીટર સુધી કોઈ પણ મેટેલિક બાધા નથી એટલે 52 મીટપર સુધી અમે લોકો ખૂબ જ સરળતાથી પહોંચી શકીશું. એક પાઈપનું મોઢું ચગદાઈ ગયું છે એટલે અમે લોકો બે મીટર પાછા આવ્યા છીએ અને 46 મીટરથી કામ ફરી શરૂ કરવામાં આવશે. સાંજે છ વાગ્યા સુધી અમે લોકો મજૂરો સુધી પહોંચીશું એવી અમને આશા છે.
આ મજૂરો સુખરૂપ બહાર આવે એ માટે દેશભરમાં લોકો પ્રાર્થના કરી રહ્યા છે. આ રેસ્ક્યુ ઓપરેશન સાથે સંકળાયેલા એક અધિકારીએ ગુરુવારે એવી માહિતી આપી હતી કે મજૂરોને પાઈપના માધ્યમથી પાણી, ખાવાનું, દવાઓ અને ઓક્સિજન મોકલવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત અમે અંદર ફસાયેલા મજૂરોનું મનોબળ જળવાઈ રહે અને તેઓ હિંમત ના હારે એટલે લુડો, બોર્ડ ગેમ અને પ્લેઈંગ કાર્ડ પણ મોકલવાનું વિચારી રહ્યા છીએ.