
નવી દિલ્હી: ક્રિકેટ જગતમાંથી એક દુખદ સમાચાર મળી રહ્યા છે, ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ(ICC)ની અમ્પાયર પેનલના સભ્ય બિસ્મિલ્લાહ જાન શિનવારીનું અવસાન (Bismillah Jan Shinwari Passed away) થયું છે. અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડે તેમના અવસાનની જાણકારી આપી છે, ICC ચેરપર્સન જય શાહે પણ તેમણે શ્રદ્ધાંજલિ પાઠવી છે.
દિવસો અગાઉ અફઘાનિસ્તાન મૂળના 41 વર્ષ બિસ્મિલ્લાહ જાન શિનવારીની તબિયત બગડી હતી, પાકિસ્તાનના પેશાવરની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. વધારાની ચરબી દુર કરવા તમની સર્જરી કરવામાં આવી હતી, પરંતુ સર્જરી બાદ તેમનું નિધન થયું.
અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડે શોક વ્યક્ત કર્યો:
શિનવારીના અવસાન પર અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડે શોક વ્યક્ત કરતા X પર લખ્યું, “ACBના નેતૃત્વ, સ્ટાફ અને દરેક વ્યક્તિ બિસ્મિલ્લાહ જાન શિનવારી (1984 – 2025) ના નિધનથી ખૂબ જ દુઃખી છે અને આઘાતમાં છે, જેઓ અફઘાનિસ્તાનના અમ્પાયરિંગ પેનલના આદરણીય સભ્ય હતા. બીમારી પછી શિનવારીના નિધનના સમાચાર અમે ખૂબ જ દુઃખ સાથે તમારી સાથે શેર કરી રહ્યા છીએ. બિસ્મિલ્લાહ જાન અફઘાન ક્રિકેટના મહાન સેવક હતા. અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડ તેમના પરિવાર, મિત્રો અને સમગ્ર અફઘાન ક્રિકેટ પ્રત્યે સંવેદના અને હૃદયપૂર્વક સહાનુભૂતિ વ્યક્ત કરે છે. અમે પ્રાર્થના કરીએ છીએ કે સર્વશક્તિમાન અલ્લાહ તેમને જન્નતમાં ઉચ્ચ સ્થાન આપે અને આ મુશ્કેલ સમયમાં તેમના પ્રિયજનોને ધીરજ અને શક્તિ આપે. બિસ્મિલ્લાહ જાન શિનવારી હંમેશા આપણા હૃદય અને વિચારોમાં રહેશે.”
જય શાહે શ્રધાંજલિ પાઠવી:
ICC એ જાહેર કરેલ એક નિવેદનમાં ચેરમેન જય શાહે શિનવારીના અવસાન પર દુખ વ્યક્ત કર્યું અને તેમના પરિવાર પ્રત્યે સહાનુભુતિ વ્યક્ત કરી. તેમણે કહ્યું, “ક્રિકેટની રમતમાં તેમને મહત્વનું યોગદાન આપ્યું હતું હતું, અને ક્રિકેટ સમુદાય તેમને યાદ કરતો રહેશે. તેમના અવસાન પર અમે ખૂબ જ દુઃખી છીએ અને તેમના પરિવાર અને પ્રિયજનો પ્રત્યે અમારી સંવેદના વ્યક્ત કરીએ છીએ.”
શિનવારીએ 46 આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચમાં ઓનફિલ્ડ અમ્પાયરિંગ કર્યું હતું. તેમણે 25 ODI અને 21 T20I મેચમાં અમ્પાયરિંગ કર્યું હતું. આ ઉપરાંત, તેઓ 9 ODI અને 5 T20 મેચોમાં ટીવી અમ્પાયર પણ હતા.
આપણ વાંચો : પાકિસ્તાનની ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટનનું અવસાન: એક ઝઘડાને કારણે કારકિર્દી રોળાઈ ગઈ હતી