ઇન્ટરનેશનલટોપ ન્યૂઝ

Alexei Navalny: રશિયન અધિકારીઓએ એલેક્સી નવલનીનો મૃતદેહને સોંપવા ઇનકાર કર્યો, સમર્થકો રોષમાં

મોસ્કો: રશિયાના રાષ્ટ્રપતિ પુતિનના સખત વિરોધી અને ટીકાકાર એલેક્સી નવલનીનું જેલમાં મૃત્યુ થયા બાદ, જેલ પ્રશાસને તેમના મૃતદેહને પરિવારને સોંપવાનો ઇનકાર કર્યો છે. નાવલનીના સમર્થકોનો આરોપ છે કે રશિયન સરકારે જ નવલનીની હત્યા કરી છે અને હવે તેઓ પુરાવાનો નાશ કરવા માટે લાશને સોંપી રહ્યા નથી. બીજી તરફ રશિયન સરકારે નવલ્નીના મૃત્યુ અંગે સંપૂર્ણ મૌન જાળવ્યું છે.

રશિયાની સૌથી ખતરનાક અને કડક જેલ પૈકીની એક આર્કટિક જેલમાં 47 વર્ષીય એલેક્સી નવલનીનું ગયા શુક્રવારે અવસાન થયું હતું. નવલની છેલ્લા ત્રણ વર્ષથી જેલમાં હતો. નાવલનીના મૃત્યુ પછી, પશ્ચિમી દેશોના નેતાઓએ રશિયન સરકારની આકરી ટીકા કરી અને નવલનીના મૃત્યુ માટે રશિયન સરકાર અને રાષ્ટ્રપતિ પુતિનને જવાબદાર ઠેરવ્યા હતા. પશ્ચિમી દેશો નવલનીની હત્યા માટે પુતિન સરકારને જવાબદાર ઠેરવી રહ્યા છે. શનિવારે, નવલ્નીની માતા તેના વકીલ સાથે નવલનીનો મૃતદેહ લેવા માટે આર્ક્ટિક જેલમાં પહોંચી હતી, પરંતુ જેલ સત્તાવાળાઓએ મૃતદેહ સોંપવાનો ઇનકાર કર્યો હતો.

નવલનીના સમર્થકોએ સોશિયલ મીડિયા પર શેર કરેલી પોસ્ટમાં લખ્યું છે કે સરકાર પુરાવાનો નાશ કરવા માંગે છે અને તેથી જ તેઓ મૃતદેહને સોંપી રહ્યાં નથી. રશિયામાં નવલનીના મૃત્યુ બાદ તેમના સમર્થકો પણ વિરોધ કરી રહ્યા છે. શનિવારે ઘણી જગ્યાએ અથડામણની છૂટાછવાયા બનાવો પણ બન્યા હતા અને પોલીસે 30 થી વધુ શહેરોમાં 340 થી વધુ લોકોની ધરપકડ કરી હતી. નવલનીના સમર્થકોએ તેમના માનમાં શ્રદ્ધાંજલિ સભાઓનું આયોજન કર્યું હતું.

મ્યુનિક સિક્યોરિટી કોન્ફરન્સ દરમિયાન બોલતા નવલનીની પત્નીએ પુતિન સરકાર પર આરોપ લગાવ્યો અને કહ્યું કે પુતિને આનો જવાબ આપવો પડશે અને નવલ્નીના હત્યાની સજા ભોગવવી પડશે. નવલ્નીની પત્ની યુલિયાએ પશ્ચિમી દેશોને પુતિન સામે એક થવાની અપીલ કરી હતી.

રશિયન નોબેલ પારિતોષિક વિજેતા દિમિત્રી મુરાટોવે જણાવ્યું હતું કે નવલનીનું મૃત્યુ એક હત્યા છે અને છેલ્લા ત્રણ વર્ષથી તેમને જેલમાં તેના પર ટોર્ચર કરવામાં આવી રહ્યું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Savan

અમદાવાદ સ્થિત પત્રકાર અને નાટ્ય દિગ્દર્શક. વર્ષ 2022થી મુંબઈ સમાચાર સાથે રિપોર્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે. દેશ-વિદેશમાં બનતી મહત્વની ઘટનાઓ, સરકારી નીતિઓ અને ક્રિકેટજગતની ઘટનાઓનું ઊંડુ જ્ઞાન ધરાવે છે. અમદાવાદ-ગુજરાતના નાટ્યજગત સાથે જોડાયેલા છે.
Back to top button