આપણું ગુજરાતટોપ ન્યૂઝ

RTE પ્રવેશમાં ઐતિહાસિક વધારો: 95,000થી વધુ વિદ્યાર્થીઓને લાભ, સહાય પણ મળશે…

ગાંધીનગરઃ દરેક માતા-પિતાનું સપનું હોય છે કે તેમનું બાળક સારી શાળામાં ઉત્તમ શિક્ષણ મેળવી પોતાના અને પરિવારના સપનાઓ પૂરા કરે. પરંતુ પરિવારની આર્થિક સ્થિતિની કારણે તેમનું આ સપનું સાકાર થઈ શકતું નથી. આવા પરિવારના બાળકો માટે RTEનો કાયદો આશા-શિક્ષણનું કિરણ બની રહ્યો છે. ચાલુ શૈક્ષણિક વર્ષથી મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં RTE પ્રવેશ માટેની આવક મર્યાદામાં વધારો કરતો સંવેદનશીલ નિર્ણય લેવામાં આવ્યો હતો

દેશના દરેક બાળકને શિક્ષિત બનાવવાનો લક્ષ્યાંક RTE કાયદાના અમલીકરણથી સિદ્ધ થઈ રહ્યો છે. શિક્ષણ પ્રધાન ડો. કુબેર ડીંડોર અને રાજ્ય પ્રધાન પ્રફુલ પાનશેરિયાના માર્ગદર્શન હેઠળ રાજ્યમાં RTEના કાયદા હેઠળ પ્રવેશ મેળવવા માટેની આવકમર્યાદા વધારીને રૂ. ૬ લાખ કરવામાં આવી હતી. આ મહત્વપૂર્ણ નિર્ણયથી આ વર્ષે અંદાજિત ૪,૦૦૦થી વધુ બાળકો આ કાયદા હેઠળ ખાનગી શાળાઓમાં RTE હેઠળ વિનામૂલ્યે શિક્ષણનો લાભ મેળવી શકશે. અત્યાર સુધી આ કાયદા હેઠળ પ્રવેશ માટેની આવક મર્યાદા ગ્રામીણ કક્ષાએ રૂ. ૧.૨૦ લાખ અને શહેર વિસ્તારમાં રૂ.૧.૫૦ લાખ રાખવામાં આવી હતી.

રાજ્ય સરકારે છેલ્લાં ૧૨ વર્ષમાં RTE પ્રવેશ અંતર્ગત છેવાડાના બાળકો સુધી ગુણવત્તાયુક્ત શિક્ષણને પહોંચાડવાનું કાર્ય કર્યું છે. ગુજરાત એ પહેલું રાજ્ય છે જ્યાં વિદ્યાર્થીઓને ગણવેશ, સ્કૂલબેગ, પાઠ્યપુસ્તક, ટ્રાન્સપોર્ટ અને અભ્યાસને લગતી આનુષાંગિક વસ્તુઓ ખરીદવા માટે પ્રતિવર્ષ વિદ્યાર્થીદીઠ રૂ. ૩૦૦૦ની સહાય DBT મારફતે ચૂકવવામાં આવે છે. RTE કાયદા હેઠળ અત્યાર સુધીમાં રાજ્યના ૬ લાખથી વધુ વિદ્યાર્થીઓને કુલ રૂ. ૧,૦૫૭ કરોડની સહાય આપવામાં આવી છે.

3723 કરોડની ગ્રાન્ટ ચુકવી
RTE પ્રવેશ માત્ર વિનામૂલ્યે શિક્ષણની વ્યવસ્થા નથી, તે ગુજરાતના દરેક બાળકને યોગ્ય શિક્ષણ આપવાનો મહત્વનો સીમાચિન્હ કાયદો છે. રાજ્યમાં વર્ષ ૨૦૧૩થી આ કાયદાની અમલવારી શરૂ કરવામાં આવી છે જે હેઠળ રાજ્ય સરકારે વિવિધ શાળાઓને કુલ રૂ. ૩,૭૨૩ કરોડની ગ્રાન્ટની ચુકવણી કરી છે જેમાં ફી રીએમ્બર્સ પેટે રૂ. ૨,૬૬૫ કરોડની તથા વિદ્યાર્થી સહાય પેટે રૂ. ૧,૦૫૭ કરોડની ચૂકવણી કરી છે.

432 વિદ્યાર્થીઓથી થઈ હતી શરૂઆત
વર્ષ ૨૦૧૩માં જ્યારે RTE કાયદા હેઠળ પ્રવેશ પ્રકિયા શરૂ થઈ ત્યારે માત્ર ૪૩૨ વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો હતો. જ્યારે છેલ્લા ૧૨ વર્ષમાં આજે તે આંકડો વર્ષ 2024માં વધીને ૯૫ હજારથી પણ વધી ગયો છે. શૈક્ષણિક વર્ષ ૨૦૨૫-૨૬ માટે RTE કાયદા હેઠળ અત્યાર સુધીમાં ૯૫,૪૯૪ વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવવામાં આવ્યો છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Mayur Kumar

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.
Back to top button