ટોપ ન્યૂઝનેશનલ

જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભાની ચૂંટણી માટે તૈયાર: ઉપ રાજ્યપાલ મનોજ સિન્હા

જમ્મુ: કેન્દ્ર શાષિત પ્રદેશ જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભાની ચૂંટણી ક્યારે યોજાશે તે અંગે અટકળો ચાલી રહી છે, આ દરમિયાન પ્રદેશના ઉપ રાજ્યપાલ મનોજ સિન્હાએ ગુરુવારે સ્પષ્ટ કર્યું કે તેમનું પ્રશાસન ચૂંટણી માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. ઉપ રાજ્યપાલ મનોજ સિન્હાએ કહ્યું કે જ્યારે પણ ચૂંટણી પંચ વિધાનસભા ચૂંટણી કરાવવાનો નિર્દેશ આપે, ત્યારે તેમનું પ્રશાસન તૈયાર હશે. આ સાથે તેમણે એ પણ જણાવ્યું કે તેઓ ક્યારે પોતાનું પદ છોડશે.

ચૂંટણી વિશે ખોટી માહિતી ફેલાવવા માટે કેટલાક રાજકીય પક્ષો પર પ્રહાર કરતાં સિંહાએ કહ્યું કે તેઓ વિધાનસભા ચૂંટણી સફળતાપૂર્વક હાથ ધર્યા પછી જ ઉપ રાજ્યપાલના પદ પરથી રાજીનામું આપશે. જમ્મુ અને કાશ્મીરમાં વિધાનસભાની ચૂંટણી પહેલાથી જ વિલંબિત થઈ ચૂકી છે અને છેલ્લે 2014માં યોજાઈ હતી.

જમ્મુમાં એક કાર્યક્રમમાં મનોજ સિન્હાએ કહ્યું કે, ચૂંટણી પંચે જમ્મુ અને કાશ્મીર પાસેથી વ્યવસ્થા અંગે જે પણ માહિતી માંગી હતી, તેને સોંપી દેવામાં આવી છે. હું આ મંચ પરથી કહેવા માંગુ છું કે પંચ અમને કહે ત્યારે જમ્મુ અને કાશ્મીર પ્રશાસન ચૂંટણી કરાવવા માટે તૈયાર છે.

તેમણે કહ્યું કે જ્યારે તેઓ પદ પર આવ્યા ત્યારે મોટી ખામીઓ હતી, અનેક પ્રકારના અવરોધો હતા, તેમણે અવરોધોને દૂર કર્યા અને વિકાસના રસ્તાઓ બનાવ્યા, જેના કારણે જમ્મુ-કાશ્મીરમાં સ્થિતિ સુધરી. તેમણે કહ્યું કે 2019માં કલમ 370 હટાવ્યા બાદ પ્રદેશ છેલ્લા ચાર વર્ષમાં અંધકારમાંથી ઉજ્જવળ ભવિષ્ય તરફ આગળ વધ્યો છે. જ્યારે આપણે બીજ વાવીએ છીએ અને તે વૃક્ષ બનવાનું શરૂ કરે છે, ત્યારે આપણને આનંદ થાય છે. અમે દરેક નાગરિકની આકાંક્ષાઓને પૂર્ણ કરવાની દિશામાં આગળ વધી રહ્યા છીએ.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Savan

અમદાવાદ સ્થિત પત્રકાર અને નાટ્ય દિગ્દર્શક. વર્ષ 2022થી મુંબઈ સમાચાર સાથે રિપોર્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે. દેશ-વિદેશમાં બનતી મહત્વની ઘટનાઓ, સરકારી નીતિઓ અને ક્રિકેટજગતની ઘટનાઓનું ઊંડુ જ્ઞાન ધરાવે છે. અમદાવાદ-ગુજરાતના નાટ્યજગત સાથે જોડાયેલા છે.
Back to top button