
નવી દિલ્હીઃ કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રાને લઇેન એક મહત્વના સમાચાર આવ્યા છે. કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી હાલમાં ભારત જોડો ન્યાય યાત્રા પર છે. જો કે તેઓ અચાનક આ પ્રવાસ છોડીને વિદેશ જવા રવાના થવાના છે. તેઓ 5 દિવસ પછી ફરી યાત્રામાં જોડાશે.
કોંગ્રેસના કોમ્યુનિકેશન જનરલ સેક્રેટરી જયરામ રમેશે કહ્યું કે રાહુલ ગાંધી 26 ફેબ્રુઆરીથી 1 માર્ચ સુધી ભારત જોડો ન્યાય યાત્રામાંથી વિરામ લેશે, કારણ કે લોકસભા ચૂંટણીને લઈને દિલ્હીમાં ઘણી મહત્વપૂર્ણ બેઠકો થવાની છે. આ બેઠકમાં રાહુલ ગાંધી હાજર રહે તે જરૂરી છે. આ સિવાય રાહુલ 27-28 ફેબ્રુઆરીએ કેમ્બ્રિજ યુનિવર્સિટીની મુલાકાત લેશે અને ત્યાં બે લેક્ચર આપશે.
જયરામ રમેશે કહ્યું કે અમે 2 માર્ચથી ફરી યાત્રા શરૂ કરીશું. તેમણે કહ્યું કે રાહુલ ગાંધી 5 માર્ચે ઉજ્જૈન જશે, જ્યાં તેઓ મહાકાલેશ્વર મંદિરમાં ભગવાન મહાકાલના દર્શન કરશે.