Nipah Virus : કેરળમાં વધુ એક કેસ નોંધાયો, કર્ણાટક સરકારે કેરળના પાડોશી જીલ્લામાં દેખરેખ વધારી

Nipah Virus : કેરળમાં વધુ એક કેસ નોંધાયો, કર્ણાટક સરકારે કેરળના પાડોશી જીલ્લામાં દેખરેખ વધારી

કેરળમાં નિપાહ વાયરસના વધતા જતા કેસોને ધ્યાનમાં લેતા કર્ણાટક સરકારે એક પરિપત્ર જાહેર કરીને લોકોને કેરળના અસરગ્રસ્ત વિસ્તારોમાં બિનજરૂરી મુસાફરી ટાળવાની સલાહ આપી છે. કર્ણાટક સરકારના આરોગ્ય વિભાગે જણાવ્યું છે કે કેરળના સરહદી જિલ્લાઓ (કોડાગુ, દક્ષિણ કન્નડ, ચામરાજનગરા અને મૈસૂર) અને કેરળથી કર્ણાટક સુધીના પ્રવેશ સ્થળો પર દેખરેખ વધારવામાં આવી છે.
કેરળના કોઝિકોડમાં નિપાહ વાયરસના કેસ મળી આવતા વહીવટીતંત્ર એલર્ટ મોડમાં આવી ગયું છે. કોવિડના સમયની જેમ નવ પંચાયતોમાં કન્ટેનમેન્ટ ઝોન બનાવવામાં આવ્યા છે. મગજને નુકસાન પહોંચાડતા અને એન્સેફાલીટીસનું કારણ બનેલા આ વાયરસને કારણે બે લોકોના મોત પણ થયા છે. કેરળમાં આરોગ્ય પ્રધાનના કાર્યાલયે જણાવ્યું છે કે કોઝિકોડની એક હોસ્પિટલમાં નિરીક્ષણ હેઠળ રાખવામાં આવેલા 39 વર્ષીય વ્યક્તિમાં નિપાહ વાયરસના વધુ એક કેસની પુષ્ટિ થઈ છે. આમ વાયરસથી સંક્રમિત લોકોની સંખ્યા 6 થઇ ગઈ છે.
કેરળમાં વાયરસને નિયંત્રિત કરવા માટે, ઇન્ડિયન કાઉંસિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) ની પુણે સ્થિત નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજી (NIV)ની એક મોબાઇલ બાયોસેફ્ટી લેવલ-3 (BSL-3) પ્રયોગશાળા કોઝિકોડ મોકલવામાં આવી છે. કેરળના આરોગ્ય પ્રધાન વીણા જ્યોર્જે વિધાનસભામાં જણાવ્યું હતું કે હાલના નિપાહ વાયરસના કેસ બાંગ્લાદેશ સ્ટ્રેઇનના છે.
કેન્દ્ર સરકાર પણ નિપાહ વાયરસ અંગે ચિંતિત છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય કેરળમાં સ્થિતિ અંગે સાવધાની રાખી રહ્યું છે.

Savan Zalariya

અમદાવાદ સ્થિત પત્રકાર અને નાટ્ય દિગ્દર્શક. વર્ષ 2022થી મુંબઈ સમાચાર સાથે રિપોર્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે. દેશ-વિદેશમાં બનતી મહત્વની ઘટનાઓ, સરકારી નીતિઓ અને ક્રિકેટજગતની ઘટનાઓનું ઊંડુ જ્ઞાન ધરાવે છે. અમદાવાદ-ગુજરાતના નાટ્યજગત સાથે જોડાયેલા છે.

સંબંધિત લેખો

Back to top button