આપણું ગુજરાતટોપ ન્યૂઝ

રાષ્ટ્રીય એકતા દિવસ:વડા પ્રધાન મોદીએ કેવડીયા ખાતે સરદાર પટેલને શ્રધાંજલિ અપર્ણ કરી, એકતા શપથ લેવડાવ્યા

આજે લોખંડી પુરુષ તરીકે ઓળખતા ભારતના પૂર્વ નાયબ વડાપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતી છે. આ દિવસને દેશમાં રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આજે સવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કેવડિયા ખાતે સરદાર પટેલની વિશાળ પ્રતિમા ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ને નમનને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. વડા પ્રધાન મોદીએ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ પર લોકોને એકતાના શપથ લેવડાવ્યા હતા.

વડા પ્રધાન મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર લખ્યું કે, સરદાર પટેલની જયંતિ પર, આપણે તેમની અદમ્ય ભાવના, દૂરંદેશી રાજનીતિ અને અસાધારણ સમર્પણને યાદ કરીએ છીએ જેનાથી તેમણે આપણા રાષ્ટ્રનું ભાગ્ય ઘડ્યું હતું. રાષ્ટ્રીય એકતા પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતા આપણને માર્ગદર્શન આપે છે. આપણે કાયમ તેમના ઋણી રહીશું.

વડા પ્રધાન મોદીએ એકતા નગરમાં ટ્રોમા સેન્ટર, સોલાર પેનલ અને સબ-ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલનો શિલાન્યાસ કર્યો હતો. વડા પ્રધાન મોદીએ ‘મેરા યુવા ભારત’ સંગઠનની પણ જાહેરાત કરી હતી, જે દેશના યુવાનોને રાષ્ટ્ર નિર્માણ સંબંધિત વિવિધ કાર્યક્રમોમાં સક્રિયપણે ભાગ લેવાની તક પૂરી પાડશે.

સરદાર પટેલની જન્મજયંતિ નિમિતે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખર, દિલ્હીના એલજી વીકે સક્સેના, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે દિલ્હીમાં સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. અમિત શાહે દિલ્હીમાં લોકોને એકતાના શપથ લેવડાવ્યા અને રન ફોર યુનિટીને લીલી ઝંડી આપી હતી. સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે ‘રન ફોર યુનિટી’ને લીલી ઝંડી બતાવી હતી.

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે કહ્યું,  2014 થી સમગ્ર દેશ આ દિવસને એકતા દિવસ તરીકે ઉજવે છે. આપણે બધા જાણીએ છીએ કે આઝાદી પછી અંગ્રેજો આ દેશ છોડીને ચાલ્યા ગયા. તે સમયે આપણા લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલે થોડા દિવસોમાં જ 550 થી વધુ રજવાડાઓને એક કરીને ભારતનો નકશો બનાવવાનું કામ કર્યું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Savan

અમદાવાદ સ્થિત પત્રકાર અને નાટ્ય દિગ્દર્શક. વર્ષ 2022થી મુંબઈ સમાચાર સાથે રિપોર્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે. દેશ-વિદેશમાં બનતી મહત્વની ઘટનાઓ, સરકારી નીતિઓ અને ક્રિકેટજગતની ઘટનાઓનું ઊંડુ જ્ઞાન ધરાવે છે. અમદાવાદ-ગુજરાતના નાટ્યજગત સાથે જોડાયેલા છે.
Back to top button