
નવી દિલ્હી: ઉત્તરપૂર્વ ભારતના રાજ્ય મણિપુર દોઢ વર્ષથી ચાલી રહેલી હિંસા વધુ ભડકી (Manipur Violence) છે. આ વખતે સ્થિતિ વધુ વણસી છે, કેન્દ્ર સરકાર પણ એક્શનમાં આવી ગઈ. હાલની સ્થિતિને જોતા DG CRPF અનિશ દયાલ પણ મણિપુર જવા રવાના થઈ ગયા છે, તેઓ ત્યાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા કરશે અને એ મુજબ પગલા ભરવા સૂચનો આપશે. બીજી તરફ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે મહારાષ્ટ્રમાં પોતાની તમામ રેલીઓ રદ્દ કરી દીધી છે, તેઓ નાગપુરથી દિલ્હી પરત ફર્યા છે.
ઈન્ટરનેટ સર્વિસ બંધ:
સૂત્રોના જણાવ્યા અનુસાર રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે સુરક્ષા દળો અને રાજ્ય પોલીસ નવી રણનીતિ બનાવી રહી છે. મણિપુરના કેટલાક વિસ્તારોમાં જ્યાં કર્ફ્યુમાં રાહત આપવામાં આવી હતી, ત્યાં ફરી કર્ફ્યુ લાદવામાં આવ્યો છે. કેટલાક વિસ્તારોમાં ઈન્ટરનેટ સેવા પણ બંધ કરી દેવામાં આવી છે. બિષ્ણુપુર, ઇમ્ફાલ, જીરીબીમ વિસ્તારોમાં તણાવ વધુ છે.
છ લોકો હત્યા બાદ હિંસા વધુ ભડકી:
તાજેતરમાં મણિપુરમાં શરુ થયેલી હિંસા જિરીબામના એક જ પરિવારની ત્રણ મહિલાઓ અને ત્રણ બાળકોના મૃતદેહ મળી આવ્યા બાદ શરુ થઇ હતી. શનિવારે આસામ-મણિપુર બોર્ડર પરથી તમામ મૃતદેહો મળી આવ્યા હતા.
આરોપ છે કે કુકી ઉગ્રવાદીઓએ તેમનું અપહરણ કરી હત્યા કરી હતી. આ હત્યાકાંડ બાદ રોષે ભરાયેલા મેઇતેઇ સમુદાયના લોકોએ રસ્તા પર પ્રદર્શનો કર્યા હતાં, સતત હિંસક વિરોધ કરી રહ્યા છે.
આ પણ વાંચો : Manipur Violence: મણિપુરમાં ફરી ભડકી હિંસા, સીએમ સહિત મંત્રીઓના ઘર પર હુમલા, ઇમ્ફાલમાં કફર્યું
શનિવારે ટોળાએ રાજ્ય સરકારના ત્રણ પ્રધાનોઅને છ વિધાનસભ્યોના ઘરોને ઘેરી લીધા અને તોડફોડ કરી. પ્રધાનોના ઘર પર હુમલા બાદ ગુસ્સે ભરાયેલા મેઇતેઇ સમુદાયના ટોળાએ મણિપુરના મુખ્ય પ્રધાનના ઘર પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો.