![A photo of the Maharashtra leader making their statement about the Lok Sabha elections, with a shocked crowd in the background.](https://bombaysamachar.com/wp-content/uploads/2023/12/1076674-chandrashekhar-bhavankule-780x470.webp)
નવી દિલ્હી/નાગપુરઃ ત્રણ રાજ્યમાં શાનદાર જીત પછી ભારતીય જનતા પાર્ટી (ભાજપ) લોકસભાની ચૂંટણીની તૈયારીમાં લાગી ગઈ છે. નાગપુરમાં મહારાષ્ટ્ર વિધાનસભાનું શિયાળુ સત્ર ચાલી રહ્યુ છે ત્યારે નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસના ઘરે વિધાનસભ્યના જૂથની બેઠકમાં મહારાષ્ટ્રના પ્રદેશપ્રમુખે કહ્યું હતું કે રામમંદિરના ઉદ્ઘાટન પછી લોકસભાની ચૂંટણીની જાહેરાત કરી શકાય છે.
મહારાષ્ટ્ર પ્રદેશ પ્રમુખ ચંદ્રશેખર બાવનકુળેએ વિધાનસભ્યોને કહ્યું હતું કે આચાર સંહિતા માટે હવે ફક્ત પંચાવન દિવસ બાકી રહ્યા છે, તેથી તમે કામે લાગી જાઓ. એની સાથે 25 જાન્યુઆરી સુધીમાં પચાસ લાખ નમો એપ ડાઉનલોડ કરવાનો ટાર્ગેટ પૂરો કરવાનો આદેશ આપ્યો હતો.
નાગપુરમાં ભાજપના વિધાનસભ્યની બેઠકમાં મહારાષ્ટ્રના ભાજપ પ્રદેશ પ્રમુખ ચંદ્રશેખર બાવનકુળેએ કહ્યું હતું કે દેશમાં બહુ ઝડપી લોકસભાની ચૂંટણી યોજવામાં આવશે. રામ મંદિરના ઉદ્ઘાટન પછી લોકસભાની ચૂંટણીની આચારસંહિતા લાગુ પડશે. આચારસંહિતા લાગુ પડવામાં આવ્યા પછી ફક્ત પંચાવન દિવસ બાકી રહ્યા છે, તેથી તમે કામમાં લાગી જાઓ.
મહારાષ્ટ્રના પ્રદેશપ્રમુખે તમામ વિધાનસભ્યોને કહ્યું હતું કે એક વિધાનસભ્ય પોતાના ચૂંટણીના ક્ષેત્રમાં ઓછામાં ઓછી 30,000 નમો એપ ડાઉનલોડ કરાવો. તમામ વિધાનસભ્ય રોજ પાંચ મિનિટ માટે પણ નમો એપ પર સમય કાઢો. બેઠકમાં ગેરહાજર રહેલા વિધાનસભ્યોને ચેતવણી આપતા કહ્યું હતુ કે જે લોકો હાજર રહેશે નહીં તો તેમને રિપોર્ટિંગ રાષ્ટ્રીય પ્રમુખને કરવામાં આવશે.