Lok Sabha Election 2024 : દેશમાં મતદાનના ત્રીજા તબકકામાં મહત્વની 9 બેઠકો પર કાંટાની ટક્કર, જાણો વિગતો
![Lok Sabha Election 2024: 10 per cent so far in third phase, 9.84 in Gujarat and 6.64 per cent in Maharashtra](https://bombaysamachar.com/wp-content/uploads/2024/05/yogesh-d-96.jpg)
લોકસભા ચૂંટણી 2024(Lok Sabha Election 2024) અંતર્ગત આજે ત્રીજા તબક્કાની ચૂંટણી યોજાઇ રહી છે. જેમાં 11 રાજ્યો અને એક કેન્દ્ર શાસિત પ્રદેશોની કુલ 93 બેઠકો પર મતદાન (Voting) છે. જેમાં 1331 ઉમેદવારોનું ભાવિ 17 કરોડ મતદારોના હાથમાં છે. આ બેઠકો જોવા જઇએ તો નવ બેઠકો પર રસાકસી જોવા મળી રહી છે.
ઉત્તર પ્રદેશની મૈનપૂરી બેઠક
જેમાં સૌ પ્રથમ બેઠકની વાત કરીએ તો એ બેઠક છે ઉત્તર પ્રદેશની મૈનપૂરી બેઠક છે. આ બેઠક પર ભાજપના ઉમેદવાર તરીકે યોગી સરકારના પર્યટન મંત્રી અને ત્રણ વારના ધારાસભ્ય જયવીરસિંહ ઠાકુર છે. જ્યારે આ બેઠક પર સમાજવાદી પાર્ટીના ઉમેદવાર તરીકે અખિલેશ યાદવના પત્ની અને ત્રણ વખતના સાંસદ ડિમ્પલ યાદવ મેદાનમાં છે. આ બેઠક સમાજવાદી પાર્ટીની પરંપરાગત બેઠક માનવામાં આવે છે.
મધ્યપ્રદેશની ભોપાલ બેઠક
જ્યારે બીજી બેઠક મધ્યપ્રદેશની ભોપાલ છે. આ બેઠક પર ભાજપે પૂર્વ મેયર આલોક શર્માને મેદાનમાં ઉતાર્યા છે. જ્યારે કોંગ્રેસ આ બેઠક પર ઉમેદવાર તરીકે ભોપાલ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અરુણ શ્રી વાસ્તવને ટિકિટ આપી છે. જે પ્રથમ વાર સાંસદની ચૂંટણી લડી રહ્યા છે.
મધ્યપ્રદેશની રાજગઢ બેઠક
મધ્યપ્રદેશની રાજગઢ બેઠક આ રસાકસી ધરાવતી ત્રીજી બેઠક છે. આ બેઠક એટલે મહત્વની છે કે આ બેઠક પરથી મધ્ય પ્રદેશના કોંગ્રેસના પૂર્વ મુખ્યમંત્રી અને નેતા દિગ્વિજય સિંહ મેદાનમાં છે. તેમની વિરુદ્ધ ભાજપે રાજગઢના વર્તમાન સાંસદ રોડમલ નાગરને જ ટિકિટ આપી છે.
ગુજરાતની રાજકોટ બેઠક
જ્યારે રસાકસીભરી ચોથી બેઠક રાજકોટ છે. જેમાં ભાજપે આ બેઠક પર કેન્દ્રીય મંત્રી પુરષોત્તમ રૂપાલાને મેદાનના ઉતાર્યા છે. જ્યારે તેમના ક્ષત્રિય સમાજ અંગેના વિવાદિત નિવેદને સમગ્ર રાજ્યમાં વિરોધ અને રોષ પેદા કર્યો છે. જેના પગલે કોંગ્રેસે આ બેઠક પર પરેશ ધાનાણીને ટિકિટ આપીને ફાયદો મેળવવાનો પ્રયાસ કર્યો છે.
ગુજરાતની બનાસકાંઠા બેઠક
જ્યારે પાંચમી રસાકસીવાળી બેઠક ઉત્તર ગુજરાતની બનાસકાંઠા છે. જેમાં કોંગ્રેસે મહિલા નેતા ગેનીબેન ઠાકોરને મેદાનમાં ઉતારીને બેઠક જીતવાનો પ્રયાસ કર્યો છે. તેવા સમયે ભાજપ આ બેઠક પર મહિલા ઉમેદવાર રેખાબેન ચૌધરીને ટિકિટ આપી છે. જેમાં ગેનીબેન ઠાકોરની ઇમેજ એક પાવરફૂલ નેતા તરીકેની છે. આ બેઠક પર બે મહિલા નેતાઓ આમને સામને છે.
ગુજરાતની ભરૂચ બેઠક
કોંગ્રેસના દિગ્ગજ નેતા અહમદ પટેલની પરંપરાગત ભરૂચ બેઠક છઠ્ઠી રસાકસી ધરાવતી બેઠક છે. આ બેઠક પર કોંગ્રેસે આમ આદમી પાર્ટી સાથે ગઠબંધન કરીને આપના આદિવાસી નેતા ચૈતર વસાવાને ટિકિટ ફાળવી દીધી છે. આ બેઠક અહમદ પટેલના પુત્ર અને પુત્રીએ પણ ટિકિટ માંગી હતી. જ્યારે ભાજપે આ બેઠક પર છ વખતના સાંસદ મનસુખ વસાવાને મેદાનમાં ઉતાર્યા છે
મહારાષ્ટ્રની રત્નાગિરીની સિંધુદુર્ગ બેઠક
જ્યારે રસાકસી ધરાવતી સાતમી બેઠક મહારાષ્ટ્રની રત્નાગિરીની સિંધુદુર્ગ છે. જેની પરથી ભાજપે મોદી સરકારના મંત્રી અને શિવસેના અને બાદમાં કોંગ્રેસ છોડીને ભાજપમાં આવેલા નારાયણ રાણેને ઉમેદવાર બનાવ્યા છે. જ્યારે આ બેઠક પરથી લોકસભા સાંસદ અને ઠાકરે પરિવારના નજીકના વિનાયક રાઉત મેદાનમાં છે.
મહારાષ્ટ્રની સોલાપુર બેઠક
મહારાષ્ટ્રની સોલાપૂર બેઠક રસાકસી ધરાવતી આઠમી બેઠક છે. આ બેઠક પર ભાજપે અત્યંત ગરીબ પરિવારમાંથી આવતા અને માલશિરસ બેઠકના વર્તમાન ધારાસભ્ય રામ સાતપૂતેને મેદાનમાં ઉતાર્યા છે. જ્યારે આ બેઠક પરથી રાજ્યના પૂર્વ ગૃહ મંત્રી સુશીલ શિંદેના પુત્રી અને સોલાપુરના વર્તમાન ધારાસભ્ય પ્રણિતી શિંદે ઉમેદવાર છે.
છત્તીસગઠની કોરબા બેઠક
ત્રીજા તબક્કાના મતદાનની નવમી રસાકસીભરી બેઠક છત્તીસગઠની કોરબા બેઠક છે. આ બેઠક પર ભાજપે પૂર્વ રાષ્ટ્રીય ઉપપ્રમુખ અને મહિલા મોરચાના પૂર્વ અધ્યક્ષ સરોજ પાંડેયને ટિકીટ આપી છે. જ્યારે કોંગ્રેસે આ બેઠક પરથી કોંગ્રેસ નેતા ચરણ દાસ મહંતના પત્ની જ્યોત્સના મહંતને મેદનમાં ઉતાર્યા છે.
આમ, દેશમાં મતદાનના ત્રીજા તબકકામાં 9 બેઠકો પર કાંટાની ટક્કર જોવા મળશે. આ તમામ બેઠકો પરનું ચૂંટણી પરિણામ 4 જૂનના રોજ જાહેર થશે.