જમ્મુ કાશ્મીરના કિસ્તાવડમાં સીઆરપીએફના બે જવાન સહિત 46 લોકોના મોત, અનેક લોકો ગુમ

જમ્મુ: જમ્મુ કાશ્મીરના કિસ્તાવડમાં વાદળ ફાટવાની ઘટનામાં મૃત્યુ આંક સતત વધી રહ્યો છે. જેમાં અત્યાર સુધી 46 લોકોના મોત થયા છે. જયારે 120 થી વધુ લોકો ઘાયલ થયા છે. તેમજ હજુ પણ 250 થી વધુ લોકો ગુમ થયા છે. વહીવટીતંત્રએ જણાવ્યું હતું કે, અત્યાર સુધી 167 લોકોને રેસ્ક્યૂ કરવામાં આવ્યા છે. જોકે, ખરાબ હવામાનને લીધે રાહત અને બચાવ કાર્યમાં મુશ્કેલી આવી રહી છે.
શ્રદ્ધાળુઓ મચેલ ગામમાં પૂજા-પ્રાર્થના માટે જઈ રહ્યા હતા
આ અંગે કિસ્તાવાડના નાયબ પોલીસ કમિશનર પંકજ શર્માએ જણાવ્યું હતું કે, જ્યારે શ્રદ્ધાળુઓ મચેલ ગામમાં પૂજા-પ્રાર્થના માટે જઈ રહ્યા હતા ત્યારે આ ઘટના બની હતી. તેમજ વાદળ ફાટવાને કારણે કિસ્તવાડના ચસોતી વિસ્તારમાં અચાનક પૂર આવ્યું હતું અને પરિસ્થિતિએ ગંભીર વળાંક લીધો હતો. ચસોતી મચેલ માતા યાત્રાનું પ્રારંભ સ્થાન છે.
કંટ્રોલ રૂમ અને હેલ્પ ડેસ્ક સ્થાપવામાં આવી
જમ્મુના ડિવિઝનલ કમિશનર રમેશ કુમારે જણાવ્યું હતું કે ચસોતીમાં વાદળ ફાટવાની દુર્ઘટના બાદ રાહત અને બચાવ કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે. જેમાં એનડીઆરએફ, એસડીઆરએફ, પોલીસ અને સ્થાનિક વહીવટીતંત્રની ટીમો રાહત અને બચાવમાં જોતરાઈ છે. જમ્મુ અને કાશ્મીર વહીવટીતંત્રે પદ્દરમાં યાત્રાળુઓની મદદ માટે કંટ્રોલ રૂમ અને હેલ્પ ડેસ્ક સ્થાપવામાં આવી છે. પદ્દર ચસોતી ગામથી લગભગ 15 કિમી દૂર છે. આ કંટ્રોલ રૂમ માટે પાંચ અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે.
સાંસ્કૃતિક કાર્યક્રમ રદ કરવામાં આવ્યો
કિસ્તાવડની દુર્ઘટનાના કારણે જમ્મુ કાશ્મીરમાં સ્વતંત્રતા દિવસના અવસર પર યોજાનાર સાંસ્કૃતિક કાર્યક્રમ રદ કરવામાં આવ્યા છે. જમ્મુમાં યોજાનારી એટ હોમ પાર્ટી પણ રદ કરવામાં આવી છે. જમ્મુ કાશ્મીરના સીએમ ઓમર અબ્દુલ્લાએ જણાવ્યું હતું કે આજે માત્ર પરેડ થશે કોઇ સાંસ્કૃતિક કાર્યક્રમ આયોજિત નહિ થાય.
આ પણ વાંચો…જમ્મુ કાશ્મીરમાં માતા વૈષ્ણો દેવી માર્ગ પર બાણગંગા નજીક ભૂસ્ખલન, અનેક યાત્રીઓ ફસાયા