Kamlam બહાર લાગી છે લાઈન, કૉંગ્રેસના આ ત્રણ મોટા નેતા ભાજપમાં જોડાઈ તેવી સંભાવના | મુંબઈ સમાચાર

Kamlam બહાર લાગી છે લાઈન, કૉંગ્રેસના આ ત્રણ મોટા નેતા ભાજપમાં જોડાઈ તેવી સંભાવના

અમદાવાદઃ કૉંગ્રેસ (Congress) ની ભારત જોડો ન્યાય યાત્રા અંગે પક્ષે યોજેલી પત્રકાર પરિષદમાં પક્ષના મોટા નેતા અને હાલમાં જેમની નારાજગીની ચર્ચાઓ ચાલી રહી છે તે પોરબંદરના વિધાનસભ્ય અર્જુન મોઢવાડિયા (Arjun Modhvadiya) હાજર ન હોવાથી ફરી અટકળો ચાલી રહી છે. મોઢવાડિયા આજકાલમાં જ ભાજપમાં જોડાઈ તેવી સંભાવના છે. માત્ર મોઢવાડિયા જ નહીં સૌરાષ્ટ્રના બે મોટા ચહેરા અમરિશ ડેર અને પૂંજા વંશ પણ ભાજપમાં જોડાઈ તેવી અટકળો તેજ થઈ છે.

અમરિશ ડેરને છ વર્ષ માટે પક્ષમાંથી સસ્પેન્ડ કરાયાનું પક્ષના પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું. જોકે બે દિવસથી અમરિશ ડેરનું નામ સમાચારોમાં ચમકતું હતું. આહિર જ્ઞાતિમાંથી આવતા અમરિશ ડેરને ભાવનગરમાં આમ આદમી પક્ષ (આપ)ના ઉમેદવાર ઉમેશ મકવાણા વિરુદ્ધ ઊભા કરવામાં આવે તેમ માનવામાં આવે છે.


જૂનાગઢથી કોળી સમાજનો ચહેરો ઊભો રાખવા ભાજપે પૂંજા વંશનો સંપર્ક સાધ્યો હોવાનું કહેવાય છે. ભાજપના જૂનાગઢના વર્તમાન સાંસદ રાજેશ ચૂડાસમા નામ વેરાવળના સેવાભાવી ડોક્ટર અતુલ ચંગની આત્મહત્યામાં કથિત રીતે સંડોવાયેલા હોવાના અહેવાલો બાદ તેમને રિપીટ કરવાનું શક્ય નથી. ભાજપે તો કોળી ચહેરો જ જોતો હોય તો તેમણે પૂંજા વંશ પર પસંદગી ઉતારવી પડે તેમ છે. આથી વંશ પણ ભાજપમા જોડાઈ તેવી અટકળોએ જોર પકડ્યું છે. જોકે મુંબઈ સમાચાર સાથે વાત કરતા વંશે આ વાતનો ઈનકાર કર્યો હતો.

Amrish Dher
Punja Vansh
Arjun Modhwadiya

મોઢવાડિયા, ડેર અને વંશ એ ત્રણેય નેતાઓ સૌરાષ્ટ્રના છે અને અહીં કૉંગ્રેસને મજબૂત કરવા તેમનું યોગદાન નોંધપાત્ર છે. હવે તેઓ ભાજપમાં જોડાશે તો કૉંગ્રેસ માટે આ બહુ મોટો ઝટકો હશે આ સાથે શક્તિસિંહના નેતૃત્વ સામે પણ સવાલો ઊભા થશે.

Back to top button