
નવી દિલ્હી: ચંદીગઢ મેયરની ચૂંટણીમાં થયેલી ગેરરીતિના કેસની આજે સુપ્રીમ કોર્ટે મહત્વની સુનાવણી કરી હતી. આ મામલે ચીફ જસ્ટિસે કડક વલણ દાખવ્યું હતું, તેમણે કહ્યું છે કે મતોની ફરીથી ગણતરી કરવામાં આવે. જે 8 મત રદ થયા છે તે માન્ય ગણવામાં આવશે અને તેની ગણતરી કરવામાં આવશે.
ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ, જસ્ટિસ જેબી પારડીવાલા અને જસ્ટિસ મનોજ મિશ્રાની બેંચે મહત્વપૂર્ણ સુનાવણી કરી હતી છે. આમ આદમી પાર્ટી (AAP)ના કાઉન્સિલર કુલદીપ કુમારે મેયર અને ડેપ્યુટી મેયરની ચૂંટણીમાં 8 વોટને અમાન્ય જાહેર કરવાના પ્રિસાઇડિંગ ઓફિસર એટલે કે રિટર્નિંગ ઓફિસરના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો.
અગાઉ સોમવારે થયેલી સુનાવણીમાં રિટર્નિંગ ઓફિસરે સ્વીકાર્યું હતું કે તેણે જ બેલેટ પેપર પર ક્રોસ લગાવ્યો હતો. રિટર્નિંગ ઓફિસરની પૂછપરછ કર્યા બાદ કોર્ટે તમામ અસલ વીડિયો રેકોર્ડિંગ અને ચૂંટણી સંબંધિત દસ્તાવેજો માંગ્યા હતા. રિટર્નિંગ ઓફિસરના વીડિયો અને બેલેટ પેપર પણ કોર્ટ રૂમમાં જમા કરાવવામાં આવ્યા હતા.