
નવી દિલ્હી: ભારતમાં ઘણા સમયથી અટકી પડેલી વસ્તી ગણતરીને લઈને મહત્વપૂર્ણ અપડેટ મળી રહ્યું છે. દેશમાં આગામી વસ્તીગણતરી 1 માર્ચ, 2027 થી બે તબક્કામાં શરૂ થશે. આ વખતેની વસ્તીગણતરીમાં એક મહત્વપૂર્ણ ફેરફાર કરવામાં આવ્યો છે, જેમાં જાતિની કૉલમ પણ શામેલ કરવામાં આવ્યો છે, જેની લાંબા સમયથી માંગ કરવામાં આવી રહી હતી. કેન્દ્રશાસિત પ્રદેશ લદ્દાખ અને જમ્મુ-કાશ્મીર, તેમજ હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડ જેવા બર્ફીલા રાજ્યોમાં વસ્તીગણતરી ઓક્ટોબર ૨૦૨૬ થી શરૂ થશે.
વસ્તીગણતરી કર્મચારીઓ દરેક ઘરે જઈને લોકોની વિગતવાર માહિતી એકત્રિત કરશે, જેમાં તેમની જાતિની જાણકારી પણ શામેલ હશે. આ પગલું જાતિ આધારિત આંકડા એકત્રિત કરવામાં અને સમાજના વિવિધ વર્ગોની સામાજિક-આર્થિક સ્થિતિને ઊંડાણપૂર્વક સમજવામાં મદદ કરશે. માનવામાં આવે છે કે જાતીય વસ્તીગણતરીના આંકડા આવ્યા બાદ ભારતમાં ઘણા મોટા પરિવર્તનો આવી શકે છે. આનો સૌથી મોટો સંભવિત બદલાવ આરક્ષણ પરની 50 ટકાની મર્યાદામાં વધારો હોઈ શકે છે, જેની વિપક્ષ દ્વારા લાંબા સમયથી માંગ કરવામાં આવી રહી હતી.
કોવિડને કારણે સ્થગિત થયેલી ગણતરી
છેલ્લી વસ્તીગણતરી વર્ષ 2011માં થઈ હતી, ત્યારે ભારતની વસ્તી 121 કરોડથી વધુ નોંધાઈ હતી. સામાન્ય રીતે દર દસ વર્ષે થતી આ વસ્તીગણતરી 2021 માટે નિર્ધારિત હતી, પરંતુ કોરોના મહામારીને કારણે તેને સ્થગિત કરવી પડી હતી. 2021માં પણ બે તબક્કામાં વસ્તીગણતરી કરવાનું પ્રસ્તાવિત હતું, જેમાં પ્રથમ તબક્કો એપ્રિલ-સપ્ટેમ્બર 2020 દરમિયાન અને બીજો તબક્કો ફેબ્રુઆરી 2021માં યોજાવાનો હતો. પ્રથમ તબક્કાની તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ હતી અને 1 એપ્રિલ, 2020થી કેટલાક રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં ફિલ્ડ વર્ક શરૂ થવાનું હતું, પરંતુ દેશભરમાં COVID-19 મહામારીને કારણે તેને અનિશ્ચિતકાળ માટે સ્થગિત કરવામાં આવી હતી.
આ પણ વાંચો – સંસદનું ચોમાસુ સત્ર: 21 જુલાઈથી થશે શરૂ, રિજિજૂએ કરી જાહેરાત…
વસ્તીગણતરીનું મહત્વ
વસ્તીગણતરી એક અત્યંત મહત્વપૂર્ણ પ્રક્રિયા છે જેમાં દેશના તમામ વ્યક્તિઓ સંબંધિત આંકડા એકત્રિત કરવામાં આવે છે. આ પ્રક્રિયા દર દસ વર્ષે એકવાર થાય છે અને તેમાં જનસાંખ્યિક, સામાજિક, સાંસ્કૃતિક અને આર્થિક ડેટા શામેલ હોય છે. વસ્તીગણતરી દ્વારા લોકોની સંખ્યા, ઉંમર, લિંગ, શિક્ષણ, વ્યવસાય અને અન્ય મહત્વપૂર્ણ માહિતી એકત્રિત કરવામાં આવે છે, જેનો ઉપયોગ સામાજિક, આર્થિક અને રાજકીય ઉદ્દેશ્યો માટે થાય છે. આ આંકડા નીતિ નિર્માણ, યોજના બનાવવી અને વિકાસના કાર્યો માટે અત્યંત મહત્વપૂર્ણ હોય છે. કેન્દ્ર સરકારે અગાઉ જ જાતિગત વસ્તીગણતરીને મંજૂરી આપી દીધી હતી, જેની વિપક્ષ લાંબા સમયથી માંગ કરી રહ્યું હતું. આંકડા આવ્યા બાદ ભારતમાં ઘણા મોટા પરિવર્તનોની અપેક્ષા છે.