ટોપ ન્યૂઝનેશનલ

જે. પી. નડ્ડાના ઉત્તરાધિકારી કોણ?

ભાજપમાં નવા રાષ્ટ્રીય અધ્યક્ષની પસંદગીની પ્રક્રિયા ફરી આગળ વધી, આગામી અઠવાડિયે PM Modi વિદેશયાત્રાથી પાછા ફરે તેની જોવાય છે રાહ

(અમારા પ્રતિનિધિ તરફથી)
નાગપુર:
ભાજપને નવો રાષ્ટ્રીય અધ્યક્ષ ક્યારે મળશે? આ સવાલ ઘણા સમયથી પુછાઈ રહ્યો છે. વર્તમાન રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી. નડ્ડાના ઉત્તરાધિકારી અંગે મોટી માહિતી સામે આવી છે. સૂત્રોનું માનીએ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો વિદેશનો પ્રવાસ સમાપ્ત થતાં જ રાષ્ટ્રીય અધ્યક્ષની પસંદગીની પ્રક્રિયા આગળ વધશે.

સંઘ અને ભાજપના સૂત્રોનું કહેવું છે કે રાષ્ટ્રીય અધ્યક્ષનું નામ 30 જૂન પહેલા જાહેર કરવામાં આવશે. જૂન મહિનામાં જ 9મી તારીખે વડા પ્રધાન મોદી તેમના ત્રીજા કાર્યકાળનું પ્રથમ વર્ષ પૂર્ણ કરશે. પીએમ મોદીએ 9મી જૂને શપથ લીધા હતા. તેમણે વડાપ્રધાન તરીકે 11 વર્ષ પૂર્ણ કર્યા છે. તેમણે 26 મેના રોજ પહેલી વાર શપથ લીધા હતા.

આપણ વાંચો: ભાજપના નવા રાષ્ટ્રીય અધ્યક્ષની પસંદગીની કવાયત તેજ, મહિલાને અધ્યક્ષ બનાવવાની અટકળો…

નવા રાષ્ટ્રીય અધ્યક્ષની જાહેરાત ક્યારે થશે?

રાષ્ટ્રીય અધ્યક્ષની જાહેરાતમાં વિલંબ પાછળનું કારણ સંઘ સાથે સર્વસંમતિનો અભાવ હતો, જોકે સંઘના નજીકના લોકો આ દાવાને નકારી રહ્યા છે. નવા ભાજપ પ્રમુખ સામે આરએસએસની વિચારધારા અને ભાજપની રાજકીય રણનીતિનું સંતુલન જાળવી રાખવાનો મોટો પડકાર રહેશે. આવી સ્થિતિમાં કમાન એવા ચહેરાને સોંપવામાં આવશે જે માત્ર ઉર્જાવાન જ નહીં, પરંતુ દેશભરમાં સંગઠનને મજબૂત પણ બનાવી શકે.

ભાજપના અત્યાર સુધીના ઇતિહાસમાં ક્યારેય રાષ્ટ્રીય અધ્યક્ષ માટે મતદાન કરવાની સ્થિતિ આવી નથી. દર વખતે રાષ્ટ્રીય અધ્યક્ષ બિનહરીફ ચૂંટાયા છે. આ વખતે પણ આ પરંપરા ચાલુ રહેવાની અપેક્ષા છે. સૂત્રોનું માનીએ તો રાષ્ટ્રીય અધ્યક્ષનું નામ જૂનના મધ્યમાં જાહેર થઈ શકે છે. 30 જૂનને છેલ્લી સમયમર્યાદા માનવામાં આવી રહી છે.

આપણ વાંચો: આગામી મહિનામાં ભાજપને મળી શકે નવા રાષ્ટ્રીય અધ્યક્ષ, જાણો નવી અપડેટ…

રેસમાં ફક્ત બે નામો સૌથી આગળ

રાષ્ટ્રીય અધ્યક્ષની જાહેરાતમાં જેટલો વિલંબ થઈ રહ્યો છે એટલા વધુ નામોની ચર્ચા થઈ રહી છે. અત્યાર સુધીમાં લગભગ 20 નામોની ચર્ચા થઈ છે, પરંતુ સૂત્રો કહે છે કે ભાજપ નેતૃત્વે યોગ્ય ઉમેદવારને શોર્ટલિસ્ટ કરી નાખ્યો છે. જૂન મહિનામાં પાર્ટીનું નેતૃત્વ નવા નેતાને કમાન સોંપશે, કારણ કે હવે વધુ સમય બચ્યો નથી.

આ પછી પાર્ટીએ બિહારની ચૂંટણી માટે તૈયારી કરવી પડશે. ભાજપે 2020માં જેપી નડ્ડાને સંગઠનની કમાન સોંપી હતી. તેમનો કાર્યકાળ 2023માં જ પૂરો થઈ ગયો હતો. આ પછી તેમનો કાર્યકાળ લોકસભા ચૂંટણી સુધી લંબાવવામાં આવ્યો હતો અને ત્યારબાદ તેમનો કાર્યકાળ વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને લંબાવવામાં આવ્યો હતો.

આપણ વાંચો: ભાજપ નવા રાષ્ટ્રીય અધ્યક્ષની પસંદગી કયા ‘ખાસ’ માપદંડના આધારે કરશે?

આવી સ્થિતિમાં જ્યારે મોદી 3.0 સરકારની પહેલી વર્ષગાંઠ આવતા મહિને છે, ત્યારે એવું માનવામાં આવે છે કે વડા પ્રધાન મોદી ત્રીજી જૂન પછી કોઈ મોટો પ્રવાસ કરશે નહીં. આવી સ્થિતિમાં, રાષ્ટ્રીય અધ્યક્ષની નિમણૂક અને પ્રધાન મંડળમાં ફેરબદલનું કામ આગળ વધી શકે છે.

રાષ્ટ્રીય અધ્યક્ષની રેસમાં ભાજપમાં ધર્મેન્દ્ર પ્રધાન અને ભૂપેન્દ્ર યાદવના નામો અત્યારે વિચારવામાં આવી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે. આ બંને નેતાઓ ઓબીસી સમાજમાંથી આવે છે, એ તેમની સૌથી મોટી લાયકાત માનવામાં આવી રહી છે.

દિગ્ગજો પર દાવ લગાવવો મુશ્કેલ

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ માટે સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહથી લઈને નીતિન ગડકરી અને શિવરાજ સિંહ ચૌહાણ સુધીના નામોની પણ ચર્ચા થઈ રહી છે. આધારભૂત સૂત્રોએ જણાવ્યું હતું કે, રાજનાથ સિંહ અને ગડકરી બંને 10 વર્ષ પહેલા પાર્ટીના અધ્યક્ષ રહી ચૂક્યા છે.

આવી સ્થિતિમાં નવા ભાજપનો સંદેશ આપવો હોય તો જૂના અધ્યક્ષને સામે લાવવાનું મુશ્કેલ જણાઈ રહ્યું છે. શિવરાજ સિંહ ચૌહાણે કૃષિ પ્રધાન તરીકે સારું કામ કરી રહ્યા છે. આવી જ રીતે ગડકરી માર્ગ પરિવહન ખાતાનો કારભાર સક્ષમ રીતે સંભાળે છે. આવી સ્થિતિમાં તેમને સંગઠનમાં લાવવાની શક્યતા ખૂબ ઓછી છે.

શિવરાજ સિંહ ચૌહાણ બે દાયકાથી સરકારમાં છે. તેમનો સંગઠનાત્મક અનુભવ ઘણો જૂનો છે. આવી સ્થિતિમાં પાર્ટી 60 વર્ષથી ઓછી ઉંમરના કોઈ ઓબીસી નેતાના નામને મંજૂરી આપે તેવી અપેક્ષા છે.

આ દિગ્ગજો ઉપરાંત, અન્ય નામોમાં મનોહર લાલ, બી. એલ. સંતોષ, પ્રહલાદ જોશી, જી. કિશન રેડ્ડી, કે. અન્નામલાઈનો સમાવેશ થાય છે. રાષ્ટ્રીય અધ્યક્ષ માટે સંભવિત ઉમેદવારોમાં મહારાષ્ટ્રના વિનોદ તાવડેનું નામ પણ બોલાઈ રહ્યું છે, પરંતુ તેમના નામ માટે અનેક નેતાઓ અનુકૂળ ન હોવાનું સંભળાઈ રહ્યું છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button