ભારત રત્નના એલાન બાદ અડવાણી બોલ્યા: ‘મારુ જીવન દેશને સમર્પિત રહ્યું’

નવી દિલ્હી: અયોધ્યામાં રામ મંદિરનો સંકલ્પ પૂરો થયો. રામલલ્લા અહીં બિરાજમાન છે. હવે મંદિર આંદોલનના સૌથી મોટા ચહેરા લાલકૃષ્ણ અડવાણીને ભારત રત્ન આપવામાં આવશે. (L K Advani Bharat Ratna) વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પોતે આની જાહેરાત કરી હતી અને કહ્યું હતું કે ભૂતપૂર્વ નાયબ વડા પ્રધાનને દેશના સૌથી મોટા સન્માનથી સન્માનિત કરવામાં આવશે. 96 વર્ષીય અડવાણીએ પોતે આ સંબંધમાં એક નિવેદન જાહેર કરીને કહ્યું હતું કે તેઓ આ સન્માનને સંપૂર્ણ નમ્રતા અને કૃતજ્ઞતા સાથે સ્વીકારશે.
અડવાણીએ કહ્યું, “જ્યારથી હું 14 વર્ષની વયે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાં સ્વયંસેવક તરીકે જોડાયો છું, ત્યારથી મારી એક જ ઈચ્છા કરી હતી – જીવનમાં મને જે પણ કાર્ય સોંપવામાં આવ્યું છે તેમાં મારી જાતને મારા પ્રિય દેશને સમર્પિત કરીને નિઃસ્વાર્થ સેવા કરી છે. મારા જીવનને પ્રેરણા આપી છે તે સૂત્ર છે “ઈદમ ન મમ” ─ “આ જીવન મારું નથી. મારું જીવન મારા રાષ્ટ્ર માટે છે.”
દેશના નાયબ વડાપ્રધાન રહી ચૂકેલા લાલકૃષ્ણ અડવાણીએ પંડિત દીનદયાળ ઉપાધ્યાય અને ભારત રત્ન અટલ બિહારી વાજપેયી સાથે લાંબા સમય સુધી કામ કર્યું છે. ભારત રત્ન મળ્યા બાદ તેમણે આ બે મોટા નેતાઓનો આભાર માન્યો હતો. તેમણે કહ્યું, “હું મારી પાર્ટીના લાખો કાર્યકરો, સ્વયંસેવકો અને અન્ય લોકોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું કે જેમની સાથે મને જાહેર જીવનમાં મારા સમગ્ર પ્રવાસ દરમિયાન કામ કરવાનું સૌભાગ્ય મળ્યું.”
અડવાણીએ કહ્યું, “હું મારા પરિવારના તમામ સભ્યો, ખાસ કરીને મારી પ્રિય સ્વર્ગસ્થ પત્ની કમલા પ્રત્યે મારી ઊંડી લાગણીઓ પણ વ્યક્ત કરું છું. તે મારા જીવનમાં શક્તિ અને સ્થિરતાનો સૌથી મોટો સ્ત્રોત રહી છે.” તેમણે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો પણ આભાર માન્યો હતો. તેમણે પ્રાર્થના પણ કરી કે, “આપણો મહાન દેશ મહાનતા અને ગૌરવની ઊંચાઈઓ પર પ્રગતિ કરે.”