
મુંબઈઃ અભિનેત્રી અને મોડલ શેફાલી જરીવાલાનું શુક્રવારે મોડી રાત્રે અવસાન થયું છે. શેફાલીને હૃદયરોગનો હુમલો આવ્યો હતો, જેના બાદ તેને હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. જો કે, હોસ્પિટલમાં તેને ડૉક્ટરોએ મૃત જાહેર કરી હતી. તેના નિધનની ફિલ્મ ઉદ્યાગમાં અત્યારે શોકનો માહોલ છવાઈ ગયો છે. શેફાલીના મૃતદેહને બપોરે 12:30 વાગ્યે અંધેરીની કૂપર હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો, જ્યાં તેને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો. કૂપર હોસ્પિટલના AMO (સહાયક તબીબી અધિકારી) ના જણાવ્યા પ્રમાણે મૃતદેહ બીજી હોસ્પિટલમાંથી લાવવામાં આવ્યો છે, તેથી મૃત્યુનું કારણ પોસ્ટમોર્ટમ રિપોર્ટ પછી જ જાણી શકાશે.
શેફાલીના નિધનની ફિલ્મ ઉદ્યાગમાં અત્યારે શોકનો માહોલ
આ દરમિયાન મુંબઈ પોલીસ મોડી રાત્રે તપાસ માટે શેફાલીના અંધેરીના ઘરે પહોંચી હતી. ફોરેન્સિક ટીમ પણ ઘટનાસ્થળે હાજર હતી અને ઘરની સઘન તપાસ કરવામાં આવી હતી. જોકે, શેફાલીના મૃત્યુ અંગે અત્યાર સુધી કોઈ સત્તાવાર નિવેદન જારી કરવામાં આવ્યું નથી, પરંતુ પોલીસ અને ફોરેન્સિક ટીમ જે રીતે તપાસ કરી રહી છે, તે જોતાં આ મામલો શંકાસ્પદ માનવામાં આવી રહ્યો છે. જેથી પોલીસે તે દિશામાં પણ તપાસ હાથ ધરી દીધી છે. જો કે, હજી મોતનું કારણ અંગે કોઈ જાણકારી આપવામાં આવી નથી.
‘કાંટા લગા’ ગીતથી શેફાલી રાતોરાત પ્રખ્યાત અભિનેત્રી બની ગઈ
શેફાલી જરીવાલા વિશે વાત કરવામાં આવે તો, શેફાલી જરીવાલાએ તેના શાનદાર અભિનય અને તેની સુંદરતાથી દર્શકોના દિલ જીતી લીધા હતા. 2002માં રિલીઝ થયેલા આઇકોનિક મ્યુઝિક વીડિયો ‘કાંટા લગા’માં તેના નૃત્યે તેને રાતોરાત પ્રખ્યાત બનાવી દીધી હતી. આ મ્યુઝિક વીડિયો પ્રખ્યાત થયા પછી દેશમાં રિમિક્સ સંગીતનો એક નવો યુગ શરૂ થયો. અત્યારે તેનું અવસાન થતા બોલિવુડમાં ભારે શોકનું વાતવરણ છવાઈ ગયું છે. શેફાલીએ ત્રણ દિવસ પહેલા પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર છેલ્લી પોસ્ટ કરી હતી. જેમાં તેણે પોતાના છ ફોટા પોસ્ટ કર્યા હતા. કેપ્શનમાં લખ્યું હતું – ‘બેબી પર બ્લિંગ ઇટ’.
શેફાલીએ 2014માં અભિનેતા પરાગ ત્યાગી સાથે હતા લગ્ન કર્યા
શેફાલી જરીવાલાનો જન્મ 15 ડિસેમ્બર 1982ના રોજ ગુજરાતના અમદાવાદમાં થયો હતો. તેના પિતાનું નામ સતીશ જરીવાલા અને માતાનું નામ સુનિતા જરીવાલા છે. શેફાલીએ 2014માં ટીવી સીરિયલના અભિનેતા પરાગ ત્યાગી સાથે લગ્ન કર્યા હતા. ફિલ્મ સમીક્ષક વિક્કી લાલવાણીએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેફાલીના મૃત્યુની પુષ્ટિ કરી છે. પોસ્ટ કરતા લખ્યું છે કે, શેફાલીને શુક્રવારે બેલેવ્યુ મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલમાં લાવવામાં આવી હતી. તેના પતિ અને ત્રણ લોકો તેની સાથે હતા. હોસ્પિટલના રિસેપ્શન સ્ટાફે તેના મૃત્યુની પુષ્ટિ કરી હતી. રિસેપ્શન સ્ટાફે કહ્યું હતું કે, ‘શેફાલીને મૃત હાલતમાં અહીં લાવવામાં આવી હતી. તેના પતિ અને કેટલાક લોકો શેફાલીને લાવ્યા હતા’.
હું આઘાત પામ્યો છું, દુઃખી છુંઃ ગાયક મીકા સિંહ
પ્રખ્યાત ગાયક મીકા સિંહે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેફાલીના મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો છે. મીકા સિંહે લખ્યું કે, ‘હું આઘાત પામ્યો છું, દુઃખી છું… આપણો પ્રિય સ્ટાર અને મારો શ્રેષ્ઠ મિત્ર આપણને છોડીને ચાલી ગઈ છે. મને વિશ્વાસ નથી થઈ રહ્યો’. આ સાથે અનેક ચાહકોએ પણ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરીને શોક વ્યક્ત કર્યો છે.