બુમરાહ ફિટ તો ટીમ ઇન્ડિયા હિટ…

સ્પોર્ટ્સ મૅન – સાશા
શુભમન ગિલે ક્યારેય સપનાંમાં પણ નહોતું વિચાર્યું કે એક દિવસ તે ભારતીય ટીમનું નેતૃત્વ સંભાળશે. હવે તે ભારતની ટેસ્ટ ટીમનો કૅપ્ટન છે અને તેણે અમુક લક્ષ્યો નિર્ધારિત કર્યાં છે જેમાં ખાસ કરીને તેનો એક ટાર્ગેટ એવો છે કે તે ટીમમાં એવું કલ્ચર ઘડવા માગે છે જેમાં દરેક ખેલાડી સુરક્ષા અને પ્રસન્નતા’નો અનુભવ કરતો રહે. આ લક્ષ્ય પ્રશંસનીય છે. જોકે મંઝિલ તો સફળતાના પથ પરથી જ મળતી હોય છે. વિરાટ કોહલી, રોહિત શર્મા અને રવિચન્દ્રન અશ્વિન જેવા વરિષ્ઠ ખેલાડીઓના રિટાયરમેન્ટ બાદ હવે ભારતીય ટેસ્ટ ટીમનો પરિવર્તનકાળ શરૂ થયો છે જેમાં ટીમ ઇન્ડિયા નવેસરથી આકાર પામી રહી છે
એટલે પહેલો સવાલ એ છે કે શું ભારત 2007 પછી હવે પહેલી વાર ઇંગ્લૅન્ડમાં ટેસ્ટ-સિરીઝ જીતી શકશે? પાંચ મૅચવાળી ટેસ્ટ-શ્રેણીનો પ્રથમ મુકાબલો લીડ્સમાં શુક્રવારે શરૂ થયો. રનનું ઘણું મહત્ત્વ છે એ વાતનો ઇનકાર કોઈ ન કરી શકે, પરંતુ ટેસ્ટમાં વિજય તો બોલર્સની ક્ષમતા પર નિર્ભર કરતી હોય છે. ટેસ્ટમાં બોલર્સ હરીફ ટીમની તમામ 20 વિકેટ લેવા કાબેલ છે કે નહીં એ સૌથી મોટો મુદ્દો હોય છે. હાલનાં વર્ષોમાં ભારતે SENA (સાઉથ આફ્રિકા, ઇંગ્લૅન્ડ, ન્યૂ ઝીલૅન્ડ, ઑસ્ટે્રલિયા) દેશોમાં સારું પ્રદર્શન પોતાની અસરદાર ફાસ્ટ બોલિંગને લીધે જ કર્યું છે. ઇંગ્લૅન્ડમાં બૉલ વધુ સ્વિંગ થાય અને સીમ મૂવમેન્ટ પણ વધુ મળતી હોય છે અને એ પણ 50-60 ઓવર સુધી. એ જોતાં ઇંગ્લૅન્ડ સામેની સિરીઝ આપણા પેસ બોલર્સ કેવું પ્રદર્શન કરશે એના પર નિર્ભર કરશે.
કુલદીપ યાદવને જો આશા હોય કે ઇંગ્લૅન્ડમાં સ્પિનર્સને મદદ કરતી પિચ મળી શકે છે તો પણ પેસ બોલર્સ જ નિર્ણાયક બની શકશે. ફાસ્ટ બોલિંગમાં ભારતનો સૌથી મોટો આધાર નિર્વિવાદપણે જસપ્રીત બુમરાહ પર છે. તેણે 46 ટેસ્ટમાં 6/27ના સર્વશ્રેષ્ઠ પ્રદર્શન સાથે કુલ 205 વિકેટ લીધી છે. ઇંગ્લૅન્ડમાં પણ તેનો પર્ફોર્મન્સ સારો રહ્યો છે. ત્યાં તેણે નવ ટેસ્ટમાં કુલ 37 વિકેટ લીધી છે અને 5/64 તેનો બેસ્ટ પર્ફોર્મન્સ છે. લોકો સ્ટેડિયમમાં બુમરાહની જાદુઈ બોલિંગ જોવા માટે આવતા હોય છે. તે સ્ટાર છે. જોકે તેની સાથે કેટલીક સમસ્યાઓ પણ જોડાયેલી હોય છે. ખુદ તેણે જ કહ્યું છે કે તે ઇંગ્લૅન્ડ સામેની સિરીઝની પાંચેય ટેસ્ટ નહીં રમે.
તે વધુમાં વધુ ત્રણ ટેસ્ટ રમશે અને એ માટે જ તેને કૅપ્ટન નથી બનાવવામાં આવ્યો. ઑસ્ટે્રલિયામાં તેણે કૅપ્ટનપદે રહીને સારું પર્ફોર્મ કર્યું હતું, પરંતુ ઈજાની સંભાવના અને વર્કલૉડ મૅનેજમેન્ટને લક્ષમાં રાખીને તેણે પોતે જ કૅપ્ટન્સી નથી સ્વીકારી અને માત્ર પ્લેયર તરીકે ટીમને યોગદાન આપવાનું પસંદ કર્યું છે. ભારતના અન્ય ફાસ્ટ બોલર્સ, ખાસ કરીને મોહમ્મદ સિરાજે બુમરાહ પરનો વર્કલૉડ શૅર કરવો પડશે. સિરાજના આંકડા પર નજર કરીએ તો તેણે 36 ટેસ્ટમાં 100 વિકેટ લીધી છે અને 6/15 તેનો સર્વશ્રેષ્ઠ પર્ફોર્મન્સ છે. ઇંગ્લૅન્ડમાં તેનો દેખાવ જોઈએ તો છ ટેસ્ટમાં તેણે 23 વિકેટ લીધી છે અને 4/23 તેનો બેસ્ટ પર્ફોર્મન્સ છે.
ભારતના ભૂતપૂર્વ બોલર ભરત અરુણનું કહેવું છે કેસિરાજ હવે પર્ફોર્મન્સ સુધારવા પર વધુ ધ્યાન આપે અને ટીમનો મુખ્ય ફાસ્ટ બોલર બને એ સમય આવી ગયો છે. સિરાજ માટે આ બહુ સારો અવસર છે. તેની પાસે પૂરતો અનુભવ છે. મેં તેને અહીં ઇંગ્લૅન્ડમાં જ અને એ પણ ક્રિકેટના મક્કા ગણાતા લૉર્ડ્સના મેદાન પર અસરદાર બોલિંગ કરતો જોયો છે. તેના એ દેખાવવાળી ટેસ્ટ (ગયા વખતે) ભારતે જીતી લીધી હતી. હવે સમય એ આવી ગયો છે જેમાં સિરાજ કહે કે તે હવે ટીમનો ફ્રન્ટલાઇન બોલર બનવા જઈ રહ્યો છે. સિરાજ પાસે પ્રતિભા છે. જોકે મહત્ત્વપૂર્ણ વાત એ છે કે તેની માનસિક સ્થિતિ કેવી છે. તે જે ચાલાકીથી બોલિંગ કરતો હોય છે એ સૌ કોઈ જાણે છે.
સિરાજ એ બોલર છે જેને કૅપ્ટનની પસંદગીના લિસ્ટ અચૂક હોય છે, કારણકે તે 100 ટકા ક્ષમતાથી રમવામાં ક્યારેય પાછીપાની નથી કરતો. આક્રમક હોવું સારી વાત છે, પણ એને નિયંત્રિત પણ કરવું પડે. આઇપીએલમાં સિરાજે સારી બોલિંગ કરી હતી. તે સારા રિધમમાં જોવા મળ્યો હતો.’ હવે જોવાનું એ છે કે શુભમન ગિલ પોતાના બોલર્સનો કેવી સમજદારીથી ઉપયોગ કરશે. ગિલ કહે છે, હું કૅપ્ટન બનીશ એ મેં સપનાંમાં પણ નહોતું વિચાર્યું. જોકે હવે જ્યારે આ જવાબદારી મારા પર આવી જ ગઈ છે તો હું ટ્રોફી અને મેડલની સિદ્ધિને બાજુ પર રાખીને એવી ટીમ ઘડવાનો પ્રયત્ન કરીશ જેમાં દરેક ખેલાડી પોતાને સુરક્ષિત અને આનંદિત ગણે.’ જોકે ગિલ એ પણ જાણે છે કે તે જે કહી રહ્યો છે એ કહેવું સહેલું છે, એ કરી બતાડવું અઘરું છે.
અલગ-અલગ વાતાવરણમાં અને ભિન્ન ટીમો સામે હરીફાઈમાં ઊતરવાનું હોવાથી ઇચ્છિત પરિણામ આપવું મુશ્કેલ હોય છે એવું જાણવાની સાથે ગિલ કહે છે,લીડરનું સૌથી મહત્ત્વપૂર્ણ કાર્ય ટીમમાં ખેલાડીઓ માટે સુરક્ષિત વાતાવરણ જાળવી રાખવાનું હોય છે તેમ જ પ્લેયર્સને તેમની ક્ષમતા મુજબ સુરક્ષિતતાનો અનુભવ કરાવવાનો હોય છે.’ મુખ્ય પસંદગીકાર અજિત આગરકર અને હેડ-કોચ ગૌતમ ગંભીર ઇચ્છે છે કે ગિલ પોતાની કાબેલિયત અને ક્ષમતા મુજબ આગળ વધે. ગિલની ક્ષમતાની બહાર હોય એવી કોઈ જ આશા તેઓ નહીં રાખે. જોકે ગિલના નેતૃત્વની ત્યારે ખરી કસોટી થશે જ્યારે તેણે બુમરાહના વર્કલૉડ પર નિર્ણય લેવાનો હશે. આગરકરે અગાઉ જ સ્પષ્ટ કરી દીધું હતું કે બુમરાહ આખી શ્રેણીમાં મોટા ભાગે ઉપલબ્ધ નહીં જ હોય.
એ સંબંધમાં શુભમન ગિલનું કહેવું છે કે `દરેક મૅચ પર નિર્ભર રહેશે. અમે જોઈશું કે તેના પર કેટલો વર્કલૉડ આવે છે. અમે એ પણ જોઈશું કે એક મૅચમાં બુમરાહ પર કેટલો વર્કલૉડ પડ્યો. એને આધારે પછીની મૅચ વિશેનું પ્લાનિંગ કરીશું. બધુ અગાઉથી વિચારીને ચાલવામાં અમે નથી માનતા.’
આપણ વાંચો : સ્પોર્ટ્સ મૅન : ઓવર ટુ … ટેસ્ટ ક્રિકેટ શ્રેણીબદ્ધ ટેસ્ટ-જંગ આવી રહ્યા છે એટલે ફરી મજા…