યુદ્ધ દરમિયાન નાગરિકના કેટલાક અધિકાર પર આવે છે અંકુશ…

ફોકસ – પ્રભાકાંત કશ્યપ
દેશમાં જ્યારે પણ યુદ્ધ જેવી સ્થિતિ સર્જાય ત્યારે નાગરિકોને પોતાના કેટલાક અધિકારો વિશે સમજ હોવી ખૂબ જરૂરી છે. તાજેતરમાં જ ભારત-પાક યુદ્ધ છેડાયું હતું. એ દરમિયાન કેટલાક ખેડૂતોએ ફરિયાદ કરી હતી કે સીમા પરના તેમનાં ખેતરોમાં જવાની પરવાનગી બીએસએફના જવાનો આપતાં નથી. ખેડૂતોને લાગતું હતું કે તેમની સાથે અન્યાય થઈ રહ્યો છે. જોકે આપણા બંધારણમાં પહેલેથી જ એ જોગવાઈ કરેલી છે કે સીમા પર જ્યારે પણ યુદ્ધ જેવી સ્થિતિ નિર્માણ થાય ત્યારે નાગરિકોના અધિકાર આપમેળે સીમિત થઈ જાય છે.
એવામાં જો ભારત-પાક વચ્ચે યુદ્ધ થાય તો કેવા પ્રકારના આપણા અધિકાર છીનવાઈ જવાની શક્યતા છે. એના પર એક નજર…
કટોકટીની જોગવાઈ:
ભારતીય બંધારણની કલમ 352,356 અને 360ની જોગવાઈ સ્થગિત થઈ જાય છે. એટલે કે યુદ્ધનું જોખમ તોળાતા રાષ્ટ્રીય કટોકટી લાગી જાય છે. જે 352 હેઠળ લાગુ કરવામાં આવે છે. યુદ્ધ, બહારના આક્રમણ અને આંતરિક સશસ્ત્ર વિદ્રોહ દરમ્યાન પણ કટોકટી લાદવામાં આવે છે, એ દરમ્યાન પણ સામાન્ય નાગરિકોને બોલવાની સ્વતંત્રતા અને પ્રેસના અધિકાર પણ સીમિત થઈ જાય છે. એથી કેન્દ્ર સરકારને રાજ્યો પર નિયંત્રણ મેળવવાની તક મળી જાય છે.
સિવિલ ડિફેન્સ ઍક્ટ 1968:
સિવિલ ડિફેન્સ ઍક્ટ હેઠળ યુદ્ધ કે એવી સ્થિતિમાં નાગરિકોએ તમામ નિયમો અને કાયદાનું પાલન કરવાનું રહે છે જે તેમની સલામતી માટે કેન્દ્ર સરકારે લાગુ કર્યા હોય. સિવિલ ડિફેન્સ ઍક્ટ 1968 મુજબ બ્લેકઆઉટ, આશ્રયમાં શરણ લેવી અને ઈમરજન્સી વૉરિએન્ટર સેવા ફરજિયાત બની જાય છે.
આધિકારિક ગોપનીયતા અધિનિયમ 1923:
યુદ્ધ જેવી સ્થિતિમાં કોઈપણ સંવેદનશીલ માહિતી કોઈને આપવી કે સાર્વજનિકરૂપે લીક કરવી એ કઠોર અપરાધ ગણાય છે. આ અધિનિયમને કારણે મીડિયા અને સોશ્યલ મીડિયા પર પણ અમુક અંશે પ્રતિબંધ લાદવામાં આવે છે. એનું પાલન ન કરવામાં આવે તો તેમના પર પગલાં લઈ શકાય છે.
રાષ્ટ્રીય સુરક્ષા અધિનિયમ 1980:
આ નિયમ મુજબ યુદ્ધ અથવા યુદ્ધ જેવી સ્થિતિઓમાં સરકાર દેશના કોઈપણ નાગરિકોને બાર મહિના સુધી કોઈપણ કેસ વગર કસ્ટડીમાં રાખી શકે છે. જોકે શરત એ છે કે તે દેશની સુરક્ષા માટે જોખમી માનવામાં આવતો હોવો જોઈએ.
આપદા પ્રબંધન અધિનિયમ 2005:
આ અધિનિયમને કારણે યુદ્ધ જેવી સ્થિતિમાં કુદરતી અને માનવ નિર્મિત સંકટ હોય તો આ કાયદાની જોગવાઈ સંસાધન અને રાહત કાર્યોના પ્રબંધન માટે ઉપયોગમાં લેવાય છે.
ભારતીય નાગરિકોનું કર્તવ્ય:
યુદ્ધ કે યુદ્ધ જેવી સ્થિતિમાં દરેક નાગરિકનું કર્તવ્ય હોય છે કે તેઓ દેશની રક્ષા અને સંકટ સમયે રાષ્ટ્ર સાથે અડીખમ ઊભા રહે. જે પણ આ નિયમની અવગણના કરે કે પછી એનો વિરોધ કરે તો તેને સજા આપવાની પણ જોગવાઈ છે.
ભારતીય ન્યાય સંહિતાની કલમ:
જ્યારે પણ યુદ્ધ અથવા યુદ્ધ જેવી સ્થિતિ પેદા થાય તો ન્યાય સંહિતા પ્રમાણે વિવિધ કલમો લાગુ કરવામાં આવે છે. જેમ કે કલમ 121, જે આજીવન કારાવાસની સજા અપાવી શકે છે. અથવા તો મૃત્યુદંડ મળી શકે છે. જો કોઈ સરકાર વિરુદ્ધ બંડ પોકારે તો તેનો એ અપરાધ દેશદ્રોહની શ્રેણીમાં આવે છે અને તેના પર 121 કલમ લાગુ પડે છે. સાથે જ 124એ મુજબ સરકાર વિરુદ્ધ નફરત ફેલાવવી કે પછી દેશમાં કોઈપણ મુદ્દાને લઈને અસંતોષ ફેલાવવાને કારણે કઠોર દંડ આપવામાં આવી શકે છે.
સોશ્યલ મીડિયા નિયમ:
યુદ્ધકાળમાં આઇટી અધિનિયમ અને કટોકટી મીડિયા દિશાનિર્દેશ લાગુ થાય છે. એવામાં જો કોઈ ખોટા સમાચાર ફેલાવે, સેનાનું મનોબળ નબળું કરતાં કે પછી દેશની સંવેદનશીલ માહિતી દુશ્મનને આપતા પકડાઈ જાય તો એ ગંભીર અપરાધ મુજબ તેને જેલવાસ ભોગવવો પડે છે.
સેના અધિનિયમ 1950:
જો કોઈ સેનાના આદેશોની અવહેલના કરે અથવા સૈનિક કાર્યવાહીમાં અડચણ ઊભી કરે તો તેને સજા થઈ શકે છે.
આવી રીતે યુદ્ધ અથવા યુદ્ધ જેવી સ્થિતિ દરમ્યાન નાગરિકોના અધિકારો સીમિત થઈ જાય છે. તેમના પર અનેક બાબતોને લઈને પ્રતિબંધ લાદવામાં આવે છે. એથી દરેક નાગરિકે આ વાત સમજી અને જાણી લેવી જોઈએ.
આપણ વાંચો : ફોકસ : ગ્લોબલ વોર્મિંગ ખરાબ કરી રહ્યું છે વાદળોની રચના ને તેમની કાર્યપદ્ધતિને