વિશેષઃ અષાઢી બીજનો આગવો અંદાજ…

-ડો. ભુપેન્દ્રસિંહ અભાણી
ગગન ગાજે ને મોરલા બોલે, માથે ચમકતી વીજ, એ હાલો પાંજે કચ્છ મે, આવી અષાઢી બીજ.
કચ્છી નવું વર્ષ, જગન્નાથપુરીની રથયાત્રા, અમદાવાદ તથા ભાવનગર રથયાત્રા અને અષાઢી બીજ એટલે સત દેવીદાસ-અમર દેવીદાસની જગ્યાનો પરબધામનો પ્રખ્યાત મેળો.
આ બધાં સ્થળોએ અષાઢી બીજની ખૂબ ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવે છે. કચ્છી માડુઓ જેની આતુરતાપૂર્વક રાહ જોતા હોય તે તેમનું નવું વર્ષ એટલે અષાઢી બીજ. ‘અષાઢી બીજ જો મેળે કચ્છી ભા ભેણે કે લખ લખ વધાઈયું’ આમ કહી કચ્છી લોકો એકબીજાને નવા વર્ષની હાર્દિક શુભેચ્છા પાઠવે છે.
કચ્છની અનેક ઇતિહાસ કથાઓ અષાઢી બીજ સાથે જોડાયેલ છે. જેમાંની એક છે કચ્છના કુશળ શાસક લાખો ફુલાણી જ્યારે દેશવટો ભોગવી કચ્છ પરત આવ્યા, તે દિવસે કચ્છમાં મન મૂકીને વરસાદ વરસ્યો અને તરસ્યા કચ્છી માડુ આનંદીત થઈ ઊઠ્યા અને ત્યારથી આ દિવસ ઉજવવામાં આવે છે.
અષાઢી બીજનો દિવસ હિન્દુ વૈદિક પંચાંગના વિક્રમ સંવત મુજબ વર્ષના નવમા મહિનાનો બીજો દિવસ છે, જ્યારે શક સંવત મુજબ વર્ષનાં ચોથા મહિનાનો બીજો દિવસ છે. જૈનોના ચાતુર્માસનો આરંભ આ મહિનાથી થાય છે તો ક્ધયાઓના ગૌરીવ્રત, અલુણા વ્રત જેવા તહેવાર આ મહિનામાં આવે છે. તો અષાઢી પૂર્ણિમાને ગુરુપૂર્ણિમા તરીકે ઉજવણી થાય છે,
ગુરુ પૂર્ણિમા: ‘ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુદેવો મહેશ્વર:, ગુરુ સાક્ષાત પરબ્રહ્મ, તસ્મૈ શ્રી ગુરુવે નમ:’ અષાઢ સુદ પૂનમ એટલે ગુરુપૂર્ણિમા. ગુરુ વિદ્યાર્થીને ઉચિત જ્ઞાન આપીને વિદ્યાર્થી જીવનનું રૂપાંતર કરે છે. કાચાપીડને યોગ્ય માવજત આપી કુંભકાર કુંભ બનાવે છે તે જ રીતે ગુરુ વિદ્યાર્થી રૂપી પિંડને જ્ઞાનનો ઘાટ આપી વિદ્યાર્થી કુંભ બનાવે છે. ગુરુ સત્યમ, શિવમ, અને સુન્દરમ્ એવું મનભાવક સ્વરૂપ છે. માટે જ આપણા ભક્ત કવિઓ વારંવાર પોતાના પદ/ભજનમાં લખતા જોવા મળે છે, ‘એવા ગુરુને પ્રતાપે……..’
પૂર્ણિમાની જેમ જ અષાઢ વદ અમાસ એટલે દિવાસો. આ દિવસે દરિયાકાંઠે વસનારા માછીમાર લોકો પોતાનાં વહાણોને શણગારે, દરિયાદેવનું અક્ષત, ચંદન, પુષ્પ અર્પણ કરી શ્રીફળ વધેરી પૂજન કરે છે અને સતી-શુરાના પાળીયાને સિંદૂર લગાવી ધૂપ-દીપ કરી નૈવેદ ધરી પૂજન અર્ચન કરે.
આ દિવસે ખાસ કરીને જગન્નાથપુરીમાં તથા અમદાવાદ, ભાવનગર અને અન્ય શહેરોમાં અભૂતપૂર્વ રથયાત્રા નીકળે છે. જેમાં જગન્નાથપુરીની રથયાત્રા સૌથી મોટી રથયાત્રા માનવામાં આવે છે, તો અમદાવાદની રથયાત્રા સવારથી સાંજ સુધી ચાલે છે જેમાં અમદાવાદીઓ થાક્યા વગર ઉત્સાહભેર જોડાય છે.
‘કોઈને ખેતર વાડીયુ તો કોઈને ગામ ગરાસ,
આકાશી રોજી ઉતરે પરબે નકલક દેવીદાસ’
કાઠિયાવાડમાં પ્રખ્યાત પરબની જગ્યામાં અષાઢી બીજ રંગેચંગે ઉજવવામાં આવે છે. જૂનાગઢ જિલ્લાના ભેંસાણ તાલુકાના પ્રખ્યાત તીર્થધામ પરબધામમાં દર વર્ષે આ મેળો ઉજવાય છે, જેમાં લાખો લોકો એક પંગતમાં બેસી પ્રસાદ લે છે.
આ જગ્યાનું મહત્ત્વ જાણીએ: ભગવાન દત્તાત્રેય આપેલા વચનને પાળવા નિર્ગુણ સ્વરૂપમાંથી સગુણ સ્વરૂપ ધારણ કર્યું અને પૂંજા ભગતે રબારીને ઘેર જન્મ લીધો. માતાએ તેનું નામ દેવો રાખ્યું. દેવો જેમ જેમ મોટો થવા લાગ્યો તેમ તેમ તેનું મન સેવા અને ભક્તિ તરફ વળવા લાગ્યું. ગુરુના આદેશ મુજબ ભગવા વસ્ત્રો પહેરી દુખીયાઓની સેવા કરવા લાગ્યા, દેવામાંથી દેવીદાસ થયા. રક્તપિતના દર્દીઓને પોતાને ત્યાં આશ્રમમાં લાવી તેમની સેવા કરતા અને ભજન ભક્તિ કરતા તેમને મા અમરમાં તથા શાર્દૂલ ભગતનો સંગાથ મળ્યો.
દેવીદાસબાપુએ પોતાનું આખું જીવન ગુરુના વચન મુજબ પરમાર્થનાં કાર્યો કરતા કરતા પૂર્ણ કર્યું. દેવીદાસબાપુએ વિક્રમ સંવત 1839 અષાઢ સુદ બીજને શનિવારના દિવસે સમાધિ લીધી. આ દિવસે માતા અમરમાએ પણ સમાધિ લીધી અને તેથી તેની સ્મૃતિ કાયમ જળવાઈ રહે તે માટે અષાઢી બીજ ઉજવવામાં આવે છે. અત્યારે પૂજ્ય કરસનદાસ બાપુ તારીખ 1 ઓક્ટોબર 1962થી મહંતપદે બિરાજમાન છે.
તેમના આશીર્વાદ અને દેખભાળથી હાલ ખૂબ જ ભવ્ય મંદિર બનાવવામાં આવ્યું છે અને દર વર્ષે અષાઢી બીજના મેળામાં લાખો લોકો આવે છે. મેળામાં આવતા ભક્તજનોને માટે
ભોજન પ્રસાદ તૈયાર કરવા 500 બાય 50 ફૂટના મહાકાય પાંચ રસોડામાં રસોઈ તૈયાર કરવામાં આવે છે. 3000 કાઉન્ટર મુકાય છે. એક સાથે એક લાખ લોકો પંગતમાં બેસીને પ્રસાદ લઈ શકે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવે છે. ભોજન પ્રસાદની સામગ્રી લાવવા લઈ જવા 100 ટ્રેક્ટરનો ઉપયોગ કરવામાં આવે છે. આમ, ભજન, ભોજન તથા ભક્તિના ત્રિવેણી સંગમ સમો આ મેળો બની રહે છે.
આપણ વાંચો : સુરતમાં અષાઢી બીજે નહીં પણ પછીના દિવસે નીકળશે રથયાત્રા, જાણો શું છે વિશેષતા?