સ્પોર્ટ્સ મૅન : ખેલ જગતના કમનસીબ ખેલંદા

-અજય મોતીવાલા
2002માં ક્રિકેટર હન્સી ક્રૉન્યેનું રહસ્યમય વિમાન હોનારતમાં મૃત્યુ થયું અને અમેરિકાના સ્કૅટર્સની બે ટીમ તથા ફૂટબૉલ ટીમ પણ પ્લેન ક્રૅશનો ભોગ બની ચૂકી છે.
રાંગનાઓએ પોતાના કૌશલ્ય અને ક્ષમતા બતાવવા હરીફાઈઓમાં ભાગ લેવા માટે દેશ-વિદેશમાં ઠેકઠેકાણે જવું પડતું હોય છે અને મોટા ભાગે વિમાન પ્રવાસ તેમના માટે સૌથી સરળ અને સૌથી અનુકૂળ વિકલ્પ હોય છે. ખેલાડી કે ઍથ્લીટે સ્પર્ધામાં ભાગ લેવા અન્ય દેશમાં જવાનું હોય તો સ્વાભાવિક છે કે પ્લેનની મુસાફરી જ કરવી પડે, પણ પોતાના દેશમાં પણ તેણે સ્પર્ધાના સ્થળે સમયસર અને કોઈ પણ પ્રકારની મુશ્કેલી વિના પહોંચવા માટે વિમાનની મુસાફરી જ કરવી પડે છે. જોકે આ પ્રવાસ જ જ્યારે જીવલેણ બની જાય તો એ તેમની બહુ મોટી કમનસીબી કહેવાય. ગુરુવારે અમદાવાદમાં જે ગમખ્વાર વિમાન દુર્ઘટના બની એના પરથી ભૂતકાળના એવા કેટલાક બનાવો ફરી સ્મૃતિપટ પર આવી ગયા જેમાં જાણીતા ખેલાડીઓ અને ઍથ્લીટોના મૃત્યુ થયા હતા.
ભારતમાં ક્રિકેટ સૌથી લોકપ્રિય રમત છે અને પ્લેન-ક્રેશની કોઈ ઘટના બને ત્યારે ક્રિકેટપ્રેમીઓને સાઉથ આફ્રિકાના ભૂતપૂર્વ કૅપ્ટન હન્સી ક્રૉન્યેના આકસ્મિક અને રહસ્યમય મૃત્યુની ઘટના તરત યાદ આવી જાય. (2000ના મૅચ-ફિક્સિંગ કાંડ પહેલાં) ક્રૉન્યે કૅપ્ટન્સી, બૅટિંગ તેમ જ ટીમને અપાવેલી સફળતાઓ બદલ ક્રિકેટપ્રેમીઓમાં ખૂબ લોકપ્રિય હતો, પણ ફિક્સિંગના આક્ષેપોને પગલે તે લોકોના દિલમાંથી ઊતરી ગયો હતો. જોકે જૂન, 2002માં 32 વર્ષની ઉંમરે વિમાન અકસ્માતમાં તેનું મૃત્યુ થતાં સમગ્ર ક્રિકેટ જગત શોકમગ્ન થયું હતું. એક સમયના અવ્વલ દરજ્જાના કૅપ્ટને આ રીતે ફાની દુનિયામાંથી વિદાય લીધી એનો આઘાત ક્રિકેટચાહકોના દિલોદિમાગમાંથી વર્ષો સુધી ઘટ્યો નહોતો. કારણ એ છે કે ક્રિકેટ જગતને સ્પર્શતી આ પહેલી જ ઘટના હતી. આજે જો ક્રૉન્યે જીવંત હોત અને ફિક્સિંગના આક્ષેપોના વમળમાંથી બહાર આવી ગયો હોત તો પંચાવન વર્ષની ઉંમરે જરૂર કોઈ રાષ્ટ્રીય ટીમનો કે ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ) જેવી નામાંકિત ટી-20 લીગ ટૂર્નામેન્ટની એકાદ ટીમનો હેડ-કોચ હોત.
ક્રૉન્યેનો જન્મ સપ્ટેમ્બર, 1969માં બ્લોમફોન્ટેન શહેરમાં થયો હતો. 1992થી 2000ની સાલ સુધીમાં 68 ટેસ્ટ તથા 188 વન-ડે રમીને એમાં કુલ 127 સિક્સર તથા 775 ફોર સહિત કુલ 9,300 જેટલા રન કરનાર ક્રૉન્યે મૅચ-ફિક્સિંગ કૌભાંડની તપાસના સમયકાળ દરમ્યાન 2002ની પહેલી જૂને વિમાનમાં જોહનિસબર્ગથી જ્યોર્જ શહેરના પ્રવાસે જવાની તૈયારીમાં જ હતો ત્યાં કોઈક કારણસર તેની ફ્લાઇટ રદ કરવામાં આવી હતી. થોડી વાર પછી તેણે ટર્બોપ્રૉપ ગૅસ ટર્બાઇન એન્જિનવાળા હૉકર સિડેલી એચએસ 748 નામના ઍરક્રાફ્ટમાં પ્રવાસ કરવાનું નક્કી કર્યું હતું. એ ટચૂકડા વિમાનમાં તે એકમાત્ર પ્રવાસી હતો. વિમાન જ્યોર્જ શહેરના ઍરપોર્ટ ખાતે પહોંચ્યું અને લૅન્ડિંગ કરવાની તૈયારીમાં જ હતું ત્યારે પાઇલટે પહાડો પરના પ્રવાસ વખતે ધૂંધળું દેખાતાં કાબૂ ગુમાવ્યો હતો જેને કારણે વિમાનને સલામત ઉતારી નહોતો શક્યો અને વિમાન પહાડ સાથે ટકરાતાં તૂટી પડ્યું હતું. ક્રૉન્યેનું તેમ જ વિમાનના પાઇલટનું મૃત્યુ થયું હતું. ત્યારે એ ઘટના વિશે ઉચ્ચ અદાલતમાં કેસ ચાલ્યો હતો જેમાં એવું ઠરાવાયું હતું કે પાઇલટની ભૂલને કારણે ઍરક્રાફ્ટ તૂટી પડ્યું હતું. જોકે વર્ષો સુધી એવી અટકળો થઈ હતી કે મૅચ-ફિક્સિંગની કબૂલાત કરી ચૂકેલા ક્રૉન્યે દ્વારા વધુ કોઈ નામ જાહેર ન થઈ શકે એ હેતુથી તેમ જ સત્યને કાયમ માટે છુપાવવાના આશયથી ક્રૉન્યેની હત્યા કરવામાં આવી હતી.
આ પણ વાંચો…સ્પોર્ટ્સ મૅન : રોડ-શૉના રથની લગામ ખેંચો
વિમાન હોનારતમાં ખેલજગત સાથે સંકળાયેલા ઍથ્લીટોના મૃત્યુ થયા હોવાની આમ તો ઘણી ઘટના બની ગઈ છે, પણ હજી પાંચ મહિના પહેલાં એક એવો બનાવ બન્યો હતો જેણે સમગ્ર વિશ્વને આઘાતમય કરી દીધું હતું. 2025ની 29મી જાન્યુઆરીએ વૉશિંગ્ટનમાં કમર્શિયલ જેટ વિમાન અને લશ્કરના હેલિકૉપ્ટર વચ્ચે હજારો ફૂટ ઊંચે આકાશમાં ટક્કર થઈ હતી જેમાં અમેરિકાની 11થી 16 વર્ષ વચ્ચેની ઉંમરની અગિયાર સ્કૅટર, તેમના કોચ તેમ જ પરિવારજનો સહિત કુલ 28 જણનાં મૃત્યુ થયાં હતાં. તમામ સ્કૅટર મોટી હરીફાઈમાં ભાગ લીધા બાદ ઘરે પાછી આવી રહી હતી ત્યારે આ દુર્ઘટના થઈ હતી. મૃત્યુ પામેલાંઓમાં રશિયન વર્લ્ડ ચૅમ્પિયન જોડી ઇવાજેનિયા તથા વાદિમનો પણ સમાવેશ હતો.
વધુ દુ:ખની વાત એ છે કે 1961માં પણ અમેરિકાની એક આખી ફિગર સ્કૅટિંગ ટીમના ઍથ્લીટોનાં બેલ્જિયમની વિમાન હોનારતમાં મૃત્યુ થયાં હતાં.
વિશ્વભરમાં ફૂટબૉલ, ક્રિકેટ, ટેનિસ, રગ્બી, ચેસ તથા બૅડમિન્ટનની જેમ બાસ્કેટબૉલની રમત ખૂબ લોકપ્રિય છે અને એના લેજન્ડ કૉબે બ્રાયન્ટનું 2020ની સાલમાં (કોરોનાની મહામારી ફેલાઈ એ પહેલાં) હેલિકૉપ્ટર તૂટી પડતાં મૃત્યુ થયું હતું. બ્રાયન્ટ સાથે તેની 13 વર્ષની દીકરી જિયાના હેલિકૉપ્ટરમાં પ્રવાસ કરી રહી હતી અને તે પણ મૃત્યુ પામી હતી. એ દુર્ઘટનામાં બીજા સાત જણ પણ મૃત્યુ પામ્યાં હતાં. 1977માં પણ બાસ્કેટબૉલ જગતને ધ્રુજાવી નાખે એવી ઘટના બની હતી જેમાં અમેરિકાની ઇવાન્સવિલ નામની બાસ્કેટબૉલ ક્લબની ટીમના તમામ 14 ખેલાડીઓ અને હેડ-કોચ બૉબી વૉટ્સનના મૃત્યુ થયાં હતાં.
1970ની સાલમાં ફૂટબૉલ જગતને શોકગ્રસ્ત કરનારી ઘટના બની હતી જેમાં વિમાન અકસ્માતમાં અમેરિકાની એક ફૂટબૉલ ટીમના તમામ ખેલાડીઓના મૃત્યુ નીપજ્યા હતા. માર્શલ યુનિવર્સિટીની ફૂટબૉલ ટીમના 36 ખેલાડીઓ અને તેમના કોચ-સપોર્ટ સ્ટાફ જૂથના 39 મેમ્બર્સ સહિત કુલ 80થી પણ વધુ લોકો ચાર્ટર્ડ જેટમાં પ્રવાસ કરી રહ્યા હતા અને વેસ્ટ વર્જિનિયામાં હન્ટિંગ્ટન ખાતેના ઍરપોર્ટ પર લૅન્ડિંગ કરવાની તૈયારીમાં જ હતું ત્યાં થોડી મિનિટો પહેલાં તેમનું વિમાન કેટલાક ઊંચા ઝાડ સાથે ટકરાયા પછી પહાડ સાથે અથડાયું હતું અને તૂટી પડ્યું હતું. એ વિમાનમાં પ્રવાસ કરી રહેલા તમામ લોકોના મૃત્યુ થયાં હતાં. 2006ની સાલમાં એ ઘટના પરથી ` વી આર માર્શલ’ નામની ફિલ્મ રિલીઝ થઈ હતી અને એને બહુ સારો પ્રતિસાદ મળ્યો હતો.
ઑસ્ટે્રલિયન ક્રિકેટર કિથ મિલર હતા ફાઇટર-પાઇલટ
1946-1956 દરમ્યાન ઑસ્ટે્રલિયા વતી પંચાવન ટેસ્ટ રમનાર મહાન ફાસ્ટ બોલિંગ ઑલરાઉન્ડર કિથ મિલર લશ્કરના પાઇલટ હતા. તેમણે 1940ના દાયકા દરમ્યાન (ખાસ કરીને બીજા વિશ્વયુદ્ધ વખતે) રૉયલ ઑસ્ટે્રલિયન ઍરફોર્સના પાઇલટ તરીકેની ફરજ બજાવી હતી. મચ્છર જેવા દેખાતા તેમના ફાઇટર-ઍરક્રાફ્ટનું નામ `ધ મૉસ્ક્યૂટો’ હતું. ઑસ્ટે્રલિયાના ગ્રેટેસ્ટ-એવર ઑલરાઉન્ડર ગણાતા મિલરે પંચાવન ટેસ્ટના 95 દાવમાં કુલ 170 વિકેટ લીધી હતી અને 2,958 રન કર્યા હતા. ઑસ્ટે્રલિયન હવાઈ દળના આ બાહોશ ફાઇટર-પાઇલટ ક્રિકેટના મેદાન પર કાતિલ બોલિંગ અને ધમાકેદાર બૅટિંગથી ભલભલી બાજી ફેરવી નાખવા માટે જાણીતા હતા. ઑસ્ટે્રલિયાના એ સમયના બીજા ફાસ્ટ બોલર રે લિન્ડવૉલ સાથેની તેમની જોડી ક્રિકેટજગતમાં લોકપ્રિય હતી. તેઓ ડૉન બ્રૅડમૅનની કૅપ્ટન્સીમાં ઘણી મૅચો રમ્યા હતા. 2004માં 84 વર્ષની ઉંમરે મેલબર્નમાં કિથ મિલરનું નિધન થયું હતું.
આ પણ વાંચો…સ્પોર્ટ્સ મૅન : ઓવર ટુ … ટેસ્ટ ક્રિકેટ શ્રેણીબદ્ધ ટેસ્ટ-જંગ આવી રહ્યા છે એટલે ફરી મજા…