ઉત્સવ

ઊડતી વાત: લગ્નોત્સુક રાજુ રદી કોના પર ભડકે છે?

-ભરત વૈષ્ણવ

‘ગિરધરલાલ, લો આ જુવો.’
ઉતાવળે સ્વરે રાજુ રદીએ કહીને અમને એક લાલ-ગુલાબી કવર આપ્યું. રાજુ રદી હાથમાં કાયમ મીંઢળ બાંધી રાખે છે. નાડાછડી બાંધી રાખે છે. હાથમાં પાકીટ કે છત્રીના સ્થાને કટાર રાખી હોય. ઇન્સ્ટન્ટ મેગીની જેમ હસ્તમેળાપ થઇ શકે તે માટે સોનેરી કિનારવાળો ખેસ પણ
ખભે રાખે છે. શેરવાની પહેરી હોય અને સાફો પણ બાંધેલો હોય. ભૂલભૂલનાં પણ કોઇ 25 થી 60 વરસની (મને ખબર છે કે તમારા મનમાં 36-24-36નું ફિગર રમે છે.) રેન્જ ધરાવતી કન્યા લગ્ન માટે હા પાડે તો ચટ મંગની પટ બ્યાહ થઇ શકે.

‘રાજુ, આ તો ‘કુર્યાત સદા મંગલમ્’ એટલે કે લગ્નની કંકોતરી છે. કંકુ છાંટીને કંકોતરી મોકલી છે. કાળીમેશ છાંટીને કાળોતરી મોકલી નથી કે તું આટલો આકળો કેમ થાય છે?’

રાજુના હાથ પીળા થતા નથી. એટલે રાજુ કંકોતરી જૂવે એટલે લાલપીળો થઇ જાય છે. એનું દિલ આળું થઇ ગયું છે.

‘ગિરધરલાલ, ચશ્માનાં નંબર બદલ્યા છે?’ રાજુએ મને ગૂગલી જેવો સવાલ પૂછયો.
‘કંકોત્રી જોવામાં ચશ્માનાં નંબર કયાંથી ટપક્યા?’ મેં અકળાઈને પૂછયું. ‘આ કંકોતરી સામાજિક રીત રિવાજ, કાયદા સામે ખતરો છે.’ રાજુએ તિલમિલાઇને કહ્યું.‘રાજુ, લગ્ન બે આત્માનું મિલન છે. તમને જાતીયજીવન જીવવાની કાયદેસરના છૂટ આપે છે. લગ્ન ખતરો હોય તો તું શા માટે ખતરો કે ખેલાડી થવાનો અખતરો કરવા તડપે છે.’

આ પણ વાંચો: ઊડતી વાત: આજે હાસ્યનો તાકો નહીં …કટ પીસ વાંચો !

‘ગિરધરલાલ, તમારી આ જ તકલીફ છે. તમે વાતનું વતેસર કરો છો. તમે મારી વાતથી ક્યારે કનેકટ થશો? આવાં લગ્ન એ માછલી મેળવવા માટે કોથળામાં હાથ નાખતા કોબ્રા નીકળે તેવા ખતરનાક છે. આવાં લગ્ન થવાથી અમારા જેવા લગ્ન કરવામાંથી લબડી જઇએ છીએ. એક તો છોકરીની અછત અને આવા લોકો વધુ તંગી ફેલાવે છે.’ રાજુનો ગુસ્સો ટાઢો થતો ન હતો.

‘રાજુ, લગ્ન ન થાય એ માણસ તો નસીબદાર કહેવાય. પલંગની ગમે તે બાજુથી ચડી કે ઉતરી શકે. ગમે ત્યા ફરી ને ચરી શકે. એક દિવસ મીઠો કંસાર ખાઇને પછી કડવા કારેલા જેવો સંસાર ચલાવવો એ ઉગ્ર તપશ્ર્ચર્યા કરતાં પણ ઊંડી ધીરજ અને સહનશીલતા માગી લે છે.’ મેં લગ્ન કરનાર પુરુષની બદતર હાલત જણાવી.

‘એ તો તમે લગ્ન કરીને લાટા લઇ લીધા. તમે મીઠા મીઠા ગપ અને કડવા કડવા જેવું વલણ અખત્યાર કરો છો. લગ્ન કરવાનો ફાયદો ન હોય તો લોકો મૂરખા હશે કે લગ્ન કરવાની રટ અને રઢ લઇ બેઠા હોય.’ રાજુએ કુંવારાનો પક્ષ ખેંચ્યો..

આ પણ વાંચો: ઊડતી વાત : અમે ભીખ માગવાનો શા માટે કોર્સ જોઇન કર્યો?

‘રાજુ, તું તો ટચી થઇ ગયો. તું રિલેકસ થા.’ એમ કહી મેં પાણીનો ગ્લાસ આપ્યો.

‘ગિરધરલાલ, જે લોકો અમારા લગ્નની તક પર બરફનું પાણી ફેરવી દે છે તેનો ઘોઘરો દબાવી દેવાનું મન થાય છે.’ રાજુ આટલું બોલતા ગળગળો થઈ ગયો… કાયમી કાચા કુંવારાની વેદના શું કહેવાય તેની પરણેલાને શું ખબર પડે?

‘રાજુ ઢીલો ન પડ. સૌ સારા વાના થશે. ઇશ્વર કુંવારા તરીકે
જન્મ દે છે, પરંતુ, કુંવારા તરીકે મરવા દેતો નથી. સ્ત્રીના માથા પર
પતિનું નામ લખે છે.’ અમે ફિલસૂફી ઝાડીને રાજુનું દુખ હળવું કરવા કોશિશ કરી.

‘ગિરધરલાલ, મીડિયા કીંગ રૂપર્ટ મરડોકનો એક પગ કબરમાં છે. તે એંશી ઉપરની ઉંમરે લગ્ન કરે તો અમારે વિવાહને બદલે વાયરો જ ખાવાનો ને? હમણા કોઇ ઘોષ કરીને બંગાળના નેતાએ એકસઠ વરસે પાર્ટી કાર્યકર સાથે લગ્ન કરી લીધાં. પેલા બડબડાટ સમ્રાટ દિગી રાજાએ એની ઉંમરથી અડધી ઉંમરની છોકરી સાથે ફેરા ફરેલા.

આ પણ વાંચો: ઊડતી વાત : માથા પર ભમતી અમેરિકી ‘ઘાત ’

કોઇ લવર મૂછીયો પેન્શનની લાલચે ત્યાંશી વરસની દાદીને પરણી ગયેલ. પ્રસિદ્ધ સિતાર વાદક રવિશંકરે અન્નપૂર્ણા, કમલાદેવી, સુકન્યા રાજન અને સ્યુ જોન્સ એમ ચાર સ્ત્રી સાથે લગ્ન કરેલાં. મૂડી ગાયક કિશોરકુમારે પણ ચાર વાર લગ્ન કરેલાં.

અમદાવાદના લગ્ને લગ્ને કુંવારા યુવકે પાંચ યુવતી સાથે લગ્ન કરીને વિશ્વાસઘાત કરતાં યુવકની ચોથી પત્નીએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવેલી… આનાથી ચડિયાતો કિસ્સો બહુનામ ધારી જીઓવાન્ની વિગ્લિઓટોનો છે. એનું અસલી નામ નિકોલાઈ પેરુસ્કોવ છે. એ 14 દેશના 27 રાજ્યોનો જમાઈ હતો અને એણે માત્ર 105થી વધુ લગ્ન કર્યા હતાં. આવા લોકોને લીધે અમારે વાંઢાનું લેબલ લઇને જીંદગીભર ઘૂમવુ પડે છે.’ રાજુએ બળતરા વ્યક્ત કરી.

‘રાજુ, તારે સંઘ પ્રચારકોનો આભાર માનવો જોઇએ કે એ લોકો આજીવન કુંવારા રહે છે…’ અમે રાજુને સાંત્વન આપ્યું.

‘ગિરધરલાલ, એ તો આંગળા ચાંટીને પેટ ભરવા જેવું કહેવાય’ રાજુ આજે આક્રમક મૂડમાં હતો. મોળો પડવાનું નામ ન લેતો હતો.

આ પણ વાંચો: ઊડતી વાત: રાધારાણીએ શેનું દાન કરવું જોઈએ?

‘રાજુ તું પેલી કંકોતરીજોવા કહેતો હતો. લાવ, હું એ કંકોતરી જોઇ લઉં.’ મે રાજુને કહ્યું. પછી કંકોતરી પર ઝડપથી નજર ફેરવી;

‘આ લે લે, વાંસદા ગામના યુવકે તો લગ્નના નવા જ આયામ નક્કી કર્યા. આજ લગી એકસ વેડ વિથ વાય એવું કંકોત્રીમાં લખવામાં આવતું હતું . આ યુવકના કિસ્સામાં મેઘરાજ વેડસ વિથ વર્ષા અને મેધા એેવું લખ્યુ છે. બે ફૂલ એક માળી જેવો કિસ્સો છે. મેઘરાજાના છોકરા પણ નસીબદાર છે કે એના સંતાનો માવતરના લગ્નમાં મ્હાલશે. મેઘરાજના પિતાજી પણ બે લગ્નનો દુસાહસી અને ખતરનાક અનુભવ ધરાવે છે. સામાન્ય રીતે પતિ, પત્ની કે વોહનો પ્રણય ત્રિકોણ સર્જાતો હોય છે. જેમાં વોહ તરીકે આગ ભડકાવવાનું કામ સ્ત્રી કે પુરુષ કરતા હોય છે. આ તો દુનિયાનો પ્રથમ લગ્ન ત્રિકોણ સર્જાઇ રહ્યો છે.’ અમે લગ્નનું વિવેચન કર્યું.

બોલો, ‘જબ મિંયા બીબીયાં રાજી તો કયા કરેંગા કુંવારા રાજુ કાજી?!’

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »
Back to top button