વીક એન્ડ

દેશના આ અપરાધીઓને આપણાં કયાં કારાગૃહ વધુ ફાવશે?!

ઑપરેશન સિંદૂર’થી સાબિત કરી દીધું છે કે આતંકવાદીઓ- દેશદ્રોહીઓ અને ભાગેડૂ શ્રીમંત કૌભાંડકારીઓને સરકાર જતા કરવાના જરાય મૂડમાં નથી.. એમનુંભાવભર્યું’ સ્વાગત કરવા આપણાં કાળમીંઢ કારાગૃહ તત્પર છે!

મુંબઈની `આર્થર રોડ જેલ’ એક વિહંગાવલોકન, મુખ્ય પ્રવેશદ્વાર…, બેરેક – 12નો સેલ, નીરવ મોદી- વિજય માલ્યા કરતાં ય પહેલો ચાન્સ મળશે કદાચ મુંબઈ બ્લાસ્ટ (26/11)ના ના-પાક કાવતરાખોર તહવ્વુર રાણા…

ક્લોઝ અપ – ભરત ઘેલાણી

અમેરિકાની બડી બદનામ એવી અલ્કાટ્રઝ પ્રિઝન’ વિશે આપણે ગયા અઠવાડિયે લેટેસ્ટ જાણકારી મેળવી. સાન ફ્રાન્સિસકોના દરિયાકિનારેથી માંડ બે કિલોમીટરના અંતરે આવેલા એક ટાપુ પર છેક 1934માં શરૂ થયેલું આ કારાગૃહ છેલ્લે છેલ્લે, કાર્યરત રાખવું બહુ ખર્ચાળ બની ગયું હોવાથી અમેરિકાની સરકારે જ 1968માં બંધ કરીને એને જેલ મ્યુઝિયમાં ફેરવી નાખ્યું હતું, પણ હમણાં એ ફરી સમાચારોમાં ચમક્યું છે, કારણ કે અમેરિકાના તંત્રી પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પ આ જ બદનામ કારાવાસની હાઈએસ્ટ સિક્યુરિટી પ્રિઝન તરીકે કાયાપલટ કરીને પુન : કાર્યરત કરવા ઈચ્છે છે. જો કે, તમને કદાચ નવાઈ લાગશે કે એક યા બીજા કારણોસર વગોવાઈ ગયેલાં જગતનાં આવાં ઘણાં બધાજાણીતાં’ જેલખાનામાં આપણાં પણ બે કારાવાસની ગણના થાય છે અને એમાં છે એક મુંબઈની આર્થર રોડ જેલ’ અને બીજું , પાટનગર દિલ્હીનીતિહાર’ જેલ…

અમેરિકાની પેલી અલ્કાટ્રઝ પ્રિઝન’ની જેમ હવે આપણી બે સ્વદેશી જેલ પણ હવે સમાચારોમાં ચમકી છે, કારણ કે એ બન્નેની પણ નજીકના ભવિષ્યમાં કાયાપલટ થવાની છે અને એ બન્નેને આંગણે 3 નવા રીઢા ગુનેગારઆવું આવું’ થઈ રહ્યા છે. એમાંથી એકે તો ગયા મહિને જ દિલ્હીની તિહાર જેલમાં એન્ટ્રી પણ લઈ લીધી છે….અને એ છે મુંબઈ બ્લાસ્ટ (26/ 11)નો એક નામચીન કાવતરાખોર તહવ્વુર રાણા…

ગયા મહિને જ અમેરિકાની સરકારે પ્રત્યર્પણ સંધિ હેઠળ એને ભારત સરકારને સોંપી દીધો છે. દિલ્હીમાં અત્યારે આપણી `નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી’ (NIA) એની તિહાર જેલમાં ઊલટતપાસ લઈ રહી છે. એ પૂરી થતાં રાણાને મુંબઈની આર્થર રોડ જેલમાં શિફ્ટ કરવામાં આવશે.

જોકે, મુંબઈની આર્થર રોડ જેલમાં જેમની આતુરતાથી રાહ જોવાય છે એવા મૂળ પાકિસ્તાની રાણા ઉપરાંત બીજા છે જવેલ થીફ’ નીરવ મોદી અને ત્રીજા છેકિગ ઓફ ગુડ ટાઈમ’ના રંગીલા વિજય માલ્યા…

અનેક કાયદાકીય ધમપછાડા પછી આ બન્ને ભાગેડુ અપરાધીને બ્રિટિશ કોર્ટે સ્વદેશાગમન'નું કડક ફરમાન ફટકારી દીધું છે ત્યારેઘરવાપસી’ પછી એમને જે જેલમાં `ઉતારો’ એનાયત થશે એ મુંબઈની આર્થર રોડ જેલમાં એમના માટે સુવિધાથી લઈને સુરક્ષા સુધીની ગોઠવણ કેવી છે એની અલપ-ઝલપ પણ આપણે જાણી લઈએ….

ભારતથી ભાગી જઈને લાંબા સમય પછી લંડનથી ઝડપાયેલા નીરવ મોદીને નામે કુલ 14 હજાર કરોડનાં અનેકવિધ કૌભાંડ બોલે છે તો વિજય માલ્યાના નામે પોલીસ ચોપડે આશરે 10 હજાર કરોડનાં કૌભાંડ નોંધાયેલા છે…

આ બન્નેના વકીલોએ બ્રિટનના ન્યાયાલયોમાં અનેક કાયદાકીય ઉક્તિ- પ્રયુક્તિઓ અજમાવી, જેમકે કે `ભારતની આર્થર જેલ ઘણી ગંદી- ગોબરી છે અમારા અસીલની માનસિક અવસ્થા ડામાડોળ છે. જેલ- બેરેકનો માહોલ એવો છે કે એ કદાચ આપઘાત કરવા પણ પ્રેરાય!’

આ પછી બ્રિટિશ કોર્ટે ભારત સરકાર પાસેથી સૌથી સુરક્ષિત ગણાતી મુંબઈની આર્થેર રોડ જેલની બેરેક નંબર -12ની વિગતો ફોટા-વીડિયો ક્લિપ્સ મંગાવી એનો અભ્યાસ કર્યા પછી માલ્યા તથા મોદીની સુનાવણી વખતે કોર્ટે એના ચુકાદામાં તડ ને ફડ સંભળાવી દીધું કે `તમારા જેવા હાઈ-ફાઈ આરોપી- અપરાધીઓ માટે આર્થર રોડ પ્રિઝન બેરેક-12 એકદમ સુરક્ષિત છે..ત્યાં માનસિક- શારીરિક તબીબી સેવાની પૂરતી સગવડ છે ને કેદી આપઘાત કરી શકે એવી કોઈ જ કચાશ કે ત્રુટિ ત્યાં શોધી જડે તેમ નથી માટે તમે નિશ્ચિંત થઈ પધારો તમારે સ્વદેશ -જેલ!’

વિજય માલ્યા-નીરવ મોદી જેવાને જે કારાગારને વર્ષો સુધી નિવાસસ્થાન બનાવવું પડશે એ આર્થર રોડ જેલની બેરેક નંબર-12ની વિશેષતા શું છે?

જોકે, એ વિશે સવિસ્તર જાણતા પહેલાં આપણે આ જેલના અન્ય એક વિશેષ સંકુલ વિશે પણ જાણી લેવું જોઈએ . એ છે `અંડા સેલ’. ઈંડાં આકારની સાવ સાંકડી એ જેલ ખોલીને એક ઉચ્ચ કક્ષાની સુરક્ષા આપવામાં આવે છે. આ સેલની રચના એવી છે કે અહીં નહીવત પ્રકાશમાં ખતરનાક કેદીઓને સાવ એકાંતમાં રાખવામાં આવે છે. એમને અન્ય સેલના કેદીની જેમ સેલમાંથી બહાર જવાની કે કોઈ સાથે વાત કરવા સુધ્ધાંની છૂટ નથી હોતી. એને ભોજન અને અન્ય રોજિંદી સામગ્રી કોટડીમાં પહોંચતી કરવામાં આવે છે…ટૂંકમાં, આ અંડા સેલનું એકાંત એવું ભેંકાર અને ડરામણું હોય છે કે કેદી માનસિક રીતે ભાંગી પડે છે અને એને આત્મહત્યા કરવાના વિચાર પણ આવે છે…

આમ તો છેક 1926માં બંધાયેલી આર્થર રોડ જેલ જગતની સૌથી ખીચોખીચ ગીર્દીવાળા જેલ તરીકે બહુ બદનામ છે. આશરે અઢી એકરમાં પથરાયેલા આ જેલ સંકુલમાં સત્તાવાર રીતે 805 કેદી રાખવાની ક્ષમતા હોવા છતાં, અત્યારે અહીં 2500થી વધુ કેદીઓને ઘેટાં બકરાંની જેમ ઠાંસી-ઠંસીને ભરવામાં આવે છે.

જોકે, આવા આર્થર રોડ પ્રિઝન કંપાઉન્ડના સૌથી વધુ સુરક્ષિત ગણાતા વિસ્તારમાં એક અલાયદી ઈમારત છે, જેમાં બેરેક નંબર-12 છે. ગ્રાઉન્ડ ફ્લોર- એક માળના આ બિલ્ડિંગમાં 300 સ્કેવર ફૂટના બબ્બે સેલ છે. એક સેલ-કોટડીમાં વધુમાં વધુ 3 કેદીને રાખી શકાય, પરંતુ અગત્યના કેદીઓની સુરક્ષા ખાતર એટલા પણ કેદી અહીં રાખવામાં નથી આવતા. પહેલા માળની કોટડીમાં માત્ર કુખ્યાત કે પછી વીઆઈપી કેદીને રાખવામાં આવે છે. આમ તો છેક 2020થી બેરેક -12 વિજય માલ્યા માટે તૈયાર રાખવામાં આવી છે, પણ નીરવ મોદીનું સ્વદેશાગમન હવે જો વહેલું થઈ ગયું તો આ પ્રથમ માળની એ કોટડીનો લાભ એને મળશે… એ નહીં આવે તો એની પહેલાં કદાચ મુંબઈ બ્લાસ્ટ (26/ 11)ના એક નાપાક કાવતરાખોર તહવ્વુર રાણાને પણ આનો લાભ મળી જાય..!

આ બેરેક નંબર-12ની પ્રત્યેક કોટડીમાં બાથરૂમ-ટોઈલેટ ઉપરાંત સતત પાણી તેમજ પંખાની વ્યવસ્થા છે. એ જ રીતે અન્ય અંધારી કોટડી કરતાં આ સેલમાં કેદીને પૂરતો સૂર્ય પ્રકાશ પહોંચે એવી બારીની ગોઠવણ છે. આ સેલમાં જેને રહેવું પડશે એને પથારી-ચાદર-ધાબળો-ઓશીકું પણ મળશે. નાસ્તો-જમણ જેલનું હશે. ખાવા-પીવાનાં વાસણ ઉપરાંત અંગત ચીજ-વસ્તુ રાખવા નાનું કપબોર્ડ પણ ત્યાં છે. દરેક સેલની હિલચાલ પર નજર રાખવા અહીં ક્લોઝ્ડ સર્કિટ ટીવી છે અને સુનાવણી વખતે જરૂર પડે તો કોર્ટ સાથે વીડ્યોિ કોન્ફરન્સિંગની પણ અહીં ગોઠવણ છે. જો કે, પેલા ખતરનાક હત્યારા અજમલ કસાબને કોર્ટમાં પેશ કરવા તો કોટડીમાંથી એને ખાસ તૈયાર કરેલી અન્ડર ગ્રાઉન્ડ ટનલમાંથી લઈ જવામાં આવતો!

મુંબઈ 26/11 ના હીચકારી હુમલામાં 133 લોકોની નિર્મમ હત્યા કરનારા પાકિસ્તાની આતંકવાદી અજમલ કસાબને પુણેના યરવડા જેલમાં ફાંસીએ લટકાવવામાં આવ્યો એ પહેલાં એને મુંબઈની આર્થર રોડ જેલમાં રાખવામાં આવ્યો ત્યારે એના માટે સૌથી વધુ સુરક્ષાની ગોઠવણ થઈ હતી. આશરે ચાર વર્ષ આર્થર રોડમાં ઘરજમાઈ તરીકે રાખવામાં આ `કેદી નંબર: C-7096′ પાછળ અન્ય ખર્ચ તો ઠીક, પણ માત્ર એની લેટેસ્ટ ટેક્નોલોજિથી સજ્જ સુરક્ષા પાછળ સરકારે કુલ રૂપિયા 31 કરોડ 41 લાખનો ખર્ચ કર્યો હતો…!

જસ્ટ જરા વધારાની જાણ ખાતર, આ અતિ સુરક્ષિત બેરેક -12માં સંજય દત્ત- અબુ સાલેમ- અબુ જિંદાલ જેવા અનેક નામચીન વ્યક્તિ પણ નિવાસ કરી ગઈ છે!

શું થઈ રહ્યા છે આર્થર જેલમાં નવા ફેરફાર?

જાણીતી’ છતાં વગોવાયેલી આર્થર જેલનીય કાયાપલટ થઈ રહ્યાંના સમાચાર આજકાલ ગાજે છે.મુંબઈ મધ્યવર્તી કારાગૃહ’ (મુંબઈ સેન્ટ્રલ જેલ) તરીકે પણ જાણીતી આ આર્થર જેલમાં નવા ચાર વોચ ટાવર ખડા કરવામાં આવશે ,જયાંથી જેલ બહાર અને જેલ સંકુલની ગતિવિધિઓ પર નિગરાની રાખવામાં આવશે. આ માટે આશરે રૂપિયા 2 કરોડનું પ્રાથમિક બજેટ ફાળવવામાં આવ્યું છે. આ ચાર નવા વોચ ટાવર ઉપરાંત અહીં વિવિધ કાર્ય માટે ઉપયોગમાં લઈ શકાય એવો એક વિશાળ મલ્ટિપર્પઝ હોલ પણ તૈયાર થશે, જેનું બજેટ છે આશરે રૂપિયા 3 કરોડ …આ ઉપરાંત, મુંબઈ-મહારાષ્ટ્રની વિવિધ કારાગૃહો માટે સરકારે કુલ 84 કરોડ રૂપિયાનું બજેટ મંજૂર કર્યું છે.

આપણ વાંચો : ભાત ભાત કે લોગ: આ `મુહાજીરો’નો કટ્ટરવાદ પાકિસ્તાનીઓથી ચડે એવો છે

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button