વીક એન્ડ

મેઇડ ઇન ઇંડિયા `પોસ્ટ-ઓફિસ’ કેવી હોત?

શરદ જોશી સ્પીકિંગ – સંજય છેલ

દેશને આઝાદી મળી ને સાથે સાથે રેડીમેડ પોસ્ટ ઓફિસો પણ મળી ગઈ. ખાલી આઝાદી મળી હોત અને પોસ્ટ ઓફિસ ન હોત તો તમને મને અહીંયા ઘેરબેઠાં કેવી રીતે ખબર પડી હોત કે આપણને છેક દિલ્હીમાં આઝાદી મળી છે?

ગામેગામ બધાંના ઘરે રેડિયો તો નહોતા. આઝાદીના લગભગ 7 દિવસ પહેલાં મારા દાદાજીએ (પ્રભુ એમના આત્માને શાંતિ આપે ) ચોખ્ખું કહેલું કે આ કૉંગ્રેસીઓનો ખોટો પ્રચાર છે. અંગ્રેજો કંઇ જવાના નથી. એ તો આભાર માનો કે પોસ્ટ ઓફિસ હતી એટલે દિલ્હીથી સંબંધીઓએ પત્ર લખીને જણાવ્યું કે અંગ્રેજો બંગલા ખાલી કરીને જઈ રહ્યા છે….અને એટલે જ્યારે જ્યારે હું આઝાદી વિશે વિચારું છું ત્યારે સામાન્ય ભારતીયની જેમ ખુશીથી દાંત કચકચાવું છું ને ત્યારે પોસ્ટ ઓફિસ વિશે વિચાર્યા વગર રહી શકતો નથી, જેના વગર મને આઝાદીનાં સાચા સમાચાર જ મળ્યા ન હોત.

અંગ્રેજો ધારત તો એમના સરકારી પત્રો, સરકારી આદેશ અહીં-તહીં મોકલવા માટે કબૂતરાં, ઘોડા, મોટર કે ટે્રનની વ્યવસ્થા કરી જ શક્યા હોત, પણ જનતાને આ સુવિધા આપીને અંગ્રેજોએ બહુ મોટો ઉપકાર કર્યો છે. ત્યાર પછી જ દેશમાં મોટા પ્રમાણમાં પ્રેમપત્રોની આપલે શરૂ થઈ. જો આઝાદી પછી પોસ્ટ ઓફિસો ખુલી હોત તો `અમે પોસ્ટ ઓફિસો ખોલી છે’, એવો પ્રચાર કરીને જે-તે પક્ષ એક-બે ચૂંટણીઓ તો જીતી જ ગઈ હોત!

હું એ વિચાર માત્રથી થથરી જાઉં છું કે અંગેજોએ નહીં પણ આઝાદી બાદ આપણે પોસ્ટ ઓફિસ શરૂ કરી હોત તો સાવ કેવી હોત? શરૂઆતમાં અમુક 45 શહેરમાં ખૂલી હોત ને પછી ગામેગામ પોસ્ટ ઓફિસ માટે આંદોલનો થયાં હોત તો પણ એને દબાવી દેવામાં આવ્યા હોત. ત્યારે દિલ્હીની સરકાર સ્પષ્ટ કહી દેત કે કાં તો પોસ્ટ ઓફિસ બનાવો અથવા યુનિવર્સિટી. સ્વાભાવિક રીતે લોકોએ યુનિવર્સિટીને પસંદ કરી હોત, કારણ કે જ્યાં સુધી શિક્ષણનો વિકાસ નહીં થાય ત્યાં સુધી લોકો પત્રવ્યવહાર કેવી રીતે કરી શકે?!

જો આઝાદી પછી દેશમાં ટપાલ સેવા બની હોત તો એ રેઢિયાળ સરકારી તંત્ર જેવી હોત ને એનો નઝારો કંઈક આવો હોત:

ધારો કે જો મારેતમારે મુંબઈથી અમદાવાદ પત્ર લખવો હોય તો મારે પહેલાં કલેક્ટરેટ ઓફિસમાં જઈને અરજી કરવી પડતે કે `મારે અમદાવાદ પત્ર મોકલવો છે.’

ત્યાંનો ક્લાર્ક 10 પૈસા લઈને મને એક ફોર્મ આપતે (જો ફોર્મ સ્ટોકમાં હોત તો),જેમાં ઘણાં બધાં ખાના હોત. એમાં મારું નામ, પિતાનું નામ, રાષ્ટ્રીયતા, કાયમી સરનામું, જેને પત્ર મોકલવાનો છે એ વ્યક્તિનું નામ, એનું સરનામું, રાષ્ટ્રીયતા… આ ઉપરાંત પત્ર મોકલનાર અને મેળવનાર વચ્ચેનો સંબંધ, પત્ર મોકલવાનું કારણ અને વળી મારે બાંયધરી આપવાની કે `હું કંઈ પણ અયોગ્ય લખીશ નહીં અને પત્રની વાત ટૂંકાણમાં જ હશે’ વગેરે વિગતો ભરવી પડત! પછી ક્લાર્ક, ફોર્મને ચેક કરત ને માં ફોર્મ કલેક્ટર અથવા ડેપ્યુ. કલેક્ટર પાસે તપાસવા પહોંચત.

તમે આઠ-દસ દિવસ કચેરીના ચક્કર કાપ્યા પછી ને ક્લાર્કની પ્રશંસા પ્લસ લાંચ દીધાં વગેરે પછી લગભગ પંદર દિવસે મંજૂરી મળી હોત કે `શ્રી શ્રીનિવાસ જોશીના પુત્ર શરદ જોશી પત્ર મોકલવા માટે લાયક છે અને અમુક રકમ જમા કરીને એ ટપાલ સેવાનો લાભ મેળવી શકે છે!’

હું એટલો ખુશ હોત કે તમે કલ્પના ના કરી શકો. હું ઝટથી સરકારી નાણાં વિભાગમાં દોડીને ગયો હોત અને ચલાણ ફોર્મ લઈ- એમાં પૈસા ભર્યા પછી, હું સ્ટેટ બેંકમાં જાત અને સ્ટેમ્પની કિમત (જે એક રૂપિયાથી ઓછી ના હોત) જમા કરાવત. ત્યાંથી પાછો સરકારી નાણાં વિભાગમાં આવતે, જે એટલીવારમાં બંધ જ થઈ ગયું હોત.

ફરી બીજા દિવસે ફરી હું ત્યાં જાત અને થોડા કલાકો રાહ જોયા પછી મને પેલી મહામૂલી ટિકિટ મળી જાત, જેને ચોંટાડીને પત્ર મોકલવાનો. ત્યાર પછી હું પત્રને એક પરબીડિયામાં મૂકીને, ટિકિટ ચોંટાડીને કલેક્ટરેટ કચેરીમાં જાત. ત્યાં ક્લાર્ક, એ લેટર, પરબીડિયું પર સ્ટેમ્પ વગેરે ચેક કરત ને મને એની સામે જ જરાંક અમથો ગુંદર ચોંટાડવા દેત. પછી છેક મારો પત્ર સરકારના જવાબદાર હાથોમાં પહોંચત.

જોકે, હવે મને સતત ચિંતા એ રહેત કે પત્ર પોસ્ટ ઓફિસમાંથી નીકળી ગયો કે નહીં? એક રૂપિયો આપીને તમે આખી સરકાર તો નથી ખરીદી કે તમે ઇચ્છો એ થઈ જાય.

તમારે ત્યાં પોસ્ટ ઓફિસમાં ધક્કા ખાવા પડશે, કારકુનને ચા પીવડાવવી પડશે ત્યારે જઈને ખબર પડશે કે લેટર ગયો કે નહીં. પછી જવાબની રાહ જોવાની.

અમદાવાદથી વળતો જવાબ લખનાર વ્યક્તિ પણ આ બધી વિધિમાંથી પસાર થશે ને આખરે પ્રત્યુત્તર મોકલશે.

મહિનાઓ પછી એક દિવસ પટાવાળો મારા ઘરે સમન્સ લઈને આવત કે `તમારો પત્ર કલેક્ટર ઓફિસમાં આવી ગયો છે, તમારી ઓળખ આપ્યા બાદ ત્યાંથી લઈ જાઓ….’

ખેર, હું ત્યાં જાત, અરજી કરત, બે વ્યક્તિ પાસેથી પ્રમાણિત કરાવત કે `હું જ શરદ જોશી છું અને આ પત્રનો હકદાર માલિક છું’ એ પછી રસીદ દેખાડીને મહામહેનતે એક મહિને પત્ર મેળવત.

આભાર અંગ્રજોનો, પોસ્ટ ઓફિસ બનાવીને ગયા, નહીંતર આપણાં પ્રેમપત્ર પહોંચતા સુધીમાં તો પ્રેમીપ્રેમિકા પરણી ગયા હોત!

આપણ વાંચો : શરદ જોશી સ્પીકિંગ ઃ છાપરા પર વાગતું વાયોલિન…

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »
Back to top button