શરદ જોશી સ્પીકિંગઃ પૂર ને સરકારી સૂર… સમસ્યાનાં સોલિડ સમાધાન!

-સંજય છેલ
આપણા દેશમાં બે જ હાલત હોય, કાં તો દુકાળ યા તો પૂર. મોટેભાગે જ્યારે જ્યારે દેશમાં વરસાદ આવે ત્યારે કયાંક તો પૂર આવે જ એટલે સરકારો તરફથી નિવેદનોનાં સૂર પણ છેડવામાં આવે જ. આટલાં વર્ષોથી આ બિચારા નિવેદનો જ તો છે જે કોઇ પહાડની જેમ અડગ આડા ઊભા રહીને પૂરને આવતાં રોકે છે! તો હવે મારું પણ ‘સરકારી નિવેદન’ જેવું જ એક નિવેદન એ છે કે ‘પૂરની સમસ્યાનો દૂરગામી અર્થાત્ લાંબા ગાળાનો અને કાયમી ઉકેલ લાવવો રહ્યો’
‘હવે આ લાંબા ગાળાનો ઉપાય કેટલા લાંબા સમય બાદ એટલે કે કેટલો મોડો થશે અને આવનારી કઈ સદીમાં એનો ઉકેલ આવશે?’ આવો પ્રશ્ન પુછાય એ પહેલાં તો પૂરના પાણી ઊતરવા માંડે છે અને એવામાં પછી પાછી નવી સમસ્યાઓ ઊભી થઇ જાય છે. જ્યાં સુધી પાછું પૂર આવે, ત્યાં સુધીમાં લોકો પાછલાં પૂરની સમસ્યાને ભૂલી જાય છે.
આપણા દેશમાં બધાં રાજ્ય એમની સમસ્યાઓથી ન્યૂઝની ચમકમાં આવે છે, જ્યારે કેન્દ્ર સરકાર એમનાં નિવેદનોથી ફરી ચમકવા લાગે! ભગવાન પણ ઉદાર છે. સરકાર બંનેને સમાન તક આપે છે. આપણા દેશમાં ભોળા લોકોનો સ્વભાવ જ એવો છે કે જ્યાં સુધી એમને દાંતમાં દુ:ખાવો નહીં થાય ત્યાં સુધી પેટમાં દુ:ખાવાની ફરિયાદ કરતા રહે છે.
એટલે પેટમાં દુ:ખાવાની સમસ્યાનો ઉકેલ દાંતનો દુ:ખાવો બની જાય છે. પૂરની સમસ્યામાં હંમેશ નિવેદન આવે કે- ‘આપણે હવે લાંબા ગાળાનાં પગલાં લેવાં જોઈએ.’
હું ઘણી વખત વિચારું છું કે આ લાંબા ગાળાનાં પગલાં એક્ઝેટલી શું છે? એક જે પગલાં લાંબા છે, તો એ પગલાં આપણાં સુધી ચાલીને આપણી નજીક ક્યારે આવશે? અને જો સમસ્યાનો ઉપાય સરકાર પાસે ઓલરેડી છે તો એને લાગુ કેમ કરવામાં આવતો નથી? ઇન શોર્ટ, સમસ્યાઓનો ઉકેલ માણસ કરશે કે પછી એ પણ કોઇ કુદરતી શક્તિઓ જ કરશે?
ભગવાન કે કુદરત પાસે પૂરની સમસ્યાનો સરળ ઉકેલ છે ‘દુકાળ’. બહુ વરસાદ નથી જોઈતો? તો ચલો, ઓછો વરસાદ લો… પણ હે ભગવાન, તમે કેન્દ્ર સરકારને પૂછો કે એમની પાસે એવા
કયા લાંબા ગાળાના ઉપાયો છે? જે આજે નહીં તો શું એ આવતી કાલે લાગુ કરશે? કે પછી નિવેદનો જ આપશે? હમણાં જે પૂર આવ્યા એના પછી કે આવતા વર્ષે પૂર આવે એ પછી તો ચોક્કસ કરશે જને?
ચલો, એવું આપણે ધારી લઈએ. જો કે બિચારી કેન્દ્ર સરકાર તો પૂર સમસ્યાનો ઉકેલ લાવવા માગે જ છે પણ નથી લાવી શકતી, કારણ કે એ ઉકેલ લાંઆઆઆઆઆઆબા ગાળાનાં છે!
આ પણ વાંચો…શરદ જોશી સ્પીકિંગ: ‘ખ’ ખરીદીનો ‘ખ’… ભીતરથી કોતરતી કલા
કદાચ એક ઉકેલ એ છે કે જેજે નદીમાં પૂર આવે છે એ બધીને 2020 ફૂટ ઊંડી કરવામાં આવે જેથી પૂરનું વધારાનું પાણી બહાર જ ન આવે અને અંદર નદીમાં જ પડ્યું રહે. બીજો ઉકેલ: નદીને લાંબી કરવામાં આવે, જેથી પૂરનું વધારાનું પાણી લાંબા અંતર સુધી ફેલાયા કરે, પણ પહોળાઈમાં નહીં, હોં!.
ત્રીજો ઉકેલ એય હોઇ શકે કે નદીઓને સમાંતરે જ બીજી નવી નદીઓ બનાવવામાં આવે, જેથી પૂરના સમયે છલકાયેલા પાણીને બીજી નદીમાં ઓટોમેટિક ટ્રાન્સફર કરી દેવામાં આવે- સરકારી ઓફિસરની જેમ! કદાચ લાંબા ગાળાનો ઉકેલ એ પણ હોય કે બધી નદીને બે માળની એટલે કે ડબલડેકર કરવામાં આવે! જેથી વધારાનું પાણી બીજા માળેથી કાઢી નાખવામાં આવે.
એક પદ્ધતિ એ પણ અજમાવી શકાય કે નદીઓ તોફાની છે ને જેમાં કાયમ પૂરની સંભાવના છે એ બધી નદીને તરત જ શોર્ટકટ વડે દરિયા તરફ વાળી નાખવાની!
મને લાગે છે કે એક કમિટીએ બેસીને નદીઓના બધા રસ્તાઓ પર ફરીથી વિચાર કરવો જોઈએ. એવું હોવું જોઈએ કે વરસાદમાં વધારે પૂર આવતું હોય એવી નદીઓના ઉદગમ સ્થાન પર જ પ્રતિબંધ લગાડી દેવો જોઈએ. અથવા તો દેશમાં પાણીના ગોદામ હોવા જોઈએ જેથી એ ગોડાઉનમાં વધેલા પાણીનો બહુ બધો બરફ સ્ટોક કરી શકાય, જે દુકાળ અને ગરમીમાં કામ આવે!
આ ઉપરાંત રેલવે પરનાં પાણી વેગનોની વ્યવસ્થા હોવી જોઈએ, જે પૂરવાળા વિસ્તારોમાંથી તરત પાણી ઊંચકીને દુકાળવાળા વિસ્તારોમાં પાણી પહોંચાડી શકાય. અથવા તો બેસ્ટ તો એ છે કે પૂરગ્રસ્ત વિસ્તારોના લોકોનાં શરીરમાં પાણી પીવાની તરસ કે ક્ષમતા ખૂબ વધારવામાં આવે. એવો સરકારી પ્રચાર કરવાનો કે ‘વધારે પાણી પીઓ અને પૂરની સમસ્યા ભગાડો!’
આમાં દેશહિતની વાત આવતાં વેંત જ લોકો પાણી સાથે બીજું બધું પણ ઢીંચવા માંડશે!
આવા ઉપાય લાગુ નહીં થાય ત્યાં સુધી દર વરસે નદીનાં પૂર સાથોસાથ સરકારી નિવેદનનાં પૂર આવે જ રાખશે ને જે કદી અટકશે જ નહીં!
આ પણ વાંચો…શરદ જોશી સ્પીકિંગ : હું તો `આસનસોલ’ જઈશ જ!