ક્લોઝ અપ:એક ચાલ તારી એક ચાલ મારી!

- ભરત ઘેલાણી
દેશ-વિદેશમાં ખેલાતા ગર્વિષ્ઠ અને ગદ્દાર જાસૂસોના ખેલ ખતરનાક અને એ બધા વચ્ચે આલેખાયેલી રાજકીય જાસૂસીની સ્ફોટક કથાઓ વિશે પણ જાણવા જેવું છે .
ભારતીય સૈન્યના ઑપરેશન સિંદૂર' પછી આપણા દેશમાં પ્રસરેલી એક છૂપી જાસૂસી જાળના ભેદી જાળાં બહાર આવ્યા, જેને આપણી
રાષ્ટ્રીય જાસૂસી એજન્સી (NSA)’ તથા `રો’ એ એકસામટા તોડી પાડ્યાં છે.
એવું નહોતું કે આપણા દુશ્મન દેશનાં આવાં કારનામાની આપણી એજન્સીઓને ખબર નહોતી. એમના પર છૂપી નજર તો હતી જ, માત્ર આપણે અજાણ્યા છીએ એવો ડોળ કરીને કયારે એ બધા પર ત્રાટકવું એની જ રાહ જોવાતી હતી અને એમાં પાકિસ્તાન સંચાલિત આતંકવાદીઓએ કાશ્મીરમાં હિંસાનો કાળો કેર વરસાવ્યો એ સાથે જ ઑપરેશન સિંદૂર'નાં પગલે પગલે આપણી
નેશનલ સિક્યોરિટી એજન્સી (NSA)’ના માર્ગદર્શન અને સૂચના અનુસાર સ્થાનિક ગુપ્ચર અને પોલીસ ટીમે પાકિસ્તાનના લાભાર્થે દેશ સાથે ગદ્દારી કરતાં એ લોકોને ઝડપી લીધા…
આમાં બહાર આવતી માહિતી મુજબ ટ્રાવેલ વીથ જો' નામની ટ્રાવેલ એજન્સીની કર્તાહર્તા એવી હરિયાણાની યુટ્યૂબર જ્યોતિ મલ્હોત્રાની સાથે પંજાબનો જસબીર સિંહ પણ ઝડપાયો છે. આ જસબીર પણ યુટયૂબર છે, જે
જાન મહેલ’ ચેનલ પર 11 લાખથી વધુ ફોલોવર્સ ધરાવે છે અને એ પણ જ્યોતિની જેમ 6 વાર પાકિસ્તાન `લટાર’ મારી આવ્યો છે. જ્યોતિ અને જસબીર બન્ને એકમેકનાં સતત સંપર્કમાં હતાં. એ બન્ને પાછા દિલ્હીમાં પાકિસ્તાન હાઈકમિશ્નરના એક વરિષ્ઠ અધિકારી દાનિશના સંપર્કમાં હતાં. જસબીરની ફોનબુકમાં તો 150થી વધુ પાકિસ્તાનીના સેલ ફોન નંબર પણ મળ્યા છે !
આ જ્યોતિ અને જસબીર ઉપરાંત પાકિસ્તાન માટે જાસૂસી કરી રહેલાં તારીફ-અર્માન ગઝાલા – ગગનદીપ – રાકિબ – દેવેન્દ્ર સિંહ-સહદેવ ગોહિલને પણ તાજેતરમાં ઝડપી લેવામાં આવ્યા છે. મૂળ ભારતીયો એવા બધાને પોતાની જાસૂસી જાળમાં ફસાવવા માટે પાકિસ્તાનની ખોફનાક જાસૂસી એજન્સી ISIના આકાઓ રૂપયૌવનાની હનીટે્રપથી લઈને નગદ નાણાં અને બ્લેક મેલિંગની મોડસ ઑપરેન્ડી પણ અપનાવે છે.
જોકે, આપણે અહીં તાજા પકડાયેલા આ દેશદ્રોહીઓની વાત નથી કરવી. આપણે વાત કરવી છે આજે આંતરરાષ્ટ્રીય સ્તરે કેવા કેવા પ્રકારના જાસૂસીના ખેલ ચાલી રહ્યા છે એનો સચોટ એક્સ-રે દર્શાવતી અમુક નમૂનેદાર પુસ્તકોની.
પાંચેક વર્ષ પહેલાં જેમનું અવસાન થયું એવા રાજકીય ષડ્યંત્ર અને જાસૂસીકથાના બેતાજ બાદશાહ સમા બ્રિટિશ આઈરીશ લેખક જહોન લા કારે (ખરો ઉચ્ચાર : જોહન લુહ કારાય !)એ ડિપ્લોમેટ માટે એક તદ્દન યર્થાથ વ્યાખ્યા આપી હતી. એ કહેતા: `અર્ધો જાસૂસ અર્ધો પત્રકાર બરાબર એક રાજદૂત..!’ બીજા શબ્દોમાં આ ત્રણેયની ખૂબી જેની પાસે હોય એ સારો પત્રકાર એલચી કે પછી અચ્છો જાસૂસ બની શકે!
આ પણ વાંચો…ક્લોઝ અપ: દિલ્હીની વગોવાયેલી તિહાર જેલ: કોણ કોણ અહીં આવ્યાં-રહ્યાં ને ગયાં?!
અંગ્રેજીમાં જેને એસ્પિઅનાઝ’ (espionage) કહે છે એ પ્રકારની બે દેશ વચ્ચે ખેલાતી રાજકીય જાસૂસી રમતની કથા આલેખવામાં જહોન લા કારે લા-જવાબ હતા. ખાસ કરીને, અમેરિકા- રશિયા વચ્ચે 1947થી 1991નાકોલ્ડ વોર’ વખતે એ બે દેશ વચ્ચે ચાલતી ખાનગી જાસૂસી રમતને કલ્પનાના રંગ આપીને ધ સ્પાય હુ કેઈમ ફ્રોમ કોલ્ડ ‘,સ્માઈલી’સ પિપલ `ધ કોન્સ્ટન્ટ ગાર્ડનર’ જેવી કેટલીક અફલાતૂન નવલકથા જહોને લખી હતી. એ કથાની રજૂઆત એટલી બધી વાસ્તવિક રહેતી કે વાચકો તો ઠીક, શાસકોને પણ લાગતું કે જહોન લા કારે ખુદ ખાનગીમાં ગુપ્ચર સેવા સાથે સંકળાયેલા છે..!
હકીકતમાં એવું ન હતું. હા, રાજકીય જાસૂસી કરતા બે-ત્રણ ગુપ્તચર તથા બે-ચાર રાજદૂતો સાથે એમનાં અંગત સંબંધ સારા. એમની પાસેથી મળતી બાતમી-માહિતીમાં પોતાની આગવી કલ્પનાઓ ઊમેરી એવી કથા રજૂ કરતાં કે એ `સ્પાઈ માસ્ટર’ તરીકે પંકાઈ ગયા હતા.
આજે સિનારિયો પલટાયો છે. લેખક જહોન લા કારેના સમયમાં લખાતી જાસૂસકથા જેવી હવે કોલ્ડ વોર કે શીત યુદ્ધની સ્પાઈ ગેમ ખેલાતી નથી. ડિજિટલ યુગના આગમન સાથે સાયબરના પાતાળલોકમાં થતાં યુદ્ધ નિરાળાં છે.
બે દેશ (જરૂરી નથી કે બન્ને વચ્ચે દુશ્મનાવટ હોય!) એક બીજાની આર્થિક-લશ્કરી તાકાતનો ક્યાસ કાઢવા એકબીજા પર આવી ગુપ્તચરગીરી કરતા રહે છે. આવી કામગીરી માટે એમને ભૂતપૂર્વ રાજદૂત કે અનુભવી પત્રકારનોય સાથ મળતો રહે છે. અલબત્ત, આવાં કામ માટે જે-તે શાસન તરફથી એમને તગડું `મહેનતાણું’ પણ મળે છે.
આ પણ વાંચો…ક્લોઝ અપ: ડોનલ્ડ ટ્રમ્પ ટૅરિફ પર ટૅરિફ…’ પછી અજમાવે છે
-તો બીજી તરફ, કેટલાંક એવા પણ પત્રકારો છે, જે કોઈ પણ શાસકના હાથો બન્યા વગર જાતમહેનતે ઈન્વેસ્ટિગેટ કરીને -ચીવટભરી તપાસ કરીને- સ્ફોટક માહિતી મેળવે છે. પાછળથી એમનાં છૂટક અહેવાલો પુસ્તકરૂપે પ્રગટ થાય છે ત્યારે વાચકોને ઘણી બધી અજાણી વાતો જાણવા મળે છે અને શાસક વર્ગમાં પણ અંદરખાને સળવળાટ જાગે છે.
પાકિસ્તાન પોતાની ધરતી પર આતંકવાદીઓને પાળી-પંપાળીને તાલીમ આપીને ભારતમાં `નિકાસ’ કરવા માટે વખોડાયેલું છે. આ હકીકત-વાસ્તવિકતા ધ્યાનમાં રાખીને આ ક્ષેત્રના અનુભવી એવાં પત્રકારો-જાસૂસો દ્વારા ત્રણ-ચાર પુસ્તક લખાયાં છે, જેની આંતરરાષ્ટ્રીય ફલક પર એની વિશેષ નોંધ લેવાઈ છે.
આમાંનું એક પુસ્તક છે: ટેરર ઈન ઈસ્લામાબાદ’. એક ભારતીય પત્રકાર અમર ભૂષણ લિખિત આ પુસ્તકમાં પાકિસ્તાની ખુફિયા એજન્સી ISI (આઈએસઆઈ- ઈન્ટર સર્વિસીસ ઈન્ટેલિજન્સ) કેવી નિર્મમ -નિર્દયી છે એના કેટલાંક કિસ્સા ટાંક્યા છે. ખાસ વિદેશોમાં કામ કરતી આપણી જાસૂસી એજન્સીRAW’ (રિસર્ચ એન્ડ ઍનાલિસિસ વિંગ)ના એક ભારતીય એજન્ટનું આઈએસઆઈ’ દ્વારા અપહરણ થયું પછી એનાં પર થયેલાં શારીરિક- માનસિક અત્યાચાર ઉપરાંતઆઈસી’ના બીજાં કાળાં કારનામાઓની વાત અહીં કાલ્પિનક પાત્રો દ્વારા નવલકથારૂપે રજૂ કરવામાં આવી છે. કારણ એ જ કે એ પત્રકાર-લેખકને આ બધી બાતમી-માહિતી આપનારા એકથી વધુ શખસની ખરી ઓળખ છતી ન થાય.. અહીં વિધિની વક્રતા એ છે કે આ પુસ્તકના લેખક અમર ભૂષણ ખુદ એક તબક્કે આપણા `રો’ માં જોબ કરતા હતા. એ વખતે એમના હાથમાંથી જ દુશ્મન તરફી એક શંકાસ્પદ ભારતીય એજન્ટ આબાદ છટકી ગયો હતો!
આ ઘટનાને લઈને રો' ની જોબ છોડ્યા પછી અમર ભૂષણે
એસ્કેપ ટુ નોવેર’ નામે નવલકથા પણ લખી હતી..એમની બન્ને કથામાંથી વાચકોને સ્પષ્ટ જાણવા મળે છે કે આપણા રો'ના એજન્ટસ અને આપણા વિદેશ ખાતાના સરકારી બાબુઓ વચ્ચે જોઈતો મનમેળ નથી. આવા આંતરિક કલહના કારણે પાકિસ્તાનની ISI સામે આપણા
રો’ની કામગીરી હંમેશાં નબળી પૂરવાર થઈ છે.
આતંકના જથ્થાબંધ વેપારી જેવા પાકિસ્તાનના આકાઓ અને એના પગારદાર આદમીઓ પોતાના દેશ અને દેશની બહાર જાસૂસીની કેવી ગેમ રમે છે એનો ચિતાર આપતાં હજુ એક પુસ્તકે બધાનું ધ્યાન ખેંચ્યું છે. એમાં પણ સાચી વાત-ઘટનાઓને વાર્તા સ્વરૂપે પેશ કરવામાં આવી છે. ઑનર એમોન્ગ સ્પાઈસ’ લખ્યું છે પાકિસ્તાનની કાવાદાવા-જાસૂસી કરતી બદનામ છતાં બહુ પાવરફૂલ એજન્સીના ISI-આઈએસઆઈના રિટાયર્ડ ચીફ અસદ દુરાનીએ.. અનેક વિવાદ પછી નિવૃત થયેલા દુરાનીમિયાંએ અહીં પાકિસ્તાની ગુપ્તચર જગતની અનેક ખાનગી વાત એનાં પાત્રો પાસે છતી કરાવી છે. ખાસ કરીને, પાકિસ્તાનમાં લપાયેલા ઓસામા બિન લાદેનની અત્યંત ગુપ્ત માહિતી પાકિસ્તાનના કયા વરિષ્ઠ આર્મી ઑફિસરોએ અમેરિકાની લશ્કરી ટુકડીને પહોંચાડી અને એ ત્રાટકી ત્યારે એના હેલિકોપ્ટર્સ રડારમાં ન આવે એ રીતે પાકિસ્તાની લશ્કરે પોતાની આખી આર્મી સિસ્ટમ કઈ રીતે કામચલાઉ ખોરવી નાખવી, વગેરે,વગેરેની ગોઠવણ કરી હતી. અલબત્ત, આમદદ’ બદલ પાકિસ્તાનના ટોચના શાસકો અને લશ્કરી અધિકારીઓને કરોડો ડોલરની `ગિફ્ટ’ પહોંચી હતી!
આ પણ વાંચો…ક્લોઝ અપ: હવે જેની સિકવલ શરૂ થઈ ગઈ છે એ તુ રૂપ કી રાની મૈં ચોરો કા રાજા!
આવી બધી સ્ફોટક અને રોચક માહિતી ઑનર એમોન્ગ સ્પાઈસ’ નવલકથામાં આપવામાં આવી છે. જો કે, આ બન્ને પુસ્તક કરતાંય સૌથી વધુ ચર્ચા અને વિવાદ જગાડ્યો છે :ધ સ્પાઈ ક્રોનિક્લસ’ નામના પુસ્તકે, કારણ કે પુસ્તકના જોડિયા લેખકનાં નામ જ જબરાં ચકચાર જગાડનારાં છે. એક લેખક છે આપણી જાસૂસી વીંગ `રો’ના નિવૃત વડા એ.એસ. દુલાત અને બીજા છે પાકિસ્તાનની જાસૂસી એજન્સી ISIના રિટાયર્ડ ચીફ અસદ દુરાની..!
ભારત-પાક જેવા પાડોશી છતાં એક્મેકના ક્ટ્ટર વિરોધી દેશની જાસૂસી સંસ્થાના વડા સામસામા થવાને બદલે બન્ને સાથે બેસીને એક પુસ્તક લખે એ જ આખી દુનિયા માટે અવાક થઈ જવા જેવી અભૂતપૂર્વ ઘટના હતી. દુશ્મન
એવા બે દેશના આવા બે નિવૃત ચીફને ઈસ્લામાબાદ-બેંગકોક -કાઠમાંડુમાં એકઠા કરીને આ પુસ્તક લખવા માટે તૈયાર કરવાનો શ્રેય જાય છે અન્ય એક અનુભવી પત્રકાર આદિત્ય સિંહાને.. આ પુસ્તકમાં બન્ને અનુભવી ચીફે એકબીજા સામે સ્પાઈ ગેમ રમવાની વાત બાજુએ મૂકીને બન્ને દેશ અને એની પ્રજાને પજવતા ઈસ્લામિક ત્રાસવાદ-કાશ્મીર- ધર્માંધ વૈરી હુમલાને કેમ નિવારવાની ચર્ચા કરી છે. એ જ રીતે, ક્રિકેટ- બોલિવૂડ- ક્ળા-સાંસ્કૃતિક પ્રવૃતિઓ કઈ રીતે વિકસાવીને બન્ને દેશની પ્રજાને વધુ નજીક કઈ રીતે આણવી એની ચર્ચા-વિચારણા પણ થઈ. બીજા શબ્દોમાં આ પુસ્તક દ્વારા સમજૂતીનો એક સેતુ તૈયાર કરવાનો સંનિષ્ઠ પ્રયાસ થયો.
ભવિષ્યની વાત ભવિષ્યમાં, પણ આ પુસ્તક પ્રગટ થયાં પછી આપણા `રો’ના દુલાતજીને કોઈ સરકારી નડતર આવ્યું નથી, પણ ISIના દુરાની મિયાં પર પાકિસ્તાની શાસકો ખરેખર બગડ્યા હતા..હજુ પણ અનેક ખુલાસા એમની પાસેથી માગવામાં આવી રહ્યા છે. પરિણામે, અસદ દુરાનીએ એક વધુ નવલકથા લખવાની શરૂ કરી, જેમાં એમની સ્પાઈ એજન્સીના વધુ ભાંડા ફોડી દેવાની ત્યાંના શાસકોને ચીમકી પણ આપી છે!
આ પણ વાંચો…ક્લોઝ અપ જિંદગી -ઓળખી લો, તમારા 3 જિગરજાન દોસ્ત ને 3 દાના દુશ્મનને!