ભાત ભાત કે લોગ :એવો બદલાવ શું કામનો જ્યાં માણસો પેદા થતા જ બંધ થઇ જાય?

-જ્વલંત નાયક
વિશ્વની હાલની વસતિ છે 8.2 અબજ. 2037 સુધીમાં આ આંકડો નવ અબજને આંબી જશે. વધતી જતી વસતિએ વિશ્વમાં અનેક પેચીદી સમસ્યાઓને જન્મ આપ્યો છે. એમાં આઘાત જનક વાત એ છે કે વસતિનો ઘટાડો ય આપણી ચિંતામાં વધારો કરે એવા તબક્કે આપણે પહોંચી ગયા છીએ. વીસમી સદીના ઉત્તરાર્ધ દરમિયાન વિશ્વની વસતિમાં વધારો નોંધાવા ની શરૂઆત થઇ. એકવીસમી સદીમાં ય એ ચાલુ રહ્યો. પણ જો ગ્રોથ રેટ, એટલે કે વસતિ વધારાની દરની વાત કરીએ તો સાવ જુદું ચિત્ર આંખ સામે આવે છે.
અહીં એક રસપ્રદ મુદ્દાની સાથે થોડી આંકડાબાજી પણ વણાયેલી છે. 1955 થી 2025 સુધીના આંકડાઓ તપાસતા જણાશે કે 1955થી 1970 દરમિયાન વસતિમાં દર વર્ષે આશરે બે ટકાનો વધારો થતો હતો. આ સૌથી મહત્તમ દર હતો. એ પછી આ દરમાં નજીવો ઘટાડો નોંધાયો તેમ છતાં વિશ્વની વસતિ નોંધપાત્ર ઢબે વધતી રહી. 2020 આવતા સુધીમાં વસતિ વધારાનો દર ઘટીને 1.09 ટકા જેટલો જ રહ્યો. અને 2025માં તો વસતિ વધારાનો દર ગગડીને 0.85 ટકાએ પહોંચી ગયો અને 2050 આવતા સુધીમાં વસતિનો વૃદ્ધિ દર અડધા ટકા કરતાં ય ઓછો થઇ જવાનો છે!
જો આવું ને આવું ચાલ્યું તો આવનારાં વર્ષોમાં મેડિકલ અપગ્રેડેશનને પગલે માણસનું આયુષ્ય તો લાંબું થતું જશે, પણ નવા માણસો જન્મવાનો દર ઘટી જતા જૂના-ઘરડા માણસોથી પૃથ્વી ઉભરાવા માંડશે. (જે આજે જાપાનમાં છે)
જો ચારેકોર ડગુમગુ ચાલતી રિટાયર્ડ વ્યક્તિઓ જ રહેતી હોય તો દુનિયામાં ઇન્ડસ્ટ્રિયલ પ્રોડક્શનથી માંડીને ખેતીવાડીની જવાબદારી કોણ ઉપાડશે? આવા તો અનેક પેચીદા પ્રશ્નો વસતિમાં થતા ઘટાડાને કારણે ઉદભવશે. વધારે આઘાતજનક વાત તો એ છે કે વૈજ્ઞાનિકો વસતિના ઘટાડાને Irreversible એટલે કે ઉલટાવી ન શકાય તેવો માને છે!
આ પણ વાંચો…ભાત ભાત કે લોગ : ધૂરંધરોએ કરેલી આગાહીઓ, જે ઐતિહાસિક ઢબે ધરાર ખોટી પડી!
ટૂંકમાં કોઈ પણ મોટી દુર્ઘટના કે ભીષણ યુદ્ધો વિના જ ધીમી ગતિએ માનવજાતનું નિકંદન નીકળી જશે, પણ આવું થવા પાછળ કારણ શું? ઘણાં કારણ છે. વિકસિત દેશોમાં મોડાં લગ્ન અને ગર્ભપાતનું પ્રમાણ વધી રહ્યું છે. દરેક પ્રકારનું પ્રદૂષણ માનવજાતની ફળદ્રુપતા ને ખતમ કરી રહ્યું છે. આ બધા સિવાય કેટલાંક એવાં પરિબળો છે, જે છેલ્લાં અઢી દાયકા દરમિયાન આવેલા સામાજિક પરિવર્તનની દેણ છે.
જોબ શોધવા નીકળેલા કોઈ પણ યુવાન કે યુવતીની અપેક્ષાઓ હોવી જોઈએ એના કરતાં વધુ પડતી ઊંચી છે. સંઘર્ષ કરવામાં કોઈને રસ નથી, પણ સેલેરી તો પાંચ આંકડાથી જ શરૂ થવી જોઈએ. મહિને પચ્ચીસ-ત્રીસ હજારની સેલેરી ‘સામાન્ય’ ગણાય છે. અહીં સમસ્યા એ છે કે આટલી સેલેરી મેળવવા જેટલી પાત્રતા બહુ ઓછા યુવાન-યુવતીઓમાં છે.
આ વિરોધાભાસ અપેક્ષાઓ અને વાસ્તવિકતાઓ વચ્ચેનો માનસિક સંઘર્ષ નોતરે છે. એમાં ને એમાં યુવાનો કોઈ પણ પ્રકારની રિલેશનશિપથી દૂર ભાગવાનું પસંદ કરે છે. પહેલા પાંચ હજાર કમાતો યુવક અભણ યુવતી સાથે પરણીને સુખી સંસાર ભોગવતો. આજે ચોવીસ વર્ષની ઉંમરે પચ્ચીસ હજાર કમાતી ભણેલી યુવતીને પોતાની જોબથી અને વળતરથી સંતોષ નથી…
સત્ય આ બે અંતિમોની વચ્ચે ક્યાંક છે, પણ આ બધાની કલેકટીવ ઇફેક્ટ તરીકે કોઈ જલ્દી પરણવા તૈયાર થતું નથી બાળકો તો દૂરની વાત. જે પરણી ગયા છે એ લોકોય મોંઘવારીમાં વધુ બાળકોનો આર્થિક બોજ વેંઢારવા તૈયાર નથી. આ બધા કરતા જુદું એવું એક ઓર ફેક્ટર છે રોમેન્ટિક ડીસઇન્ટરેસ્ટ. રોમાન્સ કરવામાં જ કોઈને હવે રસ નથી!
આ પણ વાંચો…ભાત ભાત કે લોગ : વધુ સુખી કોણ? આફ્રિકન આદિવાસી કે મુંબઈગરો?
આ વિશે એક વિષદ સર્વે પણ થયો છે. શું કહે છે પ્યુ રિસર્ચ પોલનાં પરિણામો?
વોશિંગ્ટન ડીસી ખાતે કાર્યરત પ્યુ રિસર્ચ સેન્ટર Pew Research Center) સાંપ્રત સમય સાથે જોડાયેલ લોકોની વિચારસરણી અને વિશ્વ પર પ્રભાવી પ્રવાહો અંગે જાતજાતનાં સંશોધનો કરે છે. મે’ 2024 દરમિયાન થયેલા ‘પ્યુના’ એક પોલ મુજબ માત્ર 40 ટકા સિંગલ અમેરિક્ધસ જ કેઝ્યુઅલ રિલેશનશિપમાં રસ ધરાવે છે. ગંભીર અથવા કમિટેડ કહી શકાય એવી રિલેશનશિપને તો દૂરથી જ પ્રણામ.
18થી 29 વર્ષની ઉંમર એવી છે જ્યારે તમારા હોર્મોન્સ તેજીલા તોખારની માફક હણહણતા હોય, વિજાતીય પાત્રને જોઈને ઘેલા કાઢવાની ઈચ્છા થતી હોય અને ગમતીલા પાત્ર સાથે સમય ગાળવા મળે તો મન રીતસર મોર બનીને થનગનાટ કરતું હોય. બટ નોટ નાઉ! હવે આ બધી ફીલિંગ્સ વીતેલા જમાનાની ગણાય. ‘પ્યુ’ પોલ મુજબ હાલની 18-29ની ઉંમરવાળી પેઢીના 37 ટકા લોકોને પ્યાર-ઈશ્ક-મહોબ્બતના ચોંચલામાં લગીર રસ નથી પડતો, બોલો! એમનાથી મોટી 30 થી 49 વચ્ચેની પેઢીના ય 39 ટકા લોકો આવા જ છે.
લાગણીશીલ ગણાતી સ્ત્રીઓ પ્રેમમાં પાડવા બાબતે શું વિચારે છે?
વેલ, ‘પ્યુ’ દ્વારા અમેરિકન પીપલ પર થયેલા સર્વે મુજબ 70 ટકા મહિલાઓ કોઈ પણ પ્રકારની ‘જંજાળ’થી દૂર રહેવા માગે છે. અડધોઅડધ ટીનએજર્સ પોતાની તરુણાવસ્થા કોઈ સિરિયસ પાર્ટનર વિના જ વિતાવી નાખે છે. અમેરિકન સમાજ માટે આ બહુ મોટી ઘટના છે. હજી બે દાયકા પહેલાં એવું વાતાવરણ હતું કે ટીનએજર સંતાન કોઈ રિલેશનશિપમાં ન હોય તો મા-બાપને ચિંતા થતી કે બધું બરાબર તો છે ને!
આ બધાનો અર્થ એવો સહેજે ય નથી આ બધી પ્રજા સેક્સથી સાવ દૂર રહીને બ્રહ્મચારી બની ગઈ છે. ઊલટાનું સેક્સ વિશેની માન્યતાઓમાં ધરમૂળથી જે બદલાવ આવ્યો એને કારણે હવે એનો છોછ સંપૂર્ણપણે નીકળી ગયો છે. બધું ઈઝીલી અવેલેબલ છે એટલે સેક્સ માટે થઈને રિલેશનશિપમાં જવાની જરૂર જ નથી રહી! સેક્સ વીથ બડી, ફ્રેન્ડ વિથ બેનિફીટ, સુગર ડેડી કે વિકએન્ડ પાર્ટનર જેવા કન્સેપ્ટ આપણા સંસ્કારપ્રેમી હૃદયોની ક્રૂર ચીરફાડ કરી નાખે એવા છે.
છેલ્લા અઢી દાયકા દરમિયાન જોશભેર આવેલા આ બદલાવ માટે ક્યાંકને ક્યાંક આપણે પોતે જ જવાબદાર છીએ.
ભારતની સ્થિતિ ય કંઈ બહુ જુદી નથી. મુંબઈ, સુરત, વડોદરા, અમદાવાદ જેવાં શહેરની કોલેજિયન યુવતીઓને પૂછશો તો એમાંની ઘણી લગ્ન માટે અનિચ્છા જાહેર કરશે અથવા મોડેથી કરવા માગશે. દરેકને વ્યક્તિગત પસંદગી હોય શકે છે. ઇતિહાસ ગવાહ છે કે સામાજિક બદલાવોને ઉથાપી નથી શકાતા. તમને ગમે કે ન ગમે, સમાજ અને એનાં મૂલ્યો સમયાંતરે બદલાતા જ રહે છે. પણ આ બદલાવ એટલી હદે આવી જાય કે ભવિષ્યમાં માણસોના પેદા થવા પર જ પ્રશ્નાર્થ લાગી જાય, એ કેવું? આ પ્રશ્ન ગંભીરતાથી વિચારવા જેવો ખરો…
આ પણ વાંચો…ભાત ભાત કે લોગ : જંગી માળખાંગત સુવિધા ભાંગી પડે ત્યારે કેવો વિનાશ સર્જાય?