કલમ 370 રદ કરતા આતંકવાદ નાબૂદ કરવામાં મળી મદદઃ કાશ્મીરમાં આદિત્યનાથે આપ્યું મહત્ત્વનું નિવેદન

કઠુઆ: જમ્મુ અને કાશ્મીરને વિશેષ દરજ્જો આપતી કલમ ૩૭૦ નાબૂદ કરવાથી ખીણમાંથી આતંકવાદને નાબૂદ કરવામાં મદદ મળી છે, એમ ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે બુધવારે ભારપૂર્વક જણાવ્યું હતું.
જમ્મુમાં ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય પ્રધાન જિતેન્દ્ર સિંહના સમર્થનમાં એક રેલીને સંબોધિત કરતા આદિત્યનાથે કલમ નાબૂદ કરવા બદલ વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહ પ્રધાન અમિત શાહની પ્રશંસા કરી હતી અને જમ્મુ અને કાશ્મીરના ભારતના એકીકરણની ઉજવણીમાં લાલ કિલ્લાથી લાલ ચોક સુધીના સ્પષ્ટ ઉત્સાહ પર ભાર મૂક્યો હતો.
તેમણે દેશની સરહદો પર મજબૂત સુરક્ષા વ્યવસ્થા તરફ ધ્યાન દોરતા જણાવ્યું હતું કે “શું કોઈ પાકિસ્તાની સરહદ પારથી ઘૂસણખોરી કરવાની અને આપણી સુરક્ષા સાથે બાંધછોડ કરવાની હિંમત કરી શકે છે? તેઓ કરી શકતા નથી. જો એક પણ ફટાકડો (સરહદ પર) ફૂટે છે, તો પાકિસ્તાન તરત જ સ્પષ્ટતા કરે છે કે તેઓ તેમાં સામેલ નથી. તેઓ જાણે છે કે જો આવું કંઈ થાય તો તેમણે વળતો ઘા સહન કરવો પડશે.”
તેમણે જણાવ્યું હતું કે ભારત વિકાસ અને પ્રગતિના પંથે આગળ વધી રહ્યું છે. ૧૪૦ કરોડ લોકો ધરાવતો આ દેશ આદર અને ગૌરવ ધરાવે છે. ભારતના લોકોને સમગ્ર વિશ્વમાં સન્માન મળી રહ્યું છે. જમ્મુ અને કાશ્મીર હવે ભારતમાં વિકાસના મુખ્ય પ્રવાહમાં જોડાઈ ગયું છે, એમ તેમણે કેન્દ્રશાસિત પ્રદેશમાં હાથ ધરવામાં આવેલા વિવિધ ક્ષેત્રોમાં વિવિધ વિકાસ પ્રોજેક્ટોનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું.
જમ્મુ અને કાશ્મીરની સમસ્યાઓને અસરકારક રીતે ઉકેલવામાં નિષ્ક્રિયતા માટે અગાઉની કોંગ્રેસ સરકાર પર આકરા પ્રહાર કરતાં તેમણે કહ્યું કે, “જમ્મુ અને કાશ્મીરને દાવા વગરનું છોડી દેવામાં આવ્યું હતું. તે ભગવાનની દયા પર છોડી દેવામાં આવ્યું હતું… અમે કોંગ્રેસના વર્તનથી આશ્ચર્ય પામ્યા નથી.
તેઓએ ભારતને પોતાની ખાનગી મિલકત બનાવી લીધું છે. જ્યારે પણ દેશમાં કોઈ સંકટ આવે ત્યારે તેઓ ભાગી જતા હતા. ડોડાનો નરસંહાર કોણે જોયો નથી?” આદિત્યનાથે કહ્યું હતું કે દેશમાં દરેક વ્યક્તિ જમ્મુ અને કાશ્મીરને ભારતના તાજ તરીકે ગર્વ સાથે જોવા માંગે છે.