પક્ષ તરીકેની માન્યતા જાળવી રાખવા મનસેને ત્રણ સીટ મળવી જરૂરી

મુંબઇઃ મહારાષ્ટ્રમાં વિધાન સભાની ચૂંટણી 20 નવેમ્બરે સમાપ્ત થઇ હતી અને આજે એટલે કે 23 નવેમ્બરે પરિણામો આવવાના છે. સત્તાધારી મહાયુતિ અને મહા વિકાસ આઘાડી વચ્ચે મુખ્ય મુકાબલો છે. એવામાં રાજ ઠાકરેની મહારાષ્ટ્ર નવનિર્માણ સેના વિશે મોટું અપડેટ જાણવા મળ્યું છે. આ ચૂંટણીમાં તેમની સાખ દાવ પર લાગી છે, એમ કહેવામાં જરાય અતિશયોક્તિ નથી. ચૂંટણી પંચ દ્વારા આપવામાં આવેલી માન્યતા જાળવી રાખવા રાજ ઠાકરેની મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાનેવિધાનસભા ચૂંટણીમાં ઓછામાં ઓછા ત્રણ વિધાન સભ્યો અને ત્રણ ટકા મતોની જરૂર છે.
Also read: વિધાનસભા ચૂંટણી પરિણામ: જાણો કોણ આગળ કોણ પાછળ
મનસે 123 બેઠકો પર ચૂંટણી લડી રહી છે. જો કોઈ વિધાન સભ્ય ચૂંટાય નહીં તો પક્ષની માન્યતા જાળવી રાખવા કુલ મતના આઠ ટકાની જરૂર પડે છે. રાજ ઠાકરેએ 2007માં શિવસેના છોડી દીધી હતી અને પોતાનો નવો પક્ષ મહારાષ્ટ્ર નવનિર્માણ સેના બનાવ્યો હતો. 2009ની વિધાનસભા ચૂંટણીમાં આ પાર્ટીના 13 વિધાન સભ્યો ચૂંટાયા હતા. જો મનસેના 3 વિધાન સભ્યો ચૂંટાવામાં નિષ્ફળ જશે, તો પક્ષની સત્તાવાર માન્યતા જોખમમાં આવશે, એમ ચૂંટણી અધિકારીઓએ જણાવ્યું હતું.
મહારાષ્ટ્રના લોકોને રાજ ઠાકરેમાં વિશ્વાસ છે.
આ વર્ષની ચૂંટણીમાં આપણે ચોક્કસ જોઈશું કે રાજ્યની જનતા રાજ ઠાકરેની પાછળ મક્કમતાથી ઉભી છે. અમને વિશ્વાસ છે કે અમે ચૂંટણી પંચના નવા નિયમો અનુસાર મતોની સીમા સુધી પહોંચીશું અને જરૂર મુજબના વિધાન સભ્યોના ચૂંટાવાનું લક્ષ્ય પ્રાપ્ત કરી શકીશું, એમ મનસેના નેતા બાલા નંદગાંવકરે જણાવ્યું હતું.