ઉત્સવ

ફોકસ : શું પ્લાસ્ટિક પર્યાવરણ માટે અનુકૂળ છે?

-રશ્મિ શુકલ

ધ ઈકોનોમિસ્ટે વર્ષ 2025માં કરેલા અદ્ભુત વિશ્ર્લેષણમાં જણાઈ આવ્યું છે કે પર્યાવરણની રક્ષા માટે પ્લાસ્ટિક ઉપયોગી થાય છે, એનાથી પ્રદૂષકોનું ઉત્સર્જન ઘટે છે અને વૈશ્વિક વેપાર પણ મોટી સંખ્યામાં લોકોને લાભદાયક બની શકે છે. કચરાનું વ્યવસ્થાપન યોગ્ય રીતે કરવાની તાતી જરૂર છે; આવા સમયે રિસાઇકલિંગની અત્યાધુનિક પદ્ધતિઓ અને નીતિવિષયક સુધારાઓને કારણે સ્થિતિ બદલાઈ રહી છે. એક સમયે વિલન ગણાતું પ્લાસ્ટિક જો યોગ્ય રીતે વાપરવામાં આવે અને એનો યોગ્ય નિકાલ થાય તો એનાથી ભવિષ્યમાં પર્યાવરણના નુકસાનને ઘટાડી શકાય છે અને સમગ્ર વિશ્વમાં વધુ ને વધુ લોકો સુધી સંસાધનો પહોંચી શકે છે.

વર્તમાન સમયમાં પર્યાવરણને થઈ રહેલા નુકસાન બાબતે બધા ચિંતિત છે. આ સંજોગોમાં પ્લાસ્ટિક પર બધાનો ગુસ્સો ઠલવાય છે. જો કે, ધ ઈકોનોમિસ્ટે વર્તમાન વર્ષે કરેલા વિશ્ર્લેષણમાં જણાઈ આવ્યું છે કે વાસ્તવમાં બીજા વિકલ્પોની તુલનાએ પ્લાસ્ટિક પર્યાવરણ માટે વધુ સાનુકૂળ છે. કાચની વસ્તુઓના પરિવહનમાં જેટલું ઈંધણ બળીને ઉત્સર્જન થાય છે એની તુલનાએ પ્લાસ્ટિકની હેરફેરમાં 70 ટકા ઓછું ઉત્સર્જન થાય છે. વળી, જ્યાં રેફ્રિજરેશનની સુવિધાઓ અપૂરતી છે ત્યાં ખાદ્યપદાર્થોને સાચવી રાખવા વપરાતાં સંસાધનોને અનુલક્ષીને પણ પ્લાસ્ટિક પર્યાવરણ માટે વધુ સારો વિકલ્પ છે. આ પ્રકાશને વિશ્ર્લેષણના અહેવાલમાં નોંધ કરી છે કે જો પ્લાસ્ટિક ન હોય તો કાર્બનના ઉત્સર્જનને કારણે વૈશ્વિક વેપાર પોતાના જ બોજ તળે દબાઈ જાય એવી સ્થિતિ છે.

પર્યાવરણ સંબંધિત આકલન પર ઘણા ઓછા લોકોનું ધ્યાન છે
ટીકાકારો ફક્ત પ્લાસ્ટિકના કચરાની જ વાતો કરતા રહે છે. એનાથી પર્યાવરણને એકંદરે કેટલો લાભ થાય છે એ બાબતે તેઓ દુર્લક્ષ કરતા હોય છે. ધ ઈકોનોમિસ્ટે કરેલી ગણતરી પરથી જાણવા મળ્યું છે કે જો પ્લાસ્ટિકના પેકેજિંગની જગ્યાએ કાગળ કે ધાતુનો ઉપયોગ કરવામાં આવે તો એ બધી વસ્તુઓના રિસાઇકલિંગ પછી પણ ગ્રીનહાઉસ ગેસીસનું ઉત્સર્જન 200થી 300 ટકા વધી જાય છે. વળી, આરોગ્યસેવાના ક્ષેત્રે સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ કરવાથી ઇન્ફેક્શન સામે રક્ષણ મળે છે અને બાંધકામ ઉદ્યોગમાં પીવીસી પાઇપનો ઉપયોગ કરવાથી ઘરના નિર્માણનો ખર્ચ 30 ટકા ઘટી જાય છે.

રિસાઇકલિંગનો દુષ્કર માર્ગ અને અત્યાધુનિક તંત્રજ્ઞાનથી થઈ રહેલા ઉપાયો
90 ટકા પ્લાસ્ટિક એક વખત વાપર્યા બાદ ફેંકી દેવામાં આવે છે અને એમાંથી ફક્ત 9 ટકા હિસ્સાનું રિસાઇકલિંગ થાય છે. જો કે, ‘ધ ઈકોનોમિસ્ટ’ના અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે હવે એક નવા પ્રકારની ક્રાંતિ સર્જાઈ રહી છે. જેનું રિસાઇકલિંગ કરી શકાતું નથી એવા કચરામાંથી પાયરોલીસિસ જેવી રિસાઇકલિંગની અત્યાધુનિક પદ્ધતિ અને એન્ઝાઇમ આધારિત સિસ્ટમ દ્વારા વર્જિન ક્વોલિટી ફીડસ્ટોક્સનું નિર્માણ કરવામાં આવે છે. વર્જિન ક્વોલિટી ફીડસ્ટોક્સ એટલે એવી વસ્તુઓ, જેને કચરામાંથી એના મૂળ કુદરતી સ્વરૂપમાં પાછી મેળવવામાં આવે છે અને જેમાંથી બીજી વસ્તુઓનું ઉત્પાદન થઈ શકે છે. એટલું જ નહીં, હવે તો કચરો બાળવાની રીત પણ પર્યાવરણને અનુકૂળ બનાવવામાં આવી રહી છે. ફોર્ટનમે વિકસાવેલી નવી પદ્ધતિમાં બાળવામાં આવેલા પ્લાસ્ટિકમાંથી હાઇડ્રોકાર્બન પાછાં મેળવવામાં આવે છે અને કચરાનો ઉપયોગ નવી વસ્તુઓ બનાવવામાં થાય છે.

આપણ વાંચો : ફોકસઃ AI એટલે સભાન + સ્માર્ટ કૃત્રિમ બુદ્ધિમત્તા…

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button