ટ્રાવેલ પ્લસ : આવો ગુજરાતની શાન એવા સાવજને મળીએ…

- કૌશિક ઘેલાણી
ગરવા ગિરનારમાં વરસાદની મહેકને માણવી, ભવનાથની ભૂમિ પરથી પ્રકૃતિને નિહાળવી, હરખમાં દોટ લગાવીને જતા વાદળો સાથે વાત કરવી, વર્ષાઋતુ પછી તરોતાજા જ ખીલી ઊઠેલા સાગડાઓ સાથે કુદરતની તાજગીને ગજવે ભરવા એથી રૂડું શું હોઈ શકે આ સમામાં? કાળાં ડિબાંગ વાદળો જાણે ગિરનારની આંખનું કાજળ બન્યા હોય એવું કંઈક દીસે એવો કુદરતી માહોલ દરેક ઉંમરના વ્યક્તિને એક અલગ જ સૂકુનભર્યા સૌમ્ય માહોલમાં લઇ જાય છે.
હાલમાં જ સમગ્ર દેશમાં વન્ય પ્રાણી સપ્તાહ ઉજવાઈ ગયું જેમાં વન્યજીવો અને વન્યજીવનની જાળવણી માટેની જાગૃતિ દેશમાં ફેલાવવાનાં પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે જેનો હિસ્સો આપણે સહુ કોઈએ બનવું જ જોઈએ અને આપણી કુદરતી સંપદાને જાળવવી જ જોઈએ. આપણે ખરેખર નસીબદાર છીએ કે 1600 કિમી લાંબો દરિયા કિનારો, વિવિધ પ્રકારનાં જંગલોથી સજ્જએવાં ચાર રાષ્ટ્રીય ઉદ્યાનો, ચાર જેટલી રામસર સાઈટ અને સમગ્ર વિશ્વમાં એકમાત્ર સ્થળે જેનું કુદરતી અસ્તિત્વ હોય એવા દેશનાં જ નહિ પણ આખા એશિયાના ગૌરવ સમા એશિયાઈ સિંહો આપણા ગુજરાતમાં ધરાવીએ છીએ.
દર વર્ષે 16 ઓક્ટોબરથી ગીર રાષ્ટ્રીય ઉદ્યાન જાહેર જનતા માટે ખુલ્લું મુકાય છે પણ આ વર્ષે આનંદની વાત એ છે કે 7 ઓક્ટોબરથી જ હાવજને મળવાની તક ખુલ્લી થઇ છે. આ દિવાળીના વેકેશનની શરૂઆત થતા પહેલા જ આપણે વનરાજને મળવા માટેની પૂર્વ તૈયારીઓ આરંભી અને એના ઘર વિશે જાણકારી મેળવીએ. દેશના માનનીય રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મૂર્મુએ ગીરના રાજા સાથે હમણાં જ વાર્તાલાપ કર્યો.
એક સમયે સમગ્ર એશિયામાં ગર્જના કરતા એશીયાઇ સિંહોની વસતિ ધીરે ધીરે કરતા સમગ્ર વિશ્વમાંથી ખતમ થઇ ગઈ અને છેલ્લે સાસણ ગીરમાં આંગળીના વેઢે ગણી શકાય એટલી જ રહી ગઈ. જે તે સમયે સરકાર અને નવાબના સંરક્ષણનાં પ્રયત્નો અને સિંહ સાથે તાલમેલ મેળવીને જીવતા માલધારીઓના કારણે અહીં સિંહની વસતિ ફરી જંગલમાં ગર્જના કરતી થઇ અને છેક પાલિતાણા સુધી તો આ તરફ છેક ઊનાનાં દરિયા કાંઠા સુધી આજે સિંહની ડણક સંભળાય છે.
વિશાળ ગિરનાર પહાડને ઘેરીને આવેલું કુદરતનું અદ્ભૂત જંગલ સાસણ ગીર 1412 ચોરસ કિમી વિસ્તારમાં અભયારણ્ય તરીકે અને 1153 ચોરસ કિમી રાષ્ટ્રીય ઉદ્યાન તરીકે સંરક્ષિત છે. અહીં આજે 891 કરતાં પણ વધારે સિંહ મુક્તપણે જંગલમાં મહાલતા જોવા મળે છે અને એને કુદરતી વાતાવરણમાં મહાલતા જોવાની તક ક્યારેય ન ચૂકવી. વિશ્વભરમાંથી પ્રકૃતિપ્રેમીઓ અહીં વનરાજની એક ઝલક જોવા માટે ઉમટી પડે છે. દર વર્ષે ચોમાસા દરમ્યાન દેશનાં દરેક રાષ્ટ્રીય ઉદ્યાનની જેમ જ 15 મી જૂનથી 15 ઓક્ટોબર સુધી ગીર રાષ્ટ્રીય ઉદ્યાન જાહેર જનતા માટે બંધ હોય છે. 16મી ઓક્ટોબરથી રાબેતા મુજબ પાર્ક ખૂલે છે અને અહીં સફારી કરીને પાર્કનો આનંદ લઇ શકાય છે.
ગીરનાં જંગલોમાં ફરવું એટલે કુદરતી સંપદાને નજીકથી નિહાળવી. ગીર રાષ્ટ્રીય ઉદ્યાનની મુલાકાત લેવા માટે સૌપ્રથમ વન વિભાગ દ્વારા સંચાલિત વેબસાઈટ – https://girlion.gujarat.gov.in/ પરથી સફારીનું બુકિંગ થઇ શકે છે. એ કરાવ્યા બાદ સાઈટ પર જ રજિસ્ટર્ડ ડ્રાઈવર્સના નંબર હોય છે જે મેળવીને જંગલનાં સફરે જઈ શકાય. વહેલી સવારે 6 વાગ્યે, ત્યાર બાદ આઠ વાગે અને ત્યાર બાદ સાંજના સમયની સફારીના અલગ અલગ વિકલ્પ ઉપલબ્ધ છે. ખરા અર્થમાં જંગલનો માહોલ માણવો હોય તો સવારે છ વાગ્યાની સફારીમાં મુલાકાત લેવી વધુ યોગ્ય છે.
ગીરનાં જંગલમાં પ્રવેશતાં જ વિવિધ પક્ષીઓ કલરવથી જ આપણું સ્વાગત કરીને એમની હાજરી નો પરિચય આપશે. અહીં આવીને આંખો અને કાન ખુલ્લા રાખવા એટલે ક્યાંક ઝાડની ઓથે સાવ ઝાડના થડને મળી આવતું ઘુવડ જોવા મળશે તો એવી જ રીતે કુદરતી માહોલમાં પોતાની જાતને ઢાળી દેતું વન દશરથિયું પણ જોવા મળશે. ક્યાંક વળી કોઈ ઊંચી ડાળના ટોચે સાપમાર ગરુડ દેખા દેશે તો વળી આમતેમ ઉડાઉડ કરતા દૂધરાજ આંખોને અલગ જ આનંદ આપશે.
વિવિધ જાતના પક્ષીઓને માણવા માટે સમગ્ર ગુજરાત રાજ્યના પંથકમાં સાસણ ગીરથી સુંદર એક પણ જગ્યા નથી. થોડા આગળ વધો કે હિરણની કર્ણપ્રિય ધૂન સંભળાય અને એની આસપાસ વાંદરા કાન સરવા કરીને બેઠા હોય. હરણ એક સાથે ટોળાંમાં ચોતરફ નજર ફેરવીને એકદમ સચેત હોય એવાં જોઈ શકાય.
અહીં હરણ અને વાંદરાઓ એકમેક સાથે મળીને એકબીજાનું અસ્તિત્વ ન જોખમાય એ રીતે જીવતા હોય છે. હરણાંની ઘ્રાણેન્દ્રિય શક્તિ ખૂબ જ તીવ્ર હોય છે તો વાંદરાંઓની દ્રષ્ટિ ખૂબ જ સચોટ અને તીવ્ર હોય છે અને તેઓ છેક ઝાડની ટોચેથી દૂરથી આવતા ખતરાને પારખી શકે છે. વાંદરા જેવા દીપડા કે સિંહને જુએ કે એક અલગ જ પ્રકારના અલાર્મ કોલથી હરણાંઓને ચેતવણી આપે છે અને એ ચેતવણી સૂચક કોલથી હરણાંઓ સાવધ થઈ જાય છે અને બીજા હરણાંઓને પણ આવા જ કોલથી સચેત કરે છે.
આ રીતે જ ક્યારેક વાંદરા જમીન પર બેધ્યાન થઈને ફરતા હોય અને હરણ સિંહ કે દીપડાને આવતો પારખી લે તો તેઓ પણ ચેતવણી સૂચક કોલ આપીને વાંદરાંઓને સચેત કરે છે અને વાંદરાઓ સુરક્ષિત સ્થળે જતા રહે છે. કુદરતની રચના કેટલી અદ્ભુત છે કે નાનામાં નાનો જીવ એકબીજાને મદદ કરીને શાંતિપૂર્વક આનંદમય જીવન જીવવાનો પ્રયાસ કરે છે જેમાં પોતાના અસ્તિત્વને ટકાવી રાખવા સિવાયનો કોઈ પ્રકારનો સ્વાર્થ નથી હોતો.
જીવનનાં ખરા પાઠ કુદરત અને વન્યજીવો આ રીતે જ શીખવી જાય છે. પક્ષીઓના કલરવથી જંગલ ગુંજે છે ઘુવડની આંખો, દૂધરાજની ઉડાન, સાપમાર ગરુડની નજર, હરણની સચેત ચાલ, વાંદરાઓના ચેતવણી કોલ કુદરત અહીં જીવંત છે. અહીં દરેક જીવ એકબીજાનું રક્ષણ કરે છે સ્વાર્થવિહિન સહઅસ્તિત્વનું અનોખું ઉદાહરણ.
જંગલના દરેક ખૂણામાં જીવન ટકાવી રાખવા માટે સંઘર્ષ જ મહત્ત્વનો છે. જેમ જેમ જંગલમાં આગળ ધપીએ એમ કુદરતી માહોલને સીધા જ મનમાં ઉતરતો અનુભવી શકીએ. રસ્તામાં સાવ જ સાદું જીવન જીવતા માયાળુ લોકોનાં નેસડાં દેખાય, આ એ જ માલધારીઓ છે જેની અમાન્યા સાવજ અને સાવજની અમાન્યા તેઓ જાળવે છે અને એકબીજાના સહ અસ્તિત્વમાં કુદરતી જીવનશૈલીથી જીવન જીવે છે.
સાવજની વસતિ વધવામાં અને તેઓની સુરક્ષામાં આ માલધારી પ્રજાઓનો જ મુખ્ય ફાળો છે. જરા આગળ ધપીએ કે આખુંયે જંગલ તેના પર નભે છે એવો વિશાળ કમલેશ્વર ડેમ જોવા મળે. એક સમયે મગરમચ્છના અસ્તિત્વ સામે ખતરો હતો પણ વનવિભાગના પ્રયાસથી અહીં ક્રોકોડાઈલ બ્રીડિંગ સેન્ટર શરૂ કરવામાં આવ્યું અને જોતજોતાંમાં હજારોની સંખ્યામાં મગર થઇ ગયા. આ જ ડેમમાં ઠેર ઠેર મગરમચ્છ જોવા મળે છે વળી ક્યારેક અહીં દીપડો કે સિંહ પણ સરળતાથી જોઈ શકાય તો વળી ક્યારેક વનરાજ સહપરિવાર ડેમનો આનંદ માણવા પણ ક્યારેક નીસરી પડે.
ગીરનો વૈભવ સદીઓ જૂનો છે અને ગુજરાતી લોકસાહિત્યમાં અલગ અલગ લોકબોલી, વિવિધ શૈલીથી કવિઓ – લેખકોની કલમે ખૂબ જ લખાયો છે અને સાવજને આપણી સંસ્કૃતિનું અવિભાજ્ય અંગ તરીકે સમાવ્યો છે. ક્યાંકને ક્યાંક અહીંનું લોકજીવન અહીંના વન્યજીવો અને વન્યસૃષ્ટિ સાથે જોડાયેલું છે અને એટલે જ એશિયાઈ સિંહો આ વિસ્તારને પોતાનો બનાવીને મોજથી જીવી રહ્યા છે.
ઝવેરચંદ મેઘાણીએ સાવજની ડણકને સાહિત્યમાં ઉતારી છે તો ધ્રુવ ભટ્ટે અહીંનું જંગલ, લોકજીવન અને સંસ્કૃતિને આબેહૂબ રજૂ કરી છે તો વળી કવિ દાદે અહીંના વગડાને સરળ રીતે સમજાવ્યો છે જાણે આપણે ગીરને નિહાળતા હોઈએ. ઝવેરચંદ મેઘાણીની ચારણક્ધયામાં નેસડામાં રહેતી ક્ધયાની બહાદુરી અને સાવજ પ્રત્યેનો એનો હકારાત્મક અભિગમ દર્શાવ્યો છે તો ધ્રુવ ભટ્ટ સાહેબની અકુપારમાં એક સરસ મજાનું દ્રશ્ય વર્ણવ્યું છે એવું મને આછુંપાતળું યાદ છે.
સાંસાઈ રામજાનેને સંબોધીને કહે છે કે ‘તારા બચોળિયા ને મારે કાંઈ નથ કરવું મા’ અને ઝાંઝર ફેંકીને તેનું ધ્યાન ભટકાવે છે. આમ ગીરનું નામ ગુજરાતી સાહિત્યમાં અવિભાજ્ય છે. ઝવેરચંદ મેઘાણીએ ચારણક્ધયામાં સાવજની ડણક ઉતારી, ધ્રુવ ભટ્ટે અકુપારમાં જંગલનો જીવંત ચિત્ર દોર્યો અને કવિ દાદે અહીંના વગડાને શબ્દ આપ્યા. આ ધરતી પર કુદરત, સંસ્કૃતિ અને માનવ સહ અસ્તિત્વનો અનોખો સંગમ છે.
જંગલનાં જાનવરોમાં નાનાં બચ્ચાઓનો ઉછેર કરવો સહુથી ચેલેન્જિંગ હોય છે એવું કહો તો ચાલે. જંગલમાં દરેક પ્રજાતિનાં કોઈને કોઈ દુશ્મન હોય છે પણ સિંહના આમ તો કોઈ જ દુશ્મન નથી હોતા એટલે જ એની જ પ્રજાતિથી એને ડર હોય છે. સિંહણનાં બચ્ચાં જન્મે કે સહુથી પહેલો ખતરો નર સિંહથી જ હોય છે બીજા સિંહના બચ્ચાંનો ખાત્મો બોલાવી દે છે જેથી પોતાનો જ વંશવેલો વિકસે અને પોતાની પેઢીનું વર્ચસ્વ કાયમ રહે.
અહીં આવીને સિંહના નાના બચ્ચાંઓ સિંહણ સાથે વિહરતાં જોવા એટલે જાણે જેકપોટ કહી શકાય. જંગલમાં કેટલીક વિરલ ઘટના ઘટતી હોય છે અને નસીબથી ક્યારેક આપણે એવી ઘટનાઓનાં ક્ષણભર માટે સાક્ષી બની જતા હોઈએ છીએ. અહીં જ ખૂબસૂરત સિંહણ સાથે નાનકડું બચ્ચું ગમ્મતે ચઢતાં મા સાથે વહાલ કરતાં કરતાં મારા કેમેરામાં ઝડપાઈ ગયું હતું. કુદરત જાણે અજાણે આપણી સમક્ષ તેનો સાક્ષાત્કાર કરતું જ હોય છે, આપણે ભૌતિક આનંદમાં ધ્યાન ન ભટકાવીએ તો જ આવા મહાન દૃશ્યોના સાક્ષી બની શકીએ છીએ. રાજા સઘળી તાકાત ધરાવતો હોવા છતાં સૌમ્ય જ જોવા મળે છે. એની શાલીનતા જ એનો ખરો પરિચય છે.
પ્રાણી સામાન્ય રીતે હિંસક વૃત્તિ ધરાવતું હોય છે પણ પ્રાણીઓનાં રાજા સિંહમાં એવું જોવા નથી મળતું અને એટલે જ એ રાજા છે. સાસણગીર બંધ થયું એ પહેલા જંગલની ઉડતી મુલાકાત વેળાએ આ સૌમ્ય સિંહને હું મળ્યો અને એવો અનુભવ થયો જાણે એ મને એના જંગલમાં આવકાર આપતા હોય. આ સિંહનાં શાલીન સ્વભાવને જોઈને એક વસ્તુ દ્રઢપણે સમજાઈ ગઈ, જીવનમાં ગમે તેટલું મેળવી લો પણ સ્વભાવમાં શાલીનતા વિના સઘળું નિરર્થક છે.
સિંહ પોતાના જંગલનો રાજા છે, પણ એની શાન એની શાલીનતામાં છે. જંગલમાં સિંહણ પોતાના બચ્ચાંને શિકાર શીખવતી હોય તે દૃશ્ય જોવું એટલે જીવનનો પાઠ તાકાત રાખવી, પણ સૌમ્યતા ગુમાવવી નહીં. જેમ જંગલમાં સિંહ રાજ કરે છે, તેમ આપણા જીવનમાં પણ સ્વભાવમાં શાલીનતા જ સાચી રાજશાહી છે.
આ વર્ષે વરસાદ પછીનું ગીર વધુ હરિયાળું, વધુ જીવંત છે.
આવો, એકવાર કુદરતના રાજાને તેની ધરતી પર મળીએ
કારણ કે સાવજને મળવું એટલે કુદરતને, સૌમ્યતાને અને સ્વાભિમાનને મળવું.